- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો
- ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે, તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન-પરંપરાના મૂળ આધારરૂપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના આધારે જ ગીતા, રામાયણ-મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે, તે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે.
વિદ્યાર્થીઓને શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આપણે વૃક્ષના મૂળને પાણી આપીએ તો સમગ્ર વૃક્ષ હર્યુભર્યું બને છે. તે રીતે જ જો મનુષ્યને પૂર્ણતા પામવી હશે તો તેના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન કરવું જરૂરી છે. સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે, લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટે પ્રયત્નશીલ છે,
વેદની ભાષા સંસ્કૃત છે. વેદનો કોઈ લેખક નથી. આજે કોઈ નાનું પુસ્તક પણ લખે તો તેમાં તેનું નામ અવશ્ય લખે છે પરંતુ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો કોઈ લેખક નથી. કારણકે ઋષિઓનું માનવું હતું કે, વેદમાં પીરસાયેલું જ્ઞાન એ ઈશ્વરિય જ્ઞાન છે.
રાજ્યપાલએ કહ્યું કે, આપણી જ્ઞાન પરંપરામાં સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે. આ વેદ તમામ વિદ્યાઓથી પરિપૂર્ણ છે. કોઈ એવી વિદ્યા નથી કે જે વેદમાં નથી. તમામ સાહિત્યની રચનાઓનો આધાર વેદ છે. વેદ જ્ઞાનનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે આ વિશ્વ બન્યું ત્યારે પરમાત્માએ માનવ અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે વેદનું જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાનને અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરા નામના ચાર ઋષિઓના હ્રદયમાં સ્થાન આપી અને તેનો પ્રસાર કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું કે, આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ અંગ્રેજી ભાષાના જ્ઞાનના આધારે થયો છે. પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનાર સંસ્કૃતથી દૂર છે. જો આ બન્ને વચ્ચે તાલમેલ કરવામાં આવે તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી પરિણામ આપી શકે તેમ છે.પોતાના જીવનમાં સત્ય અને ધર્મનું આચરણ કરજો. પોતાની વિદ્યાનો સદુપયોગ કરી બીજાને પણ આ વિદ્યાનું જ્ઞાન આપજો. સંશાધનોનો સદુપયોગ કરી ઉત્તરોત્તર પ્રગતિ કરો. નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરો. મેળવેલા જ્ઞાનને સમાજશ્રેયાર્થે વાપરી સમસ્ત સમાજ અને વિશ્વનું કલ્યાણ થાય તે દિશામાં કાર્યરત બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી.રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડો. વસંત પરીખને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને ‘શોધવિભૂષણમ્’ પુરસ્કાર-2025 એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. નેકના પૂર્વ નિયામક પ્રો. એસ. સી. શર્માએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલે આભારવિધ કરી હતી.
દિક્ષાંત સમારોહમાં શાસ્ત્રી (બી.એ.)-340, આચાર્ય (એમ.એ.)-195, પી.જી.ડી.સી.એ.-169, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-52 અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)-10 અને 23 ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને 04 સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને 27 જેટલા પદકો સાથે કુલ 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ અવસરે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રધ્યાપકો, સંતો-મહંતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.