કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે વક્ફ બોર્ડને સંચાલિત કરતા કાયદામાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું અને પછી તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો.

રિજિજુએ ગૃહમાં ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ રજૂ કર્યું અને વિવિધ પક્ષોની માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. વિપક્ષી સભ્યોએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો અને કહ્યું કે તે બંધારણ, સંઘવાદ અને લઘુમતીઓ પર હુમલો છે.

વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ બિલ કોઈપણ ધાર્મિક સ્વતંત્રતામાં દખલ કરતું નથી અને બંધારણની કોઈપણ કલમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું, ‘વક્ફ સુધારો પહેલીવાર ગૃહમાં રજૂ કરવામાં આવ્યો નથી. આઝાદી બાદ આ બિલ સૌપ્રથમ 1954માં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી ઘણા સુધારા કરવામાં આવ્યા.

રિજિજુએ કહ્યું કે આ સંશોધન બિલ વ્યાપક સ્તરે ચર્ચા વિચારણા બાદ લાવવામાં આવ્યું છે જેનો લાભ મુસ્લિમ મહિલાઓ અને બાળકોને થશે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન રચાયેલી સચ્ચર સમિતિ અને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ બિલ તેમની ભલામણોના આધારે લાવવામાં આવ્યું છે.

વિપક્ષી દળોએ લોકસભામાં વકફ સુધારા બિલની રજૂઆતનો વિરોધ કરતા કહ્યું કે આ બંધારણ અને સંઘવાદ પર હુમલો છે અને લઘુમતીઓ વિરુદ્ધ છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બિલ બંધારણ પર હુમલો છે. તેમણે સવાલ કર્યો કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશથી અયોધ્યામાં મંદિર બોર્ડની રચના કરવામાં આવી હતી. શું બિન-હિન્દુ તેનો સભ્ય હોઈ શકે? તો પછી વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમ સભ્યોની વાત શા માટે?

વેણુગોપાલે દાવો કર્યો હતો કે આ બિલ આસ્થા અને ધર્મના અધિકાર પર હુમલો છે. તેણે કહ્યું, ‘હવે તમે મુસ્લિમો પર હુમલો કરો છો, પછી તમે ખ્રિસ્તીઓ પર અને પછી જૈનો પર હુમલો કરશો.’ કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે આ બિલ મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી માટે લાવવામાં આવ્યું છે, પરંતુ દેશની જનતાને હવે આ પ્રકારની વિભાજનકારી રાજનીતિ પસંદ નથી. વેણુગોપાલે કહ્યું કે આ બિલ સંઘીય માળખા પર પણ હુમલો છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લા નદવીએ કહ્યું કે મુસ્લિમો સાથે આ અન્યાય કેમ થઈ રહ્યો છે? તેમણે દાવો કર્યો, ‘બંધારણને કચડી નાખવામાં આવી રહ્યું છે… આ એક મોટી ભૂલ છે જે તમે (સરકાર) કરવા જઈ રહ્યા છો. આનું પરિણામ આપણે સદીઓ સુધી ભોગવવું પડશે. સપા સાંસદે કહ્યું, ‘જો આ કાયદો પસાર થશે તો લઘુમતીઓ સુરક્ષિત અનુભવશે નહીં… નહીં તો જનતા ફરીથી રસ્તા પર આવી જશે.’

તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે આ બિલ કલમ 14નું ઉલ્લંઘન છે અને ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે આ બિલ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને સહકારી સંઘવાદની ભાવનાની વિરુદ્ધ છે. ડીએમકેના સાંસદ કે. કનિમોઝીએ કહ્યું, ‘આ દુઃખદ દિવસ છે. આજે આપણે જોઈએ છીએ કે આ સરકાર ખુલ્લેઆમ બંધારણ વિરુદ્ધ પગલાં લઈ રહી છે. આ બિલ બંધારણ, સંઘવાદ, લઘુમતીઓ અને માનવતા વિરુદ્ધ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.