- આઠ કલાક સુધી સુધારણા બીલ પર ચર્ચા ચાલશે: આવતીકાલે બીલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે
મોદી સરકારની ત્રીજી ટર્મનું સૌથી અગત્યનું એવું વકફ સુધારણા બિલ લોકસભામાં રજૂ થઈ ગયું છે. વિરોધપક્ષના સાંસદોએ ધમાલ મચાવી હતી.આજે આ બિલ પર આઠ કલાક ચર્ચા કરવામાં આવશે.આવતીકાલે બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
લોકસભામાં આજે વકફ બોર્ડ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવે તે પૂર્વે મંગળવારે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન મળી ગયું હોય બિલ લોકસભામાંથી પસાર થઈ જશે.કાલે ગુરુવારે બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ તો પોતાની શરતોનો સ્વીકાર કરી લેવામાં આવતા આ બિલને ટેકો જાહેર કર્યો છે પરંતુ જદ(યુ) દ્વારા કેટલાક સુધારાની માગણી કરવામાં આવી છે. જોકે ટેકો નહીં આપે તેવી પણ ખુલીને કોઇ સ્પષ્ટતા નથી કરી. ઇન્ડિયા ગઠબંધને બિલનો વિરોધ કરી રહ્યું છે.
ભાજપ પાસે હાલ લોકસભામાં પૂર્ણ બહુમતમાં ના હોવાથી તે ટીડીપી અને જદયુ જેવા સાથી પક્ષો પર નિર્ભર છે. વકફ સુધારણા બિલ પસાર કરવા માટે પણ ભાજપને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી અને નિતિશ કુમારના જદયુની જરૂર પડશે. ટીડીપીએ વકફ બિલ માટે ત્રણ સંશોધનો રજુ કર્યા હતા જેનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી ટીડીપીએ વકફ બિલને સંસદમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીડીપીએ જે સુધારા રજુ કર્યા હતા તેમાં જે પણ વકફ બાય યૂઝર સંપત્તિઓ વકફ સંશોધન બિલ 1014 લાગુ થતા પહેલા નોંધાયેલી છે તે વકફની સંપત્તિ જ રહેશે જો આવી કોઇ જમીનને લઇને વિવાદ હોય ના હોય કે સરકારી સંપત્તિ ના હોય તો.ટીડીપીની આ શરતનો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી વકફની વિવાદો વગરની સંપત્તિ વકફની જ રહેશે. આ ઉપરાંત ટીડીપીએ એવી પણ શરત મુકી હતી કે વકફ મામલાઓમાં કલેક્ટર અંતિમ નિર્ણાયક અધિકારી ના માનવામાં આવે, રાજ્ય સરકાર એક નોટિફિકેશન બહાર પાડીને કલેક્ટરથી ઉંચા પદના અધિકારીની નિમણુંક કરી શકે છે જે કાયદા મુજબ તપાસ કરશે. આ ભલામણ પણ સ્વીકારી લેવાઇ છે. ત્રીજો પ્રસ્તાવ ડિજિટલ દસ્તાવેજોની સમય મર્યાદા વધારવાનો છે, જેનો પણ સ્વીકાર કરાયો છે, જે મુજબ હવેથી જો ટ્રિબ્યૂનલને યોગ્ય લાગે તો વકફને દસ્તાવેજો જમા કરવા માટે વધુ છ મહિનાનો સમય આપી શકે છે. આ ત્રણેય ભલામણો સ્વીકારી લેવામાં આવી હોવાથી ટીડીપીએ આ બિલના સમર્થનમાં છે.
હાલમાં લોકસભામાં એનડીએની કુલ 293 બેઠકો છે, જેમાં ભાજપ પાસે 240, ટીડીપી પાસે 16, જદયુ પાસે 12, એલજેપી પાસે 5, આરએલડી પાસે 2 અને હમ પાસે એક છે. ઇન્ડિયા ગઠબંધન પાસે કુલ 235 બેઠકો છે, જેમાં કોંગ્રેસની 99, એસપીની 37, ટીએમસીની 28, ડીએમકેની 22, શિવસેના (ઉદ્ધવ)ની 9, એનસીપી (શરદ પવાર)ની 8, અન્યોની 32નો સમાવેશ થાય છે. જ્યારે એનડીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ નથી તેવા પક્ષો જેમ કે વાયએસઆર પાસે 4, એઆઇએમઆઇએમ પાસે 1, અકાળી દળ પાસે 1 સહિત આવી કુલ 14 બેઠકનો સમાવેશ થાય છે. આજે લોકસભામાં આ બિલને લઇને આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે. શાસક પક્ષના એનડીએના સાંસદો 4 કલાક અને 40 મિનિટ સુધી ચર્ચા કરશે.જ્યારે બાકીનો સમય ચર્ચા માટે વિપક્ષને ફાળવવામાં આવ્યો છે.લોકસભામાં કુલ 543 સાંસદો છે અને બહુમતી માટે 272 સાંસદોનું સમર્થન જરૂરી છે. એનડીએ પાસે હાલમાં 293 સાંસદો છે.
આ રાજકીય પક્ષો કરી રહ્યા છે બિલનો વિરોધ
કોંગ્રેસ, સપા, ટીએમસી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ સહિત ઘણા વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ હાલમાં તેમની કુલ સંખ્યા 250 કરતા ઓછી છે. સવાલ એ પણ છે કે જો બિલ પર મતદાનની જરૂર પડે છે, તો શું બધા વિપક્ષી સાંસદો ખુલ્લેઆમ બિલનો વિરોધ કરશે, એટલે કે, શું વિપક્ષ એક રહેશે?
એનડીએ પાસે બહુમત લોકસભામાં બિલ પસાર થઈ જશે
વકફ (સુધારા) બિલ અંગે ચાલી રહેલા વિવાદ અને રાજકીય હોબાળા છતાં સત્તાધારી એનડીએને સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર કરાવવામાં કોઈ અવરોધ નહીં નડે. 542 સભ્યો ધરાવતી વર્તમાન લોકસભામાં એનડીએના સાંસદોની સંખ્યા 293 છે. રાજ્યસભામાં એનડીએના 125 સાંસદો છે. 245 સાંસદો ધરાવતી રાજ્યસભામાં હાલ 9 બેઠકો ખાલી છે. આમ એનડીએ પાસે બિલ પસાર કરાવવા માટે જરૂરી 118ના સંખ્યાબળ કરતાં વધુ સાંસદો હોવાથી વિના અવરોધે તે બિલને મંજૂર કરાવી લેશે.