Abtak Media Google News

ફોજદાર ચૌધરીએ રાતો રાત બંગલો ખાલી કરી જતા રહ્યા બાદ ફરજ ઉપર જ ન આવ્યાની ચર્ચાનો તાગ નવા ફોજદારને મળ્યો નહીં

ભુત બંગલો-1

(મારા અગાઉ પ્રસિધ્ધ થયેલ પુસ્તક એક પોલીસ અમલદારના અનુભવોમાં આ પ્રકરણમાં મેં એક કાલ્પનીક પાત્ર ‘ફોજદાર જયદેવ’ના અનુભવ રૂપે લખ્યું છે, ખરેખર મને આ અનુભવ સને 1981ની સાલમાં લોધીકા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે થયેલો)

(મારૂ પુસ્તક ધારાવાહી પોલીસ વેદના સંવેદના રૂપે આજ દૈનિક પત્રમાં પ્રસિધ્ધ થયેલુ ત્યારે લોધીકાના ઘણા પરીચિત અને આ ભૂતબંગલા વિશે જાણકાર લોકોનાં મારી ઉપર ફોન આવેલા તેમાં ખાસ લોધીકાના પૂર્વ સરપંચ અને દસ્તાવેજ લખવાનું કાર્યકરતા રણજીતસિંહ ગુમાનસિંહ જાડેજા (પીપરડી)નો ફોન આવેલ અને કહેલ કે ફોજદાર એન.પી. રાવ તથા ફોજદાર ચૌધરી સાથે બંગલામાં બનેલ બનાવો અંગે ગામ જાણતું હતુ પણ તમને આવો અનુભવ થયો મીત્ર તરીકે મને પણ કહેલું નહી ? મેં કહેલ કે જે તે વખતે સમય મર્યાદાને કારણે નહી કહ્યું હોય હવે તો ગામ આખાએ જાણ્યું ને ? તેમણે કહેલુ ખરેખર ભૂત બંગલો ભયંકર જ હતો !)

Untitled 1 20

ફોજદાર જયદેવ પાંચ દિવસ રાજકોટના સિટી ગેસ્ટ હાઉસમાં રોકાયો. તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનથી બદલી થયાનો જરા પણ અફસોસ ન હતો. છઠ્ઠે દિવસે પોલીસ વડા રજા ઉપરથી આવી જતાં જયદેવ તેમને મળ્યો. પોલીસ વડાએ હસીને કહ્યું: પાછા આવી ગયા?” અને થોડીવાર વિચાર કરીને કહ્યું; ‘ંહવે તો ફકત એક લોધિકા પોલીસ સ્ટેશન જ સ્વતંત્ર હવાલા માટે બાકી અને ખાલી છે…’
જયદેવે લોધિકા ગામ અંગે અગાઉ કાંઈ ખાસ જાણેલું કે સાંભળેલું નહિ. જયદેવની બીજો સ્વતંત્ર નિમણૂકનો હુકમ લોધિકા પોલીસ સ્ટેશનનો થયો, જે રાજકોટથી 40 કિમી દૂર હતું.

Untitled 2 14

પોલીસવડાની કચેરીમાં જ કર્મચારીઓથી જાણ્યું કે સાવ નકામું પોલીસ સ્ટેશન છે. કોઈ ખાસ ગુના બનતા નથી. પરંતુ બને ત્યારે ખુબ ગંભીર ગુના જ બને છે. અગવડભર્યું ગામ અને તાલુકો જ ખટપટથી ભરેલો છે. પોલીસ સ્ટેશનમાં જીપ પણ નથી. પંદર દિવસ જીપ લોધિકા રહે અને પંદર દિવસ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં રહે છે. બાકીનો બધો વ્યવહાર એસ.ટી. બસથી જ કરવો પડે છે. લોધિકા ગામમાં લોજ પણ નથી ! જમવા માટે રીબડા, ગોંડલ કે રાજકોટ આવવું પડે આવી વાતો સાંભળીને જયદેવ ઘા ખાઈ ગયો. બીજી બધી તકલીફો તો ઠીક પરંતુ દરેક ટાઈમે જમવાની મોટી ઉપાધિ, સાથે વાહન વ્યવહારની પણ તકલીફ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ બસમાં રાજકોટથી જ અપડાઉન કરતા હતા.

