Abtak Media Google News
  • સાંજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ સાથે બેઠક:લોક દરબારમાં આવતી તમામ ફરિયાદોને સ્થળ પર તત્કાલ નિકાલ કરાશે

શહેરીજનોએ રોજ-બરોજની સામાન્ય ફરિયાદ માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કા ન ખાવા પડે અથવા કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે સમસ્યા  ક્યારે હલ થશે તેની રાહ ન જોવી પડે તે માટે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં લોક દરબાર યોજવામાં આવશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 72 કોર્પોરેટરોને સાથે રાખવામાં આવશે.ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ આવી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા વોર્ડ વાઇઝ લોક દરબાર યોજવાની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.કોલ સેન્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાયા બાદ દિવસો સુધી આ ફરિયાદોનો કોઈ નીવેડો આવતો નથી. બીજી તરફ ઝોન કચેરી કે વોર્ડ ઓફિસે ફરિયાદ સાંભળવાવાળા જવાબદાર અધિકારીઓ હાજર  નથી હોતા.જેને કારણે લોકોની મુસીબત સતત વધી રહી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ શહેરના તમામ 18 વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી લોક દરબાર યોજવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યો છે.આ સંદર્ભે આજે સાંજે છ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેશન  મુખ્ય પાંચેય  પદાધિકારી મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા સાથે બેઠક યોજવામાં આવશે.

જેમાં એક સપ્તાહમાં શહેરનું તમામ વોર્ડમાં લોક દરબાર યોજાઈ તેવું આયોજન ઘડી કાઢવામાં આવશે.રોજ સવારે 9:00 થી લઈ 11:00 વાગ્યા સુધી લોક દરબાર યોજવામાં આવશે. જેના કારણે કોર્પોરેશનની રૂટીન કામગીરી પર કોઈ અસર ન પડે. આ લોક દરબારમાં જે તે ઝોનના ડીએમસી, સીટી એન્જિનિયર,વોર્ડ ઓફિસર સહિત તમામ જવાબદાર અધિકારીઓને સાથે રાખવામાં આવશે. મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત વોર્ડના ચારેય  કોર્પોરેટરો, પક્ષના સંગઠન હોદ્દેદારો પણ લોકદરબારમાં જોડાશે.

લોકદરબાર દરમિયાન આવેલી ફરિયાદોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી દેવામાં આવશે જો ફરિયાદ હલ થઈ શકે તેમ ન હોય તો પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ દ્વારા નિયત કરાયેલા સમયમાં ફરિયાદનો નીવેડો આવી જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મેયર ધનસુખભાઈ ભંડેરી દ્વારા “મેયર આપના દ્વારે” શીર્ષક અંતર્ગત લોક દરબાર યોજવાની પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. જેમાં ખુદ મેયર દરેક વોર્ડમાં જતા હતા અને  લોક દરબાર યોજી લોકોની ફરિયાદો જાણતા હતા અને તેનો નિકાલ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું પ્રજાલક્ષી આયોજન કરવામાં આવતું નથી  દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ હવે ફરી આ અભિગમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આગામી દિવસોમાં  કયાં વોર્ડમાં ક્યારે લોક દરબાર યોજાશે તેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. માત્ર ભાજપ  નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોના વોર્ડમાં પણ લોકદરબાર યોજી સમસ્યાનો નિવેડો લાવવા માટેની પ્રયાસ કરવામાં આવશે.શક્ય હશે તો મ્યુનિસિપલ કમિશનરને પણ લોકદરબાર માં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી શકે છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.