• ત્રણ થી છ વર્ષના બાળકોને બુનિયાદી શિક્ષણ મજબૂત મળે તો જ તેનો સર્વાંગી વિકાસ ઝડપી થઈ શકે : ફાઉન્ડેશન કોર્સ જેટલો મજબૂત એટલો જ તેનો શ્રેષ્ઠ વિકાસ થાય
  • આજના યુગમાં દસ વર્ષના બાળકોને વાંચતા – લખતા કે ગણતા જ આવડતું નથી, તો તેનું જીવન ઘડતર કેવી રીતે થઈ શકે: અંઅગ્રેજી માધ્યમનો વાલીઓનો મોહ કે જીદ બાળકને માતૃભાષા, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ સાઈડથી નબળો બનાવી દે છે

રાષ્ટ્રીય શિક્ષણ નતિની અમલવારીના પગલે આજે છ વર્ષ પૂર્ણ કરે ત્યારે ધો.1 માં પ્રવેશ મળે છે. 6 થી 14 વર્ષના બાળકોને મફ્ત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની બંધારણીય જોગવાઈ છે, ત્યારે હજુ પણ કેટલાય બાળકો શાળાના પગથીયા ચડતા નથી. કેટલાક થોડુ ભણીને શાળા છોડી બાળ મજૂરી કરવા લાગે છે. ધો.1 પહેલાનો અઢી ત્રણ વર્ષનો ગાળો એટલે અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન નવી શિક્ષણ નીતિ માં પણ પ્રથમ પાંચ વર્ષનાં આ ગાળાને અને ધો.1-2 ને સમાવીને ફાઉન્ડેશન કોર્ષ કરવાની સાથે શિક્ષણ વિભાગે બાલવાટિકા શરૂ કરેલ છે.

બાલ મંદિર કે નર્સરી-લોઅર કે  હાયર કે.જી. સિસ્ટમનો ગાળો આ છે. પણ આ ગાળામાં તેનો મહત્વનો વિકાસ થતો હોય છે. હવે આ ગાળો સરકારી દાયરામાં આવતા નિયત અભ્યાસક્રમ કે ચોક્કસ નિતી ઘડાવાને કારણે. બાલ મનોવિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ આવવા લાગ્યો છે. આ સંદર્ભેની શિક્ષકોને તાલીમ પણ અપાઈ રહી છે જેમાં જે તે વિષયના તજજ્ઞ માર્ગદર્શન આપીને શિક્ષકોને સજ કરીને તૈયાર કરી રહ્યા છે.

આમ જોઇએ તો ટબુકડા બાળ મિત્રોને ગુજરાતી હિન્દી કક્કો, એબીસીડી, બારાક્ષરી, હિન્દી-ગુજરાતી કે અંગ્રેજી, સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, સંખ્યા 1 થી 100 કે 1000 સાથે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, ગુજરાતી ઘડિયા 1 થી 10, 11 થી 20, 21 થી 30 કે 31 થી 40 સાથે વાંચતા-લખતા, ગણતા આવડવું જોઇએ. આ પ્રાયમરીનો સાદો અભ્યાસક્રમ છે. પરંતુ આપણી શિક્ષણ પ્રથામાં અહીં કચાશ જોવા મળે છે. ધો.7 માં ભણતો બાળક કડકડાટ વાંચી શકતો નથી. એના માટે વાંચન-ગણન-લેખન જેવા અભિયાન ચલાવવા પડે છે , જે શરમજનક બાબત છે. આજના યુગમાં શાળા સિવાયના સમયમાં માં-બાપે, મોટાભાઇ-બહેને નાના બાળકને સ્વઅધ્યયનમાં મદદરૂપ થવું જરૂરી છે. જેને કારણે બાળકને મહાવરો અને શીખેલી વસ્તુનું દ્રઢીકરણ થવાથી તેના શિક્ષણ અને સમજમાં વેગ મળે છે.