Untitled 3 9

પોલીસ વડાના પી.એ. એ વાત કરી કે ચાર-પાંચ મહિના પહેલાં જ એક ફોજદાર ચૌધરી, જે પીઢ અને અનુભવી અને નિવૃત્તિના આરે હતા, તેઓએ જાતે પોલીસ વડા પાસે લોધિકા પોલીસ સ્ટેશનની માંગણી કરીને ત્યાં નિમણૂક કરાવી હતી. ત્યાં તેઓ ફોજદારી કવાર્ટરમાં એકલા જ રહેતા હતા. એક વખત અરધી રાત્રીના આ ફોજદાર બંગલામાં કાંઈક ગેબી બનાવ બન્યો. ફોજદાર ચૌધરીને કોઈ ગેબી ચીજે બંગલામાંથી ઊંચકીને બહાર ફેંક્યા. તેથી તેઓ તે જ સમયે બંગલામાંથી બેગબિસ્તરા લઈને લોધિકા પોલીસ સ્ટેશનમાં જ આવી ગયેલા. પછી તેઓ પાછા બંગલામાં ગયા નહિ અને ત્યાં પૌલીસ સ્ટેશનમાં જ સૂતા. તે દિવસે સવારથી જ તેમને તાવ આવેલો અને ત્યારથી તેઓ બીમાર જ છે અને ત્યારથી રજા ઉપર જ છે.

Untitled 4 7

જયદેવનું બચપણ ગામડામાં જ પસાર થયેલું. આવી અનેક વિડંબનાઓ અને ગતકડાંઓમાંથી તે પસાર થઈ ગયેલો. તેથી આ પોલીસ વડાના અંગત મદદનીશે કરેલી વાતની તેને કોઈ અસર થઈ નહિ પરંતુ તે બોલ્યો; ’જેવા પડશે તેવા દેવાશે’ અને બીજા દિવસે સવારે ભગવાનનું નામ લઈને લોધિકા જવા રવાના થયો. રસ્તામાં જયદેવને તેના એક જૂના પરિચિત સબંધી ભગુભા મળ્યા, જેઓ લોધિકા તાલુકાના રાતૈયા ગામના જ વતની હતા. જયદેવે પોતાની નિમણૂક લોધિકા થયાની વાત કરતી ભગુભાનો અવાજ એકદમ ફરી ગયો અને બોલ્યા; ‘હૈ ! લોધિકા? ભારે કરી.

જયદેવે કહ્યું; કેમ શું થયું?”

તો તેમણે કહ્યું કે લોધિકા ગામ જ કઠણાઈવાળું છે અને પોલીસ સ્ટેશન વિસ્તાર પણ ખટપટિયો નકામો છે. પરંતુ હવે તો હુકમ થઈ જ ગયો છે તેથી કોઈ ઉપાય નથી. છતાં એમ કરો, રસ્તામાં કે રીબડા લોજમાં જમતા જો. લોધિકામાં લોજ પણ નથી. વધુમાં કહ્યું કે સાંજે છેલ્લી બસ લોધિકા આવે પછી દુનિયાથી સંપર્ક બંધ થઈ જાય છે અને પછી સવારે બીજી બસ આવે ત્યારે વાત થાય!
જેમતેમ કરી જયદેવ લોધિકા આવ્યો.

Untitled 5 8

બસ સ્ટેન્ડ સામે જ પોલીસ સ્ટેશન હતું. નવા ફોજદાર હાજર થયાના સમાચાર સાંભળતાં જ લોધિકાના પોલીસદળમાં આનંદ થયો અને દોડાદોડી કરવા લાગ્યા. પીએસઓ ઠાકરે કહ્યું કે સારું કર્યું સાહેબ તમે આવ્યા અહીં કોઈ ફોજદાર ટકતા જનથી.

ચા-પાણી પીધા બાદ રાઈટર કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મળ્યો. તેણે કહ્યું કે પૂર-હોનારત વખતે મોરબી સિટી ફોજદારનો રાઈટર હતો. એટલે કે કાયદો અને કેસ પેપર્સનો જાણકાર છે. પરંતુ અહીં લોધિકામાં કાયદાની જાણકારી કે હોશિયારીની કોઈ જ જરૂર નથી.
આ પોલીસ સ્ટેશન નિવૃત્તિના આરે હોય તેવા અધિકારી કર્મચારી માટેનું થાણુુ છે. અહીં દિવસો ટૂંકા કરવાના છે અને તમારી જેવા નવ યુવાન અધિકારી માટે તો સાથે નકામું છે. આ ગામની જ વસતી જ પણ હજાર છે. તાલુકામથક આવું નાનું છે તો બીજાં ગામડાં કેવાં હશેે? કોઈ ક્રાઈમ જ નથી ફક્ત આરામ કરવાનો છે…!

