Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત: ભારતીય રમતવીરોની ‘ગોલ્ડન મોમેન્ટસ’ પ્રદર્શિત કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજીતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

તેમણે આ મ્યૂઝિયમની વિશેષતાઓની વિગતો આપતાં જણાવ્યું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઇતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજીતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતોમાં મેળવેલ સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.

રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિમમાં આધુનિક ટેકનોલોજી જેમાં થ્રીડી પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટ રિયાલીટી, સેન્સર બેઈઝડ સાઉન્ડ મેપીંગ, એલિગન્સ એન્ડ એટ્રેકટીવ લાઈટીંગ સીસ્ટમ વગેરે થી દેશના રમત-ગમમત ક્ષેત્રની ગૌરવગાથાની  પ્રસ્તુતીથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે. દેશની રમત-ગમત ક્ષેત્રે સ્વર્ણિમ ક્ષણો અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.