બાળકના અઢી વર્ષના આ ગાળામાં આંગણવાડીમાં ખૂબ સારૂ કામ થઇ રહ્યું છે. ખરેખર આ વયકક્ષામાં બાળકોની કાળજી લેવાય તો તેનું ફાઉન્ડેશન મજબૂત થાય અર્થાત પાયો જ મજબૂત થાય છે. શિક્ષણનો મૂળ અર્થ જ છે વિકસિત થવું. આ વય કક્ષાને સૌથી વધુ જરૂર પાયાનાં શિક્ષણની છે. તે જેટલું મજબૂત તેટલું બાળક હોશિયાર-નિપુણ સાથે તેનો સર્વાંગી વિકાસ ઝડપી બને છે. આમ જોઇએ તો આ વય કક્ષામાં ઘરમાં કે આસપાસના પર્યાવરણમાંથી નાનુ બાળક ઘણું બધુ શીખે છે. જેમાં બોલચાલની ભાષા, પરિવારના સભ્યોની ઓળખ પશુ-પક્ષી સાથે રૂટીંગ વ્યવહારની રીત-રસમ શીખી લે છે. અહિં તેમણે કલરફૂલ રમકડા બહુ ગમે છે. તેના જેવડા બાળકોને જોઇને તે બાળક ઘણું બધું શીખે છે.

ઘરનાં વાતાવરણ-આસપાસનું વાતાવરણ પ્રમાણે તે ગ્રહણ કરીને બહુ ઝડપથી શિખવા લાગે છે. મા-બાપે પુરતું ધ્યાન રાખીને, સમય આપીને જીવન મૂલ્ય શિક્ષણ, બુનિયાદી શિક્ષણ સાથે સારી ટેવો પાડવાની કામગીરી આ વયકક્ષામાં કરવી ખૂબ જ જરૂરી છે. બે કે અઢી વર્ષથી બાળક ધો.1 માં પ્રવેશ મેળવે એ વચ્ચેના ત્રણ ગાળા તેના વિકાસ માટે અત્યંત મહત્વના છે. આ વયકક્ષામાં તેની જીજ્ઞાસાવૃતિ પ્રબળ હોવાથી તે વિવિધ પ્રશ્નો પુછતા તમે સૌએ જોયા હશે. આવે સમયે તેનું જતન કરવું જરૂરી છે.

આ ગાળામાં પરિવારની ઓળખ, પક્ષીઓ, જંગલી પ્રાણીઓ, પાલતું પ્રાણીઓ, શાકભાજી, ફળ, ફૂલ, વાહનો, દેશ નેતાઓ, તહેવારો, સંગીતના સાધનો, કોમ્પ્યૂટરના સાધના-વિવિધ ધંધા રોજગાર, આપણને મદદ કરતા માણસો, કુટુંબ, ઋતુ, રંગો, જીવજંતુ, તેમની વિવિધ વસ્તુઓ, જળચરપ્રાણીઓ, ઇલેક્ટ્રીક સાધનો, સારી ટેવો, ટાઇમ-ટેબલ, ખોરાક, રાષ્ટ્રીય પ્રતિકો, શરીરનાં અંગો, વિવિધ આકારો, રસોડાની વસ્તુઓ ચલણી નાણું, સૂર્ય નમસ્કાર, યોગા, બાળ ગીતો, ચિત્રો જેવા વિવિધ પાસાઓથી શિક્ષક અને મા-બાપ વાકેફ કરાવે છે.

બે વર્ષ સુધીનું બાળક નિરિક્ષણ કરે છે, માતાની આસપાસ જ રહેતું હોવાથી તે ક્રમિક વિકાસ સાથે જોડાય છે. દૈનિક રૂટીંગ ક્રિયાઓ સ્નાન, દાંતની સફાઇ જેવી નાની નાની બાબતો બાળક જોવે છે, શિખે અને સમજે છે. બાળ મનોવિજ્ઞાન પણ કહે છે કે નાનું બાળક જોઇને વધુ શીખી શકે છે. બાળક ઘડિયાલમાં જોતા ઘરથી શીખે છે. આજના યુગમાં આ વયકક્ષાના બાળકો સ્માર્ટ ફોન પણ વાપરતા શીખી ગયા છે. કારણ મા-બાપને વાપરતા જોવે છે. આ વયકક્ષામાં તમે બાળ વાર્તા કે ગીતો દ્વારા ઘણુ બધું શિખવી શકો છો.

