Abtak Media Google News
  • આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ: આપણી જમીન, અમારૂ ભવિષ્ય

આ વર્ષની થીમ “જમીન પુન:સ્થાપન, રણીકરણ અને  દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા” છે : વર્ષ 2000 થી દુષ્કાળની સંખ્યા અને અવધિમાં 29 ટકાનો વધારો થયો છે, જો પગલાં નહીં ભરાય તો 2050 સુધીમાં વિશ્ર્વની ત્રણ ચતૃર્થાંશ વસ્તીને અસર કરશે: સ્વસ્થ ઇકોલોજી એ સ્વસ્થ અર્થતંત્રનો આધાર છે

માનવ જાતે જ પૃથ્વીને પ્રદૂષિત કરી છે, હવે તે જ તેને હરિયાળી બનાવે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે પૃથ્વી પરનો દરેક માનવી આ પરત્વે કાર્ય કરીને પોતાનું યોગદાન આપે એ અત્યંત જરૂરી છે.

વૈશ્વિકસ્તરે આ વર્ષની ઉજવણી સાઉદી અરેબિયા ખાતે થશે, તેની યજમાનમાં કોપ 16 નું આયોજન થયેલ છે. આ વર્ષની થીમ “જમીન પુન:સ્થાપન રણિકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા” આ સંદર્ભે નું સૂત્ર આપણી જમીન, અમારું ભવિષ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો  અનોખો મહિમા છે. આપણે પ્રકૃત્તિના દરેક તત્વોની પૂજા કરીએ છીએ

વૃક્ષો પર્યાવરણ માટે સૌથી અગત્યના છે, જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું મહત્વનું કાર્ય કરે છે. આજે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે, અને અનેક પ્રકારના પ્રદૂષણો વધતા વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે.

વર્ષો પહેલાનો જૂનો જમાનો હતો જેમાં વૃક્ષો, તળાવોને ચોખ્ખી હવાને ચોખ્ખો ખોરાક હતો એટલે જ ત્યારે બહુ રોગો હતા નહી અને પૃથ્વીવાસી તંદુરસ્ત જીવન જીવતો હતો. આજે  આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ તેને જ બગાડીને પ્રદૂષિત કરી નાખી છે, હવે બીજે ક્યાં રહેવા જવાનાં જેવા હેતુંથી ગ્લોબલ વોર્મિંગની વૈશ્ર્વિક સમસ્યામાં સમગ્ર વિશ્ર્વે યુધ્ધના ધોરણે કાર્ય કરવું જ પડશે.આપણું પર્યાવરણ, આપણાં હાથમાં વૃક્ષો વાવો, પૃથ્વી બચાવો.

યુનાઇટેડ નેશન દ્વારા 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં 5 મી જૂને વિશ્ર્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું નક્કી કરતા વૈશ્ર્વિકસ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃત્તિ લાવવા 1974 થી આ દિવસની ઉજવણી કરાય છે. 1987 થી આ દિવસ જુદા-જુદા દેશોની યજમાનીમાં ઉજવવાનું નક્કી કરાયું જેમાં આજે 2024 ની ઉજવણી સાઉદી અરેબિયા ખાતે થનાર છે. પર્યાવરણ જાળવણીમાં સૌથી મહત્વનો રોલ વૃક્ષોને છે, કારણ કે તે હવામાંથી પ્રદૂષણ ફેલાવતા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે. આજે તો વિકાસની હરણફાળે તથા શહેરીકરણોને કારણે વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે ને જંગલો કપાતા જાય છે. તેથી સમસ્યા વણસી ગઇ છે. પૃથ્વીનું પર્યાવરણ બગડ્યુંને પ્રદૂષિત હવા સાથે આબોહવા અને ઋતુચક્રોમાં ફેરફાર થવા લાગ્યાને દરિયાની સપાટી ઊંચી આવતા દરિયાકાંઠાના દેશોમાં સુનામી જેવા તોફાનો આવ્યા જેને બધુ જ તહસનહસ કરી નાખ્યું હતું.