જયદેવ પોતાની બેગ લઈને આવ્યો હતો તે બેગ ચેમ્બરમાં જ રાખી હતી. થોડી વારે લોધિકા ગામના સરપંચ પ્રવીણસિંહ નવા ફોજદાર હાજર થયાની વાત સાંભળી આવકારવા અને મળવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા.

પ્રવિણસિંહ મોટી ઉંમરના, પચાસેક વર્ષના ઊંચા પડછંદ અને મોટી મોટી મૂછો અને આંખોવાળા પણ સતત હસતા ચહેરાવાળા હતા. મહેન્દ્રસિંહના કહેવા મુજબ તેઓ ખૂબ પીઢ, તટસ્થ અને અનુભવી હતા. તેઓ ચેમ્બરમાં આવ્યા ત્યાં જ બધુ સમજી ગયા અને ઔપચારિક વાતો કરી ચા-પાણી પીધાં. ચેમ્બરના દરવાજા પાસે ફોજદારનો ઓર્ડરલી મામદ અદબવાળીને ઊભો હતો. મામદ આધેડ વચનો બેઠી દડીનો મધ્યમ બાંધાનો કોન્સ્ટેબલ હતો. તે શ્યામ વર્ણનો હતો. તેના વાળ અને મુછો અર્ધી કાળી અને ધોળી હતી. આંખો વિચિત્ર રીતે પહોળી હતી.

સરપંચે મામદને કહ્યું; ફોજદારસાહેબ ! ફક્ત બેગ લઈને આવ્યા લાગે છે. માટે એમ કરો, ગ્રામ પંચાયત કચેરીમાં મારા પોતાના વધારાના પલંગ, ગાદલાં, ટેબલ, ખુરથી પડયાં છે તે સાહેબના કવાર્ટરમાં રખાવી દો. કેમ કે અહી વિશ્રામ ગૃહ કે ગેસ્ટહાઉસ તો છે નહિ. જેથી જયદેવે આગ્રહ કર્યો કે રહેવા દોે, સગવડ થઈ જશે. સરપચે કહ્યું; ‘જો આ મારી વધારાની સગવડ ને નહિ લો તો કોઈ પોલીસ વાળાની લેવી પડશે. જેથી હું જે કહું છું તે બરાબર છે.

રાઈટર મહેન્દ્રસિહે તે વાતમાં સાથ પૂરાવ્યો. જયદેવની જમવાની વ્યવસ્થા પોતે કરશે તે માટે મહેન્દ્રસિંહ અને સરપંચ વચ્ચે મીઠી રકઝક થઈ પરંતુ સરપંચે કહ્યું કે તેની પાસે માણસો, પટ્ટાવાળાની પૂરતી સગવડ છે. તમારે પોલીસને વારંવાર બંદોબસ્તમાં જવાનું હોય ત્યારે મુશ્કેલી પડે.

જયદેવને આ નિ:સહાય સ્થિતિ અંગે ખૂબજ આઘાત અને દુ:ખ લાગ્ંયા કે પોતે કેવી પરાવલંબી સ્થિતિમાં આવી ગયો, પરંતુ સમય સમયનું કામ કર્યે જાય છે. જયદેવે અગવડ-સગવડમાં પણ ગોઠવાઈ જઈને પોતાની કામગીરી શરૂ કરી દીધી.

Untitled 6 9

આમ તો અહીં લોધિકામાં કોઈ ખાસ કામગીરી જ કરવાની નહતી.

