Abtak Media Google News

જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી.-બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે ૧૬૦૦ જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવારને ઉત્તરપ્રદેશ-દિહોરીયા ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ૧૧મી ટ્રેન મોકલવામાં આવી છે. આજસુધીમાં ટ્રેન દ્વારા ૧૫,૬૦૦થી વધુ શ્રમિકોને ઉત્તરપ્રદેશ અને બિહાર વતન પહોંચાડવામાં આવ્યા છે.

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ અને ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

પરપ્રાંતીય શ્રમિકોને અન્ન પૂરૂ પાડતી જામનગરની સેવાભાવી સંસ્થાઓ

જામનગર જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માંગતા ૧૪૬૯૫ જેટલા શ્રમિકો માટે રેલવે વિભાગ સાથે સંકલન કરી ગઇકાલ સુધીમાં કુલ ૧૦ ટ્રેન મારફત અત્યાર સુધી પોતાના વતન બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટ્રેનમાં જનારા શ્રમિકો જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં રહેતા હોય, તેઓને ગુજરાત એસ.ટી. વિભાગની બસો મારફત નિ:શુલ્ક રેલવે સ્ટેશન સુધી લાવવાની સુવિધાઓ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ. વતન જતા શ્રમિકો પરિવાર તથા બાળકો સાથે હોય, લાગણીશીલ સંદેશ સાથે તેઓને ૧૧,૨૪૭ જેટલા ફૂડ પેકેટની વ્યવસ્થા  પરાગભાઈ શાહ અને તેમના ગ્રુપ દ્વારા, ૩૬૫૦ જેટલા ફૂડ પેકેટની વ્યવસ્થા ખીજડા મંદિર, જામનગર દ્વારા તેમજ ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ આંણદાબાવા સંસ્થા, જામનગર દ્વારા મળી કુલ ૧૫,૮૯૭ ફૂડપેકેટ પૂરા પાડવાની ખૂબ જ સુંદર તથા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત બસ દ્વારા અન્ય રાજ્યમાં મોકલવામાં આવેલ પરપ્રાંતિય શ્રમિકોને કુલ-૨૭૦૦ જેટલા ફૂડ પેકેટસ  પરાગભાઈ શાહ અને તેમના ગ્રુપ દ્વારા તેમજ  ખોડીયાર ડાઇનિંગ હોલ દ્વારા ૨૧૦ ફુટ પેકેટ મળી કુલ-૩૩૧૦ જેટલા ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવેલ છે. હજુ પણ વધારાની ઉત્તર પ્રદેશ અને બિહાર માટેની ટ્રેનોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંગે સંબંધિત રાજ્ય સરકારની મંજુરી મળ્યેથી વ્યવસ્થા કરવામાં આવશે.

તમામ કામગીરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર તથા જિલ્લા પોલીસ અધિક્ષક, જામનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ છે તેમ નિવાસી અધિક કલેક્ટર જામનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.