આપણી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા છે, આપણે પૃથ્વીના કે પ્રકૃત્તિના તમામ તત્વોની પૂજા કરીએ છીએ. વૃક્ષો, જંગલો, નદી, પર્વતો, સાગર, પશુ, પંખી, પ્રાણીઓ અને ધરતી, આકાશ માનવ જીવન સાથેનું સહિયારૂ અસ્તિત્વ છે. આપણે તેને બગાડીને આપણાં પગ પર કુહાડો માર્યો છે. ગ્લોબલ વોર્મિંગની વૈશ્ર્વિક સમસ્યાના નિવારણ માટે વૃક્ષો વાવો અને જમીની સ્ત્રોતોનું જતન સાથે સૂર્યની અફાટ શક્તિનો ઉપયોગ કરીને પૃથ્વી ગ્રહને ફરી હરિયાળો કરવો જ પડશે અન્યથા વિનાશ નક્કી છે. આપણી મૂલ્યવાન પ્રાકૃત્તિક સંપદાનું દોહન અટકે અને તેનો વિવેક પૂર્ણ ઉપયોગ થાયએ જરૂરી છે. આપણા ગુજરાતમાં વૈવિધ્યસભર પ્રાકૃત્તિક સંપદા વિપુલ પ્રમાણમાં આવેલી છે. સૌર ઉર્જા, પવન ઉર્જા, વિશાળ જંગલો, કુદરતી સંશોધનો સૌનો સહયોગ કરીને પ્રકૃત્તિ સાથે જોડાઇને આવનારા ભવિષ્યમાં ગુજરાત-ભારતને ફરી હરિયાળું બનાવીને સૂવર્ણ ભારત બનાવવાની દિશામાં સૌએ સહિયારી ભાગીદારીથી સખી મહેનત કરવી જ પડશે. સૌથી અગત્યની બાબતમાં શાળા, કોલેજના છાત્રો 100 ટકા આ કાર્યમાં જોડાઇને તેની ગંભીરતા સમજે ને કાર્ય કરે તે જરૂરી છે. દરેક શાળામાં ઇકો ક્લબ ચાલે છે, જેમાં આજ વાત વણી લેવાય છે.

પર્યાવરણની સુરક્ષા માટેની જાગૃત્તિ અને પગલાઓને પ્રોત્સાહીત કરવાનો છે. પર્યાવરણીય  મુદ્દાઓ જેમકે દરિયાઇ પ્રદૂષણ, વધુ પડતી વસ્તી, ટકાઉ વપરાશ, ગ્લોબલ વોર્મિંગ અને વન્યજીવ અપરાધ જેવા ઉપર જાગૃત્તિ લાવવાની જરૂર છે. આજે સૌએ હરિયાળી જીવનશૈલી તરફ વળવાની જરૂર છે અને તો જ પર્યાવરણ બચાવી શકીશું. આગામી વર્ષોમાં જો આપણે કાળજી ન રાખી એ તો ઘણા ગંભીર પરિણામો ભોગવવા પડશે.

વિશ્ર્વમાં 76 વર્ષ પછી એટલે કે 2100 સાલ સુધીમાં પ્રાણીઓ અને માણસોનો સામુહિક મૃત્યુંદર, આબોહવા પરિવર્તન સાથે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થતાં પૃથ્વી પરના જીવનના અસ્તિત્વ માટે પૂરતો ખતરો બની જશે. પંચમહાતત્વનો પ્રાચિન ભારતીય ખ્યાલ આપણે ભૂલી ગયા છીએ, આજે તો જમીનમાંથી નિકળતા ખનીજોનો આડેધડ ઉપયોગ એક ભયંકર સમસ્યા લાવશે. ઇલેક્ટ્રીક બાઇક, સોલર કાર જેવા ઘણા બદલાવ પણ આપણે બચવું હશે તો લાવવા જ પડશે. ઓક્સિજન ઘટતા 70 વર્ષ પછી માણસ ગુંગળામણથી મૃત્યું પામશે. આવી ઘણી આપત્તિ માટે હવે તૈયાર રહેવું જ પડશે, જો આપણે પર્યાવરણ નહી બચાવીએ તો માટે હવે જાગૃત્ત થવાની કુદરતે આપેલી છેલ્લી તક છે. ગ્લોબલ વોર્મિંગ છેલ્લા બે દાયકાથી વિજ્ઞાન અને રાજકારણનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આના અપેક્ષિત વિનાશક પરિણામો વિશે પણ ઘણી ચેતવણી મળી છે. એન્ટાર્કટિકાના પહાડો પીગળવાથી ભયંકર પૂર આવનારા છે, એ વાત નક્કી જ છે છતાં કોઇને ચિંતા નથી. આ સમસ્યા કદાચ વિશ્ર્વનો સૌથી મોટો ખતરો છે.