પણ જયદેવ દંઢપણે માનતો હતો કે કોઈ વિક્ટ પ્રશ્ર્નનું નિરાકરણ ગમે તેટલા પુરુષાર્થ કરવા છતાં થતું ન હોય તો તેનું નિરાકરણ ફક્ત સમય જ છે. સમયે સમયે તેનું નિરાકરણ થતું રહે છે. તે માટે રાહ જોઈ શાંતિથી દિવસો પસાર કરવા પડે છે. જિંદગીમાં તડકા- છાંયા તો આવતા જ રહે. મનુષ્ય જીવન જ અનુકૂળ અને સારી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પૂરષાર્થ અને પરિશ્રમ કરવા માટે છે. નસીબદાર વ્યક્તિને બધુ બરાબર મળે છે. બાકીનાએ પુરુષાર્થ કરી સંઘર્ષ કરી સારી સ્થિતિ પ્રાપ્ત કરવી પડે છે. કુદરત જે સંજોગો ઉભા કરે છે તેની પાછળ હંમેશાં એક સારો આશય રહેલો હોય છે. કષ્ટ અને દુ:ખ પણ જ્ઞાનની પ્રાપ્તિ કે લાભની પ્રાપ્તિ માટે જ આવતાં હોય છે.
આ દરમિયાન જયદેવને કોર્ટ મુદતે જેતપુર જવાનું થયું. વિરપુર આઉટ પોસ્ટના સમયે પોતે જેતપુર રહેતો ત્યારના પરિચિત નિવૃત્ત ફોજદાર વલીચાચા જયદેવને જેતપુર કોર્ટમાં મળી ગયા. વાતોવાતમાં વલીચાચાએ કહ્યું કે ચાર વર્ષ પહેલા હું લોધિકા પોલીસ સ્ટેશનનાં ફોજદાર તરીકે જ નિવૃત્ત થયો હતો. વલીચાચાએ જયદેવને પૂછ્યું; ’બીજુ બધું તો ઠીક… તમે લોધિકામાં રહેવાની શી વ્યવસ્થા કરી છે?’

જયદેવે સામું પૂછયું; ‘ચાચા તમે કયાં રહેતા હતા?’

વલીચાચાએ કહ્યું કે હું તો ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જયદેવે કહ્યું; ’હું તો ફોજદારના સરકારી કવાર્ટરમાં જ રહું છું. હું તો એકલો છું. મારે શું ફેર પડે?’

વલીચચાએ નવાઈ પામીને કહ્યું; ’એકલા જ ફોજદાર બંગલામાં રહો છો?’

જયદેવે કહ્યું; ‘હા. કેમ?’

વલીચાચાના ચહેરાના હાવભાવ એકદમ ફરી ગયા અને થોડીવાર ચૂપ રહી વિચાર કરી ને કહ્યું કે તમે ‘પાક’ ઈન્સાન છો તમને કોઈ વાંધો નહિ આવે. તેમ કહી વાત પૂરી કરવા પ્રયત્ન કર્યો. જયદેવને રાજકોટ પોલીસ વડાના અંગત મદદનીશે જે ફોજદાર ચૌધરી બાબતે વાત કરેલી તે અનુસંધાને કાંઈક હશે તેમ માની જયદેવે ફોજદાર ચૌધરીના બનેલ બનાવ અંગે વલીચાચાને પૂછ્યું. વલીચાચાએ કહ્યું કે મારે તો નિવૃત્ત થયે પણ ચાર વર્ષ થઈ ગયાં, તે પછી કોણ કોણ ફોજદાર લોધિકામાં આવ્યા હોય તેની મને ખબર નથી અને ચૌધરીને પણ હું ઓળખતો નથી . આમ કહી વલીચાચાએ વાત ફેરવી નાખી.

Untitled 7 5

વલીચાચાની તે વાત સાચી હતી કેમ કે ચૌધરીની લોધિકા પોલીસ સ્ટેશનમાં નિમણૂક થયે હજુ ચાર-પાંચ મહિના જ થયા હતા. તે પહેલાં પણ ટૂંકા ગાળામાં ઘણા ફોજદારો બદલાઈ ગયા હતા, વલીચાચા તો ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયા હતા.

આથી જયદેવે લોધિકા આવીને આ ફોજદારી કવાર્ટરની બે વાતો ફોજદાર ચૌધરીવાળી તથા વલીચાચાએ જે રહસ્યમય વાત કરી તે બંને વાત રાઇટર કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને કરી. મહેન્દ્રસિંહ હસવા લાગ્યો અને કહ્યું; ’સાહેબ, તમે આવું બધું માનો છો?’

આ બધી તો અભણ માણસોની કલ્પના અને માન્યતાઓ છે, પરંતુ મહેન્દ્રસિંહની આ વાતથી જયદેવને સંતોષ ન થયો અને ઉપર કહેલ બે વાતનો કોઈ તાળો મળતો ન હતો.

