- વડાપ્રધાન મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરતું ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ અમદાવાદમાં આવેલા લોથલમાં આકાર લઈ રહ્યું છે.
- પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવું સભ્ય રાષ્ટ્ર હતું અને કેવી રીતે વૈશ્વિક સ્તરે વ્યાપાર કરતું હતું તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં જોવા મળશે.
- કૉમ્પ્લેક્સમાં માત્ર મ્યુઝિયમ જ નહીં પરંતુ અભ્યાસ માટેની સંસ્થાઓ પણ હશે
ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને મંદિરો, મ્યુઝિયમ સહિત અનેક પ્રવાસન અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. હવે ગુજરાતની આન બાન અને શાનમાં વધારો થવાનો છે. ગુજરાતમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. જાણો તેની સંપૂર્ણ માહિતી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલા 5 પ્રણોમાં પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું એક મહત્વપૂર્ણ પ્રણ છે અને આ ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ આ દિશામાં એક મોટું પગલું સાબિત થશે. 5 હજાર વર્ષ પહેલાં ભારત કેવું સભ્ય રાષ્ટ્ર હતું અને કેવી રીતે વૈશ્વિક સ્તરે વ્યાપાર કરતું હતું તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં જોવા મળશે.
આ ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ માત્ર ઇતિહાસનું જ્ઞાન નહીં આપે પરંતુ શિક્ષણ, સંશોધન અને મનોરંજનનું પણ એક અનોખું મિશ્રણ હશે. લોથલ 5 હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજો પણ બનાવવામાં આવતાં હતાં. આ ભવ્ય ઇતિહાસને આધુનિક ટેક્નોલોજીની મદદથી ફરી જીવંત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરીથી વિકાસ શક્ય બન્યો છે અને ગુજરાતની આ પ્રાચીન ધરોહર એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહી છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગ સાથે જોડીને આ મ્યુઝિયમ વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હેરિટેજ કૉમ્પ્લેક્સ ભારતના મેરિટાઇમ ઇતિહાસ અને ટેક્નોક્રાફ્ટનું અનોખું મિશ્રણ હશે અને તે માત્ર પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ અભ્યાસ માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બનશે. આ સંકુલને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમક્ષ વિકસાવવામાં આવશે અને તેની જાળવણી પણ તે જ રીતે કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે અને હજારો લોકો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. આ ઉપરાંત, અહીં અનેક કુટીર ઉદ્યોગોના વિકાસ માટે પણ નવી દિશાઓ ખુલશે.
રાષ્ટ્રીય દરિયાઈ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતનો દરિયાઈ વારસો એ સ્થિતિસ્થાપકતા, નવીનતા અને વૈશ્વિક જોડાણનો વારસો છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ માત્ર આપણા દરિયાઈ વારસાને સન્માનિત નથી કરતું, પરંતુ તે જ્ઞાન, ઇનોવેશન અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ભવિષ્યની પેઢીઓનું માર્ગદર્શન પણ કરશે.” તેમણે ઉમેર્યું કે NMHC ‘વિકાસ ભી, વિરાસત ભી’ની ભાવનાને સાકાર કરે છે અને તે વિશ્વભરના વિદ્વાનો, ઇતિહાસકારો અને મુલાકાતીઓ માટે ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓ અને પ્રગતિની એક અનોખી ઝલક આપશે.
લોથલમાં આ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે જેથી ભારતનો સામાન્ય નાગરિક પણ તેના ઇતિહાસને સરળતાથી સમજી શકે. આ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા તે સમયના યુગને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોથલ, હડપ્પીયન સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક હતું અને તે વિશ્વના સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડ માટે જાણીતું છે. લોથલમાં આ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની જાળવણી માટે એક યોગ્ય પગલું છે. આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે.
આ પ્રોજેક્ટના ફેઝ 1 -A હેઠળ 2025ના અંત સુધીમાં 14માંથી સંભવિત 6 મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે. જ્યારે ફેઝ 1-B હેઠળ બાકીની 8 ગેલેરીઓ પછીના તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ પણ બનશે, જે 77 મીટર ઊંચું હશે અને તેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે મુલાકાતીઓને સમગ્ર સંકુલનો અદભૂત નજારો પ્રદાન કરશે. રાત્રિના સમયે અહીં લાઇટિંગ શો પણ યોજાશે. આ ઉપરાંત, મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. મુલાકાતીઓની સુવિધા માટે સમગ્ર મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા કરવામાં આવશે અને 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં હડપ્પીયન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી દર્શાવવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ અને ‘એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્ક પણ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં હડપ્પીયન સમયથી લઈને આજ સુધીના ભારતના સમુદ્રી વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ હશે, તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં જોવા મળશે.
સૌથી મહત્વની વાત એ છે કે આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં એક મેરિટાઇમ યુનિવર્સિટી પણ સ્થાપિત કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને મેરીટાઈમ સંબંધિત ડિગ્રી એક જ જગ્યાએ મળી શકશે અને સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને પણ પ્રોત્સાહન મળશે. આ કૉમ્પ્લેક્સમાં માત્ર મ્યુઝિયમ જ નહીં પરંતુ અભ્યાસ માટેની સંસ્થાઓ પણ હશે. આ સાથે, વિશ્વની સૌથી મોટી અંડર વોટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સમાં બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ મુલાકાતીઓને ભારતના ભવ્ય મેરિટીઇમ ઇતિહાસની સફર કરાવશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનોખો અનુભવ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ખરેખર ‘વિરાસત ભી વિકાસ ભી’ના સૂત્રને સાકાર કરતો એક મહત્વાકાંક્ષી પ્રયાસ છે.