• ઘુડખર પણ વિકાસમાં પાછળ નથી
  • પાટણ જિલ્લામાં ઘુડખરની સંખ્યામાં સૌથી વધુ 147 ટકાનો વધારો: રાજ્યમાં સૌથી વધુ 2705 જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા: વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં જોવા મળ્યા

ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ દુર્લભ પ્રાણીના રક્ષણ અને સંવર્ધન માટે કચ્છના નાના રણ તથા આસપાસના પ્રદેશોમાં ઘુડખર અભયારણ્યની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે 10મી વખત ઘુડખર વસ્તી ગણતરી યોજાઈ હતી. ત્યારે આ ગણતરી બાદ વિકાસમાં હવે ઘુડખર પણ પાછળ નથી.ઘુડખરની સંખ્યા ચાર વર્ષમાં જ 26 ટકા વધી 7600ને પાર ભારતમાં એક માત્ર ગુજરાતમાં ઘુડખરની વસ્તી 7672 નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ 2705 જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં જોવા મળ્યા. આમ પાંચ વર્ષમાં અંદાજિત 26 ટકાનો વધારો થયો છે. તો ઘુડખરની સાથોસાથ નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ અને ભારતીય શિયાળ જેવા વન્ય જીવોની ગણતરી પણ યોજાઈ. ગણતરી દરમિયાન કુલ 15,510 ચો.કિ.મી. વિસ્તાર આવરી લેવાયો છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય-એશિયાના સૂકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. 10મી ઘુડખર વસતિ ગણતરી પ્રમાણે 2705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં અને 7 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીજિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2325 રાધનપુર અને 2113 ભચાઉ રીજિયનમાં વસવાટ કરે છે. આ વન અને અભયારણ્ય વિસ્તારમાં 2569 માદા ઘુડખર, 1114 નર ઘુડખર, 584 બચ્ચા અને 2206 વણ ઓળખાયેલા છે. જ્યારે, રેવન્યૂ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચા તેમજ 283 વણ-ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7672 ઘુડખર નોંધાયા છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસતિ ગણતરી અંદાજે ડબલ્યુએપીવી-2024માં લગભગ 15,510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. ઘુડખર વસતિ ગણતરી અંદાજ મુજબ વર્ષ 1976માં 720, વર્ષ 1983માં 1989, વર્ષ 1990માં 2072, વર્ષ 1999માં 2839, વર્ષ 2014માં 4451, વર્ષ 2020માં 6082 ઘુડખર નોંધાયા હતા. જે વર્ષ 2024માં વધીને 7672 જેટલા નોંધાવા પામ્યા છે.

ઘુડખર 45થી 50 ડિગ્રી તાપમાનમાં જીવી શકે છે

ભારતીય ઘુડખરની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં 45થી 50 ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં 50થી 70 કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.