કેમ કે ચૌધરી તો માગીને લોધિકા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને લોધિકા જ રહેવા માગતા હતા. તેને બદલે અર્ધી રાત્રે ભાગી આવ્યા અને બીમાર પડ્યા અને ગયા તે ગયા…

બીજું, વલીચાચાની જેતપુર કોર્ટમાં સામાન્ય વાતચીતમાં જ સરકારી કવાર્ટરમાં એકલા રહેવાની વાત કરતાં એકદમ ચોંકી જવું અને ચહેરાના હાવભાવ પણ ફરી જવા અને થોડીવાર ચૂપ રહી વિચારીને એવો જવાબ દીધો કે તમો ’પાક’ ઈન્સાન છો. કોઈ વાંધો નહિ આવે તે વાત ખાસ ગોઠવીને કરી ન હતી પણ વાતવાતમાં જોગાનું જોગ જ થયેલ હતી.

જયદેવને થયું કે કદાચ મહેન્દ્રસિંહ કાંઈ જાણતા નહિ હોય અથવા ઇરાદાપૂર્વક વાત કરવા માગતા નહિ હોય. એક જૂના અને પીઢ જમાદાર યશવંત ચીન્દુ પાટીલ કે જે ઘણા લાંબા સમયથી લોધિકા પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા હતા તેને પૂછવાનું જયદેવે નક્કી કર્યું.પાટીલે જે ચોકાવનારી અને હેરતભરી લોધિકા ફોજદાર બંગલાની વાતો જયદેવને કરી તે સાંભળીને જયદેવ ચોકી ઊઠયો.
જયદેવને જમાદાર પાટીલે પ્રથમ કહ્યું કે જવા દો ને સાહેબ, કયારેક નિરાંતે વાત.. પરંતુ જયદેવને પોતે જે મકાનમાં રહેતો હતો તે મકાન અંગેની વાતો જાણવાની તાલાવેલી લાગી હતી. પાટીલે કહ્યું; ’સાહેબ, અહીં જાહેરમાં નહિ, ખાનગીમાં કહીશ.

જેથી જયદેવે કહ્યું; ‘તો બપોરે જમીને મારા કવાર્ટર ઉપર જ આવી જજો ત્યાં વાત કરીશું.’ તો પાટીલે એકદમ બંને હાથ ઊંચા કરીને કહ્યું; નહિ સાહેબ, કવાર્ટર ઉપર નહિ. સાંજે રોડ ઉપર ચાલવા જઈશું. ત્યાં વાત કરીશ.” પરંતુ બપોર બાદ જયદેવને અગત્યના કામ અંગે બહાર જવાનું થયું અને જાણવાની ઈંતેજારી ચાલુ જ રહી.

Untitled 8 6

બે ત્રણ દિવસ એમ જ નીકળી ગયા અને એક દિવસ સાંજના જયદેવને પાછી ઈંતેજારીવાળી વાત યાદ આવી અને પાટીલને બોલાવ્યો. પાટીલે કહ્યું; ’સાહેબ, તમે લીધી વાત મૂકતા નથી…’ અને બંને જણા ગોંડલ રોડ ઉપર ચાલતા થયા. એકાદ કિલોમીટર ચાલતાં એક પુલિયું આવ્યું. ત્યાં બંને જણા બેઠા. પાટીલ અવઢવમાં હતો કે વાત કરવી કે કેમ ? અને કરવી તો કેવી રીતે કરવી? જયદેવ તેના બંને પ્રશ્ર્નો સમજી ગયો અને કહ્યું વાત કરવામાં આલંકારિક ભાષા કે પ્રાસ મેળવવાનો નથી કે કોઈ પુરાવો રજૂ કરવાનો નથી. રહી વાત ડરવાની. હું કોઈ ચીજથી ડરતો નથી. મારે તો ફક્ત હું જે મકાનમાં રહું છું તેના બે પ્રશ્ર્નો ઉદ્ભવ્યા છે. તે ફોજદાર ચૌધરીનો અનુભવ અને ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થયેલ ફોજદાર વલીચાચાએ વાત પૂછેલ કે તમે ’ફોજદાર કવાર્ટરમાં જ રહો છો ?’ અને પોતે ગામમાં ભાડે રહેતા હતા. અને છેલ્લે કહેલ કે તમો ‘પાક’ ઈન્સાન છો વાંધો નહિ આવે તે અંગે જાણવા જ માગું છું. જમાદારને એમ હોય કે ફોજદારની નાની ઉંમર છે, એકલા છે, તો કદાચ ડરી જશે, તેથી જયદેવે ચોખવટ કરી લીધી.

