Abtak Media Google News

અમદાવાદની ત્રણ ડ્રાફટ ટી.પી-૧ પ્રારંભિક ટી.પી, ૧ ફાઈનલ ટી.પી. મંજૂર: સુરત-વડોદરા-ગોંડલની ૧-૧ પ્રારંભિક ટી.પી.ને બહાલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ના સંક્રમણ સાથે-સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.

મુખ્યમંત્રીએ આ પંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ત્વરિત અને પારદર્શી ઢબે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર રાજ્યમાં વધુ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરીઓ આપી છે.

મુખ્યમંત્રીએ અનલોક-૧ અંતર્ગત તા.૧લી જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ, સચિવાલય સહિત વિભાગોની કચેરીઓ પૂન: શરૂ કરવા કરેલા નિર્ણયને પગલે તેમણે સ્વયં તા. ૧લી જૂને મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂન: કાર્યારંભ કરીને કામકાજની શરૂઆત કરી હતી.  વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે-કોરોના સાથે સાવચેતીપૂર્વક જીવન જીવવાનો રવૈયો અપનાવી જનજીવન પૂર્વવત થાય, માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા આવે તે માટે રાબેતા મુજબનું સરકારી કામકાજ શરૂ કરીને એક જ દિવસમાં આ આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે.

મુખ્યમંત્રી એ મંજુર કરેલ ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૧૫૪ (સાંતેજ), નં.૧૨૩/એ (નરોડા), નં.૧૨૩/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) તેમજ ફાયનલ ટી.પી.નં.૩ (રાણીપ)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.૧, સુરતની ટી.પી.સ્કીમ નં.૫૭ (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા) પણ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. ૧૫૪ (સાંતેજ)નો આશરે વિસ્તાર ૧૦૬ હેકટર્સ છે. આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે ૧,૮૫,૮૦૦ ચો.મી.ના કુલ ૩૭ જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે ૧૦૦.૦૦ હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૨૩/એ અને ૧૨૩/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૮૫ (વટવા-૫) મંજુર થતાં આશરે ૮૫.૦૦ હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળેલ છે.

આ મંજુર કરાયેલી વટવાની ટી.પી.૮૫ માં વેચાણના હેતુ માટે ૬૯,૦૭૯ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૨૨,૪૧૪ ચો.મી, જાહેર હેતુ માટે ૩૬,૨૯૫ ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે ૧૮,૬૪૪ ચો.મી. જમીન મળી કુલ ૧,૪૬,૪૩૨ ચો.મી. પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ટેકનીકલ કારણોસર વર્ષોથી અટવાઇ રહેલ ટી.પી.ની પણ વારંવાર સમીક્ષા કરતા રાણીપ નં.૩ ની ફાયનલ ટી.પી. વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં પેન્ડીંગ હતી. તેમાં નિર્ણય લેવાતા, એક જ દિવસમાં મુખ્યમંત્રી કક્ષાએથી તેની મંજુરી આપી ત્વરિત કામગીરી કરવાનું જવલંત ઉદાહરણ વિજયભાઇ રૂપાણીએ પૂરૂ પાડ્યુ છે.

સૌરાષ્ટ્રના રાજાશાહી વખતના સુઆયોજીત શહેર ગોંડલની શોભામાં યશકલગી ઉમેરતા આશરે ૭૩.૦૦ હેકટર્સની પ્રારંભિક ટી.પી. નં.૧ ગોંડલને પણ મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

આ અન્વયે કુલ ૫૭ જેટલા પ્લોટો ગોંડલ નગરપાલિકાને જાહેર હેતુના વિવિધ ઉપયોગ માટે મળશે જેનુ ક્ષેત્રફળ આશરે ૭૪,૮૭૪ ચો.મી. જેટલુ છે, તદ્ઉપરાંત રસ્તાની આશરે ૭૩,૬૮૦ ચો.મી. જમીન પણ નગરપાલિકાને ટી.પી. સ્કીમ મારફતે પ્રાપ્ત થતા, નાના શહેરોમાં ટી.પી. સ્કીમથી સ્થાનિક સંસ્થાને મળતી આંતરમાળખાકીય સવલતોનો વધારો દિશાદર્શક બનશે.

મુખ્યમંત્રીએ વડોદરા શહેરની ૬૦.૮૫ હેકટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.૧૭ (સૈયદ વાસણા)ને પણ મંજુરી આપતા સ્થાનિક સત્તામંડળને ૩૩,૬૧૫.૦૦ ચો.મી.ના ૨૪ જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થવાના છે.

એટલું જ નહિ, સુરત શહેરના નવા ૯૦.૦૦ મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં જ તા.૨૦/૦૨/૨૦૨૦ના રોજ ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ જ મહિનામાં આશરે ૧૭૧ હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે.

આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે ૩૬.૦૦ હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે ૬૨,૪૫૪ ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે ૬૩,૧૭૧ ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૪૪,૨૧૫ ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે ૧,૬૬,૮૬૩ ચો.મી. જમીન મળી કુલ ૩,૩૬,૭૦૩ ચો.મી.ના ચાલીસ પ્લોટો સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રીએ પ્રારંભિક યોજના મંજુર થયેથી સત્તામંડળ જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોમાં તાત્કાલિક કબજો મેળવી વિકાસ કરી શકે તે માટે ટી.પી. સ્કીમ મંજુરી સાથે તાકિદ કરી છે કે કાયદાની જોગવાઇ મુજબ તમામ પ્લોટોને વિકાસ અર્થે ખુલ્લા મુકવામાં આવે તથા ખાસ કરીને બાગ-બગીચા, પ્લેગ્રાઉન્ડ કે જેનો સામાન્ય જનતતા અને બાળકો-વૃધ્ધો નવા વિકસતા વિસ્તારમાં લાભ લઇ શકે તે હેતુથી તાત્કાલિક વિકાસ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.