- રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો આજથી કરાયો પ્રારંભ
- પ્રાથમિક તબક્કે રૂ.4કરોડના ખર્ચે નદીને ઊંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ
- ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને અધિકારીઓની ટીમે સ્થળ પર નિરીક્ષણ કર્યું
- રિવરફ્રન્ટને અનુરૂપ મહાપાલિકાના અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચનો કર્યા
જામનગર શહેરને નવું નજરાણું મળી રહ્યું છે, અને લોક ભાગીદારીથી તેમજ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે જામનગર ની ઐતિહાસિક રંગમતી નદી કે જેના પર રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. જેમાં આજે પ્રાથમિક તબક્કે રૂપિયા ચાર કરોડના ખર્ચે નદીને ઊંડી ઉતારવાની કામગીરી નો પ્રારંભ થઈ ગયો હતો.
જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે રંગમતી નદીના પટમાં જઈને જાત નિરીક્ષણ કર્યું હતું, અને રિવરફ્રન્ટ ને અનુરૂપ મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો કર્યા હતા. જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ અન્ય અધિકારીઓની ટીમ વગેરે સ્થળ પર હાજર રહી હતી, અને વહેલામાં વહેલી તકે રિવરફ્રન્ટ ના પ્રોજેક્ટ ને આગળ વધારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કામાં આજે બે જેસીબી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને આવનારા પાંચ દિવસમાં ૧૫ થી વધુ જેસીબી તેમજ હિટાચી મશીનો ને લગાવીને નિર્ધારિત નદી ના ભાગને ઊંડો ઉતારવા અથવા જગ્યા ખુલ્લી કરી ને સમથળ કરાવવા માટેની કામગીરી કરી લેવામાં આવશે.
ખાસ કરીને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નદી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, જેનો ઉકેલ લાવવા ના ભાગરૂપે આજે સમગ્ર કવાયત કરવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા વગેરે પણ જોડાયા હતા, અને જાત નિરીક્ષણ કર્યું હતું.