જયદેવ કોલેજ કાળમાં જ મેટ્રિક પરીક્ષાની મેરિટ ઉપર ટેલિફોન ઓપરેટર તરીકેની નોકરીમાં લાગેલો. નિમણૂક પાલિતાણા ખાતે થયેલ. પાલિતાણાનું તે સમયનું ટેલિફોન એક્સચેંજ જૂના દરબારગઢમાં આવેલા એક અવાવરું લત્તામાં વખંભર મકાનમાં હતું. ઓપરેટરની નોકરી રાઉન્ડ ધ ક્લોક ચાલતી. રાત્રિની નોકરી અમુક પેધી ગયેલા અને સાઈડ બિઝનેસ વાળા કર્મચારીઓને ફાવી ગયેલી. તેઓ નિયમિત રીતે રાત્રિની જ નોકરી કરતા. બીજા કુટુંબકબીલા વાળા દિવસની નોકરી કરતા. જયદેવે નક્કી કર્યું કે આપણે પણ રાત્રીની જ નોકરી કરવી છે. આથી એક રાત્રીના આ પેધી ગયેલા કર્મચારીઓએ આ વખંભર બિલ્ડિંગમાં ભૂતાવળનું નાટક કરી અડધી રાત્રિના જયદેવને ડરાવીને દિવસની નોકરી કરતો કરવાની યોજના કરેલી, પરંતુ જયદેવે હિમ્મત અને યુક્તિપૂર્વક રાત્રિના પેધી ગયેલા કર્મચારીઓનો સામનો કરી કાવતરું ખૂલ્લું કરી દીધેલું.

પાટીલે જયદેવને વિચારતો જોઈને પૂછ્યું; ’શું વિચારો છો, સાહેબ ? વાત સાંભળવી જ છે ને ? ડરી તો નહિ જાવ ને ? બાકી લોધિકામાં બીજી કોઈ રહેવાની ખાસ સુવિધા નથી.’

જયદેવે મગરૂરીથી પાટીલને કહ્યું; ’જમાદાર ! વાત સાંભળવા જ તમને અહીં લાવ્યો છું.’

પાટીલે વાત ચાલુ કરી : આ ફોજદાર કવાર્ટરમાં લગભગ કોઈ રહેતું નથી. ફેમિલિ સાથે તો નહિ જ. અગાઉના સમયમાં ઝાલા સાહેબ આવેલા તેમણે દરબારગઢમાં મકાન ભાડે રાખેલું. વલીચાચા પણ બજારમાં રહેતા. છેલ્લે ચૌધરી સાહેબ અને તે પહેલાં એક રાવ કરીને ફોજદારસાહેબ આવેલા. તે બંને આ બંગલામાં રહેતા. જયદેવને તો ચૌધરી સામેથી માગીને બદલી કરાવીને લોધિકા આવેલા અને બેચાર મહિનામાં સીક રજામાં કેમ ભાગી ગયા તે વાત જાણવી હતી તેથી તે વાત કરવા જ કહ્યું.

Untitled 9 3

પાટીલે વાત શરૂ કરી : એક વખત મારી નોકરી રાત્રીના આઠથી સવારના આઠ વાગ્યા સુધીની પીએસઓ તરીકેની હતી અને ચૌધરી સાહેબ રાત્રીના સાડા નવ સુધી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. અલકમલકની વાતો કરતા હતા અને ત્યાર બાદ તેમના કવાર્ટર ઉપર જતા રહેલ. લોધિકામાં રાત્રીના નવ એટલે અડધી રાત્રી હોય તેમ સુમસામ થઈ જતું. કોઈ જાગતું નહિ. કોઈ વાહન વ્યવહાર પણ નહિ. રાત્રીના અગીયારેક વાગ્યે પાટીલે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી તે તથા તેનો કોન્સ્ટેબલ બંને સૂઈ ગયેલા.

રાત્રીના આશરે બે વાગ્યે પોલીસ સ્ટેશનનો દરવાજો જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો. પાટીલે ઝડપથી દરવાજો ખોલ્યો તો ફોજદાર ચૌધરી પોતાના બેંગબિસ્તરા સામાન સાથે પરસેવે રેબ ઝેબ ઊભા હતા. જે દરવાજો ખૂલતાં જ સીધા અંદર આવી ખુરશી ઉપર બેસી ગયા. પાટીલ તથા કોન્સ્ટેબલે સામાન અંદર લઈ ફોજદાર ચૌધરીને પાણી આપ્યું. પાટીલ સમજી ગયો કે ફોજદાર સાહેબ ગભરાઈ ગયેલા છે. થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહિ. પછી પાટીલે વિવેકથી પૂછયું; ’શું સાહેબ, ખરાબ સપનું આવ્યું ?’