આંગણવાડી પ્લે હાઉસમાં બાળક જાય ત્યારે એક બીજા સાથે વાત કેમ કરવી, મિત્રતા, સૂચનાનો અમલ, જેવી બાબતો સાથે વિવિધ રમતોના માધ્યમથી દ્રઢિકરણ કે મહાવરાથી શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાવવાનું શરૂ કરે છે. ’એ’ ફોર એપલ કે ’ક’ કબૂતરનો ક બધું ત્યાં થી જ પ્રારંભ થાય છે. હવે તો ધો.પાંચ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું નવી શિક્ષણ નિતીને કારણે અમલમાં આવી ગયું છે , ત્યારે બાળક ઝડપથી શિખશે, કારણ કે તેની આસપાસ કે ઘરમાં બોલાતી માતૃભાષામાં જ તેને શિક્ષણ કાર્યને સમજ મળતા તેનો બુનિયાદી શિક્ષણનો પાયો મજબૂત બનશે.

જૂની શિક્ષણ પધ્ધતી, જૂના બાળ ગીતો-વાર્તામાં પણ અત્યારના ઇન્ફરર્મેશન ટેકનોલોજી યુગમાં સુધારો કરવો જ પડશે, એ વાત નક્કી જ છે. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે. આપણે તો ફક્ત પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવાનો છે. આ વયકક્ષામાં અનુભવ જન્ય શિક્ષણ જરૂરી છે. જેમ કે ઠંડુ-ગરમ, મીઠું-તીખુ જેવી સંવેદનાઓ સાથે તેના રસ-રૂચી-વલણો આધારિત શિક્ષકોએ કાર્ય કરવું પડે. કારણ કે દરેક બાળકની શિખવાની ક્ષમતા જુદી-જુદી હોય છે. મીનીમમ લેવલ ઓફ લર્નીંગની વ્યાખ્યા તળે કાર્ય થવું જરૂરી છે.

પહેલા બાળકો કડકડાટ વાંચતા તો આજે કેમ નહીં ?

પહેલાના જમાનામાં પ્રાથમિક શિક્ષણનો પાયો ખૂબ જ મજબૂત હોવાથી બાળકો વાંચન-ગણન, લેખનમાં ઘણા હોંશિયાર હતા. આજે તો 10 વર્ષના બાળકો પણ કડકડાટ વાંચી શકતા નથી. અંગ્રેજી માધ્યમની મોહજાળમાં ન ગુજરાતી ન અંગ્રેજી બાળક ક્યાંય નો રહેતો નથી. જો કે હવે નવી શિક્ષણ નિતી-2020 માં ધો.1 થી 5 માં ફરજીયાત ગુજરાતી માધ્યમ લાગુ પડી ગયું હોવાથી ઘણી બધી તકલીફો દૂર થઈ જશે એવું લાગી રહ્યું છે. ગુજરાતી આપણી માતૃભાષા છે જો બાળક તેમાં પાવરફૂલ થશે તો તેને અંગ્રેજી-હિન્દી જેવી ભાષાનો સમજવામાં શીખવામાં તકલીફ પડતી નથી, પણ આજે સીધા તેને અંગ્રેજીના રવાડે જ ચડાવી દેવાથી આ સમસ્યા જોવા મળે છે. વાંચન-લેખન બાદ ગણન પ્રક્રિયા શિક્ષણમાં શ્રેષ્ઠતમ બાબત ગણી શકાય છે, અને તેજ પાયાનું શિક્ષણ ગણી શકાય છે. બાળક આજ વસ્તુમાં નબળું રહેશે તો તેનો વિકાસ ઝડપી થઈ શકતો નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.