• રાજ્યમાં ઓગષ્ટ-2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. 1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર
  • પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે કરી જાહેરાત
  • અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાના રૂ. 322.33 કરોડની ટોપ-અપ સહાય પણ અપાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
  • રાજ્યના 20 જિલ્લાના 136 તાલુકાના કુલ 6812 ગામોનો વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત
  • SDRFના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે 7 લાખથી વધુ ખેડૂતોને મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે
  • ભારે વરસાદના પરિણામે 33 ટકા થી વધુ નુકસાન પામેલ કુલ 8,83,000 હેક્ટર વિસ્તાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-2024 માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. 1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂ. 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. 322.33 કરોડ ચૂકવાશે.

મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ 20 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા.

આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂ. 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે.

કૃષિ મંત્રી રાધવજી પટેલે કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો વિશે વિસ્તૃત વિગતો આપી હતી.તદ્અનુસાર,

1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 8 ,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2500 સહાય મળી કુલ રૂ. 11000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(2) વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5000 સહાય મળી કુલ રૂ. 22000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(3) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે.

જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂ. 475.71 કરોડ, પિયત પાકો માટે રૂ. 942.54 કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂ.1.37 કરોડ મળી કુલ રૂ. 1419.62 કરોડ સહાય ચૂકવવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું

અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.