ચૌધરી કહે; ’શું રાખ સપનું આવે ? અને સપનું આવે એટલે કોઈ સામાન બેગ-બીસ્તરા સાથે અડધી રાત્રે નીકળી હાલે? અરે આ સામાન સાથે મને કોઈ અગમ્ય ચીજે કવાર્ટર બહાર ફેંકયો છે…!’

Untitled 10 4

પાટીલ બધું સમજી ગયો. તે પોતે પોલીસ લાઈનમાંથી ઘેર જઈ ખાટલો લઈ આવ્યો અને પોલીસ સ્ટેશનમાં જ પથારી કરી દીધી અને ચૌધરી આડે પડખે થયા, પરંતુ સવારે ચૌધરીને સખત તાવ આવેલ હોઈ દવાખાને જઈ દવા લીધી અને સામાન લઈને લોધિકાથી ગયા તે પાછા આવ્યા જ નહિ. પાટીલે વાત પૂરી કરી હોય તેમ લાગતાં જયદેવે વધુમાં પૂછ્યું કે આ તો તાજેતરનો બનાવ છે, પણ નિવૃત્ત ફોજદાર વલીચાચા તો ચાર વર્ષ પહેલાંની પણ કાંઈક હકીકત જાણતા હતા તેનું શું?

પાટીલ વાતો કરતાં કરતાં જયદેવના હાવભાવ જોતો હતો કે જયદેવ ડરે છે કે કેમ? પરંતુ જયદેવે તો સ્કૂલ અને કોલેજ કાળમાં આવાં કંઈક ગતકડાં જોઈ નાખેલાં. તેને આવી વાતથી કોઈ અસર થયેલી નહિ. પરંતુ વાત કરતાં કરતાં પાટીલ જ ડરી ગયો હોય તેમ લાગ્યું. છતા પાટીલે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો પોતાની જવાબદારી નહિ તેમ માની જયદેવને જ પૂછી નાખ્યું; સાહેબ, પછી તમે ડરી તો નહિ જાવ ને?’

Untitled 11 1

પાટીલ તથા લોધિકાના સ્ટાફને જયદેવ સાથે ખૂબ લગાવ હતો. જો આવા સરળ, આનંદી અને સલામત અધિકારી કાંઈ બને અને બદલાઈને ચાલ્યા જાય તો બધાને મુશ્કેલી થાય. સલામત અધિકારી એટલે વેજિટેરિયન અને નોન-આલ્કોહોલિક અધિકારી. બીજા અસલામત અધિકારી માટે ઘણી વખત આવી સગવડો, આવા અગવડોવાળા ગામમાં કરવી ધણી મુશ્કેલી રહેતી.

જમાદારે જયદેવને તે ડરી તો નહિ જાય ને એમ પૂછ્યું એટલે જયદેવને પાંચ વર્ષ પહેલાંનો પાલિતાણાનો ખતરનાક અને ભયંકર અનુભવ યાદ આવી ગયો.

આ કિસ્સો ફોજદાર જયદેવને યાદ આવ્યો અને આ યાદીથી તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થયો અને જમાદાર પાટીલને કહ્યુ; ‘આવા તો ઘણા જોઈ નાખ્યા. તમતમારે વાત કરવા માંડો.’

ફોજદાર જયદેવે જોયું કે જમાદાર પાટીલ જ ડરી ગયા લાગે છે. લગભગ અંધારું થઈ ગયું હતું. વાહન વ્યવહાર તો સાંજના છ વાગ્યે છેલ્લી એસટી બસ જાય એટલે પૂરો થતો હતો. તેઓ બેઠા હતા તે પુલિયા નીચેથી તથા આજુબાજુનાં ઉજજડ ખેતરોમાંથી તમારાંના અવાજ ચાલુબંધ થતા હતા. જયદેવે પાટીલને કહ્યું; ‘બંગલે જવું છે?’ પાટીલ કહે; ’ના સાહેબ, અહીંજ સારા છીએ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.