આબોહવા પરિવર્તનના આરોગ્ય જોખમો હોસ્પિટલ અને પરિવહન પ્રણાલીને અસર કરશે. 2080 સુધીમાં પૃથ્વીનું તાપમાન પણ વધવાથી ઘણી મુશ્કેલી ભોગવવાની આવશે. પૂર, દુષ્કાળ, ગરમીના મોજાને કારણે હતાશા માનવી ચિંતા, ડિપ્રેશન અને આત્મહત્યા જેવી માનસિક સમસ્યાથી પીડાશે. મચ્છરજન્ય ડેન્ગ્યૂ તાવ જેવી સમસ્યા વધશે. તાજા પાણીના પૂરવઠાનું જોખમ વધી જશે.

સંશાધનો વધતા જતા શોષણ અને પ્રદૂષણએ પર્યાવરણ માટેના સૌથી મોટા જોખમ છે. આ દિવસની ઉજવણીમાં વ્યક્તિઓ, સાહસો, સમુદાયો, પ્રબુધ્ધ નાગરીકો વિગેરે જોડાયને કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. વિશ્ર્વના સંશાધનોનો કુદરતી રીતે પુન:પ્રાપ્તિ કરતાં વધુ ઝડપથી ઉપયોગ કરાય રહ્યો છે. આબોહવા કટોકટીની સમસ્યામાં વિશ્ર્વના દેશો દર વર્ષે 500 બિલિયન જેવો ખર્ચ કરે છે. 2030 સુધીમાં સીઓ-2 ઉત્સર્જન અડધુ કરવાની જરૂર પડશે, યુ.એનના જણાવ્યા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન 2.7 સેલ્સીયસ અને તેથી વધુ વધારો ટાળવો જોઇએ. આપણા ગ્રહને બચાવવા માટે આપણી પાસેનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. આપણી વર્તમાન જીવનશૈલીને જાળવી રાખવા માટે 1.6 પૃથ્વીની સમકક્ષનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને પ્રકૃત્તિ આ માંગણી પૂરી કરી શકતી નથી જે જોખમ છે. આજે આ દિવસે સરકાર, વ્યવસાયો, નાગરીક, સમાજ, શાળા, હસ્તીઓ, શહેરો અને સમુદાયો આ ઉજવણીમાં જોડાઈને નતર કાર્ય કરવું પડશે.

આ ઉજવણી ફક્ત એક જ દિવસ નહી પણ 365 દિવસ સતત ચાલતી રહેવી જરૂરી છે. આગામી 80 વર્ષ પૃથ્વીવાસીઓ માટેના ખતરાવાળા હોવાથી પર્યાવરણ બચાવ અભિયાન નહીં મિશન બનાવી દો. આપણે બગાડેલી પૃથ્વીને ફરી હરિયાળી બનાવો અને પ્લાસ્ટીક યુક્ત દરિયો દૂર કરો સાથે કુદરતી સંશાધનોનો ઓછો ઉપયોગ વિગેરે કરવાથી આંશિક સુધારો થવાની શક્યતાઓ છે.

2100 સુધીમાં માનવ આરોગ્ય અને પૃથ્વી પરના તમામ જીવન ગંભીર જોખમમાં !

પર્યાવરણ બચાવવાનો સમય હવે ખૂંટતો જાય છે. આગામી 76 વર્ષ પછી આવનારી 2100 સાલ સુધીમાં માનવ-આરોગ્ય અને પૃથ્વી પરના તમામ જીવન ગંભીર જોખમમાં હશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પૃથ્વી પર ઓક્સિજન લેવલ ઘટતા પૃથ્વી પરના જીવનનો ગૂંગળામણથી મોત થશે. 2100 દી સુધીમાં તો પૃથ્વી પરના જીવન અસ્તિત્વ માટે પૂર કરતાં પણ મોટો ખતરો બની જશે. પર્યાવરણ આ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે પણ કોઇ નક્કર આયોજન થઇ રહ્યું નથી, બધા પોત-પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. આપણું અસ્તિત્વ ટકાવવા તેનો બચાવ જરૂરી છે, જો નહી કરીએ તો આપણે બચી શકીશું નહીં. આજે ઋતુચક્રોમાં ફેરફાર, આબોહવામાં ગંભીર ફેરફારો, દરિયાની ઊંચી આવતી સપાટી વિગેરે સમસ્યાઓ આપણે ભોગવી જ રહ્યા છે. પૃથ્વી પર વસતો દરેક માનવી એક વૃક્ષ વાવેને ઉછેરે તો જ બચાવ નક્કી છે. જીવસૃષ્ટિ સાથે તેની ઘણી પ્રજાતિનાં પશુ-પક્ષીની લુપ્ત થતી પ્રજાતિઓ પાછળ પણ  આ જ કારણ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.