ભરૂચ ખાતે ૧૮ કેન્દ્રો ઉપર ૧૭3 બ્લોકમાં કુલ ૩૪૦૫ જેટલા વિદ્યાર્થીઓ GUJCETની પરીક્ષા આપશે. GUJCETની પરીક્ષાના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આગામી તા.૨૩ માર્ચના રોજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં GUJCETની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ભરૂચના નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
નિવાસી અધિક કલેકટરએ સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા,આરોગ્ય વિષયક સેવાઓ તથા જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લાયઝનીંગ અધિકારીઓને જણાવ્યું હતું. શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઇ પરમારે બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાપનની માહિતી આપી હતી. ભરૂચ ખાતે ૧૮ સ્થળો પર ૧૭3 બ્લોકમાં પરીક્ષા ૩૪૦૫ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૧૬૧૧ – ગુજરાતી માધ્યમ, ૧૭૬૨- અંગ્રેજી માધ્યમ, ૩૨- હિન્દી માધ્યમવાળા વિધાર્થીઓનો સમાવેશ થાય છે.
૨૩/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. જેમાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧:૦૦ થી ૨:૦૦ દરમિયાન જીવ વિજ્ઞાન અને ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે. આ તામામ સ્થળોએ ૧૮ સ્થળ સંચાલક, ૩૬- મદદનીશ સ્થળ સંચાલક, ૧૭૨- ખંડ નિરીક્ષક, ૧૮- રીલીવર અને ૩૬ સેવકનો પોતાની ફરજ બજાવશે. એક કેન્દ્ર કો-ઓડિર્નેટર (જિલ્લા શિક્ષણાધિકારી ), એક કેન્દ્ર સુપરવાઇઝર ( નાયબ નિયામક ), ૧૮- સ્થળ સુપરવાઇઝર ( મોનીટરીંગ ટીમ વર્ગ-૧ના કર્મચારી ) જયારે ઝોન કચેરી સ્ટાફમાં એક ઝોનલ અધિકારી, ત્રણ મદદનીશ ઝોનલ અધિકારી, ૧૮ સરકારી પ્રતિનિધિ, એક રવાનગી પ્રતિનિધિ અને ત્રણ સેવકનો સમાવેશ થાય છે. જિલ્લા કંટ્રોલના પ્રતિનિધિ ચાર રહેશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, જિલ્લા આયોજન અધિકારી એ.બી.ગોહિલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.