- સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં શરૂ થઈ ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી
- તમામ જરૂરી તપાસ અને સર્ટીફીકેટ વિનામૂલ્યે આપવામાં આવશે
અમરનાથ યાત્રા જવા માટે સુરતની સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્ટિફિકેટની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આ કામગીરીમાં તમામ જરૂરી તપાસ અને સર્ટીફીકેટ વિનામૂલ્યે આપવામાં આવશે. 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાઓને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.
પવિત્ર અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી 39 દિવસ સુધી ચાલશે. આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે. ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે 11મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જે આગામી 2 મહિના સુધી ચાલશે. ત્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં સરકારી હોસ્પિટલોમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રોસેસ વિશે જાણીએ…
સુરતમાં નવી સિવિલ અને પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. નવી સિવિલ કેમ્પસમાં જુના એમ.આઇ.સી.યુમાં આ કામગીરી ચાલી રહી છે. ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે. અમરનાથ યાત્રાળુઓને તકલીફ ના પડે તે માટે ત્યાં કેસ પેપર બારી, લેબોટરી, ઈ. સી. જી મશીન અને ડોકટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે. સિવિલમાં સર્ટિફિકેટ વિનામૂલ્યે અપાશે હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરીન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે.
જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઈ.સી.જી કરાવવું પડશે. તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રીફર કરાશે. જોકે સિવિલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે. સ્મીમેરમાં એક છત નીચે તમામ પ્રક્રિયા કરવાનો પ્રયાસ આગામી સોમવારે(14 એપ્રિલ) સવારથી સ્મીમેર ખાતે મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોર પર આ બધી કામગીરી એક સાથે થાય, એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી અમરનાથ યાત્રા શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
સુરત શહેરની આસપાસના વિસ્તારોમાંથી ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રા વર્ષ 2025નું ફોર્મ લઈને આવવું પડશે આ માટે શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથ યાત્રા વર્ષ 2025નું ફોર્મ લઈને આવવાનું હોય છે. આ સાથે ફોટોગ્રાફ્સ અને આધાર કાર્ડ લઈને આવવાનું હોય છે. રોજના 20થી 25 લોકોનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યાં સુધી અમરનાથ યાત્રા ચાલુ રહેશે ત્યાં સુધી આ કામગીરી શરૂ રહેશે. સયાજી હોસ્પિટલમાંથી ગત વર્ષે 1200થી વધુ સર્ટિફિકેટ ઇશ્યૂમાં થયા હતા, તથા અન્ય હોસ્પિટલના મળી ત્રણ હજારથી વધુ લોકોને હેલ્થ સર્ટિફિકેટ અપાયા હતા.
અમદાવાદ સોલા સિવિલમાં 9થી 1માં કામગીરી અમદાવાદ સોલા સિવિલ ખાતે OPD સમય સવારે 9થી 1માં અમરનાથ યાત્રા માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં છાતીનો એક્સ રે, બ્લડ ચેકઅપ, શ્વાસની સમસ્યાઓ, હૃદયની સમસ્યાઓ, ECG વગેરેની તપાસ કરવામાં આવે છે.
હૃદયની તકલીફ હોય તો પેશન્ટને વધુ તપાસ માટે UN મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. તેમણે રોગ પ્રમાણે દવાઓ રિફર કરવામાં આવે છે. શ્વાસ અને હૃદયની વધુ તકલીફ હોય તો મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અપાતું નથી. બાકી દવાઓ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલના ચાર્જિસ પ્રમાણે જ ટેસ્ટના નોમિનલ ચાર્જીસ લેવામાં આવે છે.
આ ઉપરાંત રજાના દિવસો સિવાય દરરોજ સવારે 9થી 1 વાગ્યા સુધી નવા કેસ લઈએ છીએ જ્યારે સાંજે 4થી 6 વાગ્યા સુધી સવારના ટોકન સાથે આવેલાને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. એક અઠવાડિયા સુધીના ટોકન એડવાન્સમાં લેવાય ચૂક્યા છે. જેથી લોકોને વિનંતી કે આ પ્રક્રિયા એક મહિના સુધી ચાલવાની છે જેથી ઉતાવળ ન કરે અને હિટવેવના સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય