• પ્રશંસા અને પ્રોત્સાહન વ્યક્તિને આગળ વધવા માટેનાં પ્રેરક બળ આપે છે

સંસારમાં નિર્દોષ વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી છે.જો કોઈ માણસમાં દસ ગુણોની સરખામણીમાં બે ચાર દોષ હોય તો ચલાવી લેવું જોઈએ, નહીં તો આજકાલનું સામાજિક, આર્થિક,રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે એના પરિણામે લોકોમાં જાતજાતના દુર્ગુણો અને દોષો સહજ રીતે જ ઉત્પન્ન થઈ જાય છે.એ પરિસ્થિતિમાં સુધારા અને સહયોગની અપેક્ષા રાખનાર સમાધાનની ભાવનાથી કામ લેવાનું જાણતા હોય અને સફળ થવું હોય તો લોકોની નિર્બળતા અને ત્રુટિઓ માફ કરવી જ પડશે અને બધાની સાથે સહૃદયતાથી વર્તવું પડશે.જેથી તેઓ આપણા મિત્રો બની રહે અને ધીમે ધીમે આપણી વાતો પર ધ્યાન દઈને પોતાની જાતની સુધારણા કરવા માટે સમર્થ બની શકે.

બધાની બુદ્ધિ એક સરખી હોતી નથી.આત્મ પરીક્ષણની ક્ષમતા બધામાં હોતી નથી.આ દુનિયામાં અડધા પાગલ છે.અડધા ગાંડા ન પણ હોય તોય એટલું તો નક્કી જ છે કે આત્મ પરીક્ષણની અને વસ્તુસ્થિતિ સમજવાની યોગ્યતા બહુ ઓછા લોકોમાં હોય છે. તેઓ ભાવાવેશ,તરંગો અને સ્વતંત્ર ધારણા અનુસાર પોતપોતાના મત પ્રમાણે વર્તે છે. એમાં વિચારશીલતાનું નહીં પણ અંધ વિશ્વાસનું બાહુલ્ય જોવા મળે છે. જ્યાં વિચારશીલતાની પ્રધાનતા છે, ત્યાં ભૂલ સમજીને એનો સ્વીકાર કરવાની ક્ષમતા હશે.પરંતુ એવા ભાગ્યશાળી લોકો આ ધરતી પર માત્ર આંગળીને વેઢે ગણાય એટલા જ છે. મોટા ભાગના તો અસંસ્કૃત માનસથી જ ભરેલા જોવા મળે છે. આપણે કામ એવા લોકો પાસેથી જ લેવાનું છે. આથી જો એવી નીતિ અને કુશળતા ન દાખવીએ તો સારાં પરિણામોની આશા રાખી શકાય નહીં.

જ્યારે તમારે કોઈ વ્યક્તિને એની ભૂલ બતાવવી હોય તો પહેલા એની સામે સહાનુભૂતિ પ્રગટ કરો.આંટીઘૂંટીવાળી પરિસ્થિતિને કારણે એમ કરવા મજબૂર બનવું પડ્યું હશે, એમ કહી સાંત્વન આપો. જો એણે જાણી જોઈને પણ ભૂલ કરી હોય તો પણ બધાની વચ્ચે અપમાનિત કરવું બરાબર નથી.કારણ કે પોતે અપરાધી સાબિત ન થાય એટલા માટે દુરાગ્રહ કરશે અને ભૂલને ભૂલ સાબિત થવા જ નહીં દે. ઊલટું દુરાગ્રહપૂર્વક એનું સમર્થન કરશે.તમે કોઈને ચૂપ કરી શકો પરંતુ તેનાથી એ તમારી વાત માનવા મજબૂર થશે નહીં.ઊલટું એ પોતાના અપમાનનો બદલો લેવા માટે તૈયાર થશે.

જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે ત્યારે તેમણે મજબૂર થઈને અથવા તો દબાણવશ કે અન્ય કોઈ કારણસર એમ કરવું પડ્યું હશે, એમ કહીને ભૂલનો એકરાર કરાવવો સરળ થઈ પડે છે.આપણે એની ભૂલ બતાવીને પોતાને બુદ્ધિશાળી સાબિત કરીએ છીએ એવી શંકા પણ એના મનમાં ઉદ્ભવવા દેવી જોઈએ નહીં.જે પ્રકારની ભૂલ એ માણસે કરી છે એવી ભૂલ બીજા પણ કરે છે, કે કરી ચૂક્યા છે એવાં ઉદાહરણ આપવાથી એ ભૂલ સ્વીકારવામાં આનાકાની નહીં કરે. જો તમારા પોતાનાથી કોઈ એવી ભૂલ થઈ હોય તો એ ઉદાહરણ પણ આપી શકાય અને એને નિશ્ચિંત કરી શકાય કે એને નીચા દેખાડવા માટે વાત કહેવામાં આવતી નથી. આવી ચર્ચા બધા લોકોની વચ્ચે કરવા કરતાં એકાંતમાં જ કરવી કારણ કે ત્યાં એને પ્રતિષ્ઠા ઘટવાની બીક નથી હોતી અને સત્ય સુધી પહોંચવાનો આપણો માર્ગ પણ સરળ બની જાય છે.

જેણે ભૂલ કરી હોય એને જાહેરમાં અપરાધી કે પાપી કહેવો હાનીકર્તા છે,કારણ કે એનાથી એની તામસી પ્રકૃતિને પ્રોત્સાહન મળશે. જ્યારે કોઈને અપરાધી, પાપી, દુષ્ટ, મૂર્ખ, નાલાયક સાબિત કરવામાં આવે તો શક્ય છે કે એને પોતાના સદ્ગુણો અને સાત્વિક પ્રકૃતિ ઉપરથી વિશ્વાસ ઊઠી જાય અને નિર્લજ્જ બનીને દુર્ગુણી લોકોની પંક્તિમાં જઈને ઊભો રહે અને નીચતા ભર્યાં કાર્યો કરવા લાગે.તેથી કોઈએ ગુનો કર્યો હોય તો એને ભૂલના નામે ઓળખવો જ હિતાવહ છે. આથી પાપી કે અપરાધી જેવો હલકો શબ્દ પ્રયોગ ટાળીએ અને ભૂલને સુધારવાનું સરળ બનાવીએ.

સામાજિક જીવનમાં સૈનિકની જેમ નહીં પણ સહયોગ અને ભાઈચારાના આધારે જ વાત કરવી જોઈએ. એમાં હુકમ આપવાની પદ્ધતિ સફળ થઈ શકતી નથી. પગાર લેનાર નોકર પણ ઈચ્છે છે કે એને કોઈ મશીન માનવામાં ન આવે. જે કાર્યમાં પોતાની ઈચ્છા ન હોય એ કામ મન વગર કે વેઠ ઉતારતા હોય તેવી રીતે કરવામાં આવે છે.જો એ કામમાં મમત્વ ન ભળ્યું હોય તો પારકું કામ વેઠ ઉતારતા હોય એમ જ કરવામાં આવે છે. હુકમ કરવામાં આપણી લઘુતા દેખાય છે અને લઘુતા પરવશતાની વિરુદ્ધ મનમાં વિદ્રોહની ઈચ્છા ઉઠયા કરે છે. તમે જોયું હશે કે નાનાં બાળકો પણ હુકમ સાંભળવાનું પસંદ નથી કરતા. એને અપરાધીની જેમ આજ્ઞા પાલન માટે મજબૂર કરવામાં આવે એ જરા પણ ગમતું નથી હોતું. મોટો થતાં મનુષ્ય લાભ કે ભયના કારણે સાંભળે છે પણ તેની આંતરિક ઈચ્છા તેવી નથી હોતી.વિશ્વમાં આજકાલ સ્વતંત્રતાની તીવ્ર માંગ છે. સ્વતંત્રતા માટે માનવ જાતિ તીવ્ર સંઘર્ષ કરી રહી છે.મોટાં મોટાં બલીદાન આપી રહી છે. અધ્યાત્મવાદી પણ મુક્તિ ઈચ્છે છે. મુક્તિ કે સ્વતંત્રતા એક જ વસ્તુનાં બે નામ છે. પરાધીનતા કોઈને પણ પસંદ ન હોવાથી બધા એમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય છે. કોઈ કાર્ય કરાવવા માટે તીવ્ર ઈચ્છા જગાડવી અને એ તરફ આકર્ષિત કરવો એ સૌથી પ્રભાવશાળી રીત છે. અમુક કાર્ય સારું છે, અમુક ખોટું છે, અમુક પાપ છે, અમુક પુણ્ય છે, એટલું કહી દેવા માત્રથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. સામાન્ય બુદ્ધિના માણસોમાં ભય અને લોભના કારણે જ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. જે કાર્ય કરતા બીજાને તમે રોકવા ઈચ્છતા હો તો એ કાર્ય કરવામાં જે ભય, આપત્તિ, હાની, અનિષ્ટ ઉત્પન્ન થવાની આશંકા છે એ એને સારી રીતે સમજાવવી જોઈએ. કુમાર્ગે જતી વ્યક્તિને તેના કુકર્મોમાંથી રોકવા માટે એને ભયસ્થાનો જેવા કે બદનામી, ધનનો વ્યય,બીમારી જેવાં ભયસ્થાનો બતાવીને એવા કુકર્મો કરતા અટકાવી શકાય છે.શિક્ષા કરીને, પ્રતિબંધ લગાડીને કે બળજબરીથી રોકવાને બદલે એ માર્ગે જતા સહેવી પડતી હાની અને આશંકાઓની સમજણનું ચિત્ર એના મનમાં ખડું કરી દેવામાં આવે તો તે પોતે જ રસ્તો છોડી દેશે. તમારી સામે જો એ કાર્ય છોડીને બીજું કાર્ય કરાવવાની વાત આવે ત્યારે નવાં કાર્યોથી થતા લાભનું વિસ્તૃત વર્ણન કરીને તે તરફ રસ ઉત્પન્ન કરવો જોઈએ તથા જૂનાં કાર્યના નુકસાનનું ચિત્ર ખડું કરીને ભયભીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.જે લોકો વિવેક અને નિયમથી સમજતા નથી,જેમની ચેતના હજુ નિર્બળ છે, એમના ઉપર લોભ અને ભય દ્વારા જ પ્રભાવ પાડવો સંભવ છે.પશુને ઘાસ બતાવીને કે લાઠીનો ભય બતાવીને જ ક્યાંક લઈ જઈ શકાય છે.અલ્પ વિવેકવાળા લોકો સાથે પણ ઉત્તમ કે ઉચિત માર્ગે લઈ જવા માટે આ સાધનનો ઉપયોગ સાર્થક નીવડે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.