Abtak Media Google News
  • રાજકોટના આંગણે ગઝલ બહાર અંતર્ગત સંગીત પ્રેમીઓ ગઝલ, સુફી અને બોલીવુડના ગીતોનો આનંદ માણશે

રાજકોટની સંગીતપ્રેમી જનતાને ભારતીય સંગીત પ્રત્યે લગાવ વધુ પ્રબળ બને તે હેતુથી ખયાલ આર્ટસ અવનવા સંગીત અને કલાના કાર્યક્રમો યોજે છે. ત્યારે રાજકોટમાં પહેલીવાર ભારતના ચાર દિગ્ગજ ગઝલકારો દ્વારા ગઝલની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં અશોક ખોસલા સાથે ડો. રાધીકા ચોપરા, ઘનશ્યામ વાસવાણી અને જાઝીમ શર્મા ગઝલ, સુફી અને બોલીવુડના ગીતો અને ગઝલો પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પુના ખાતેના એસબીએમએસ વૃધ્ધાશ્રમની સેવાનો છે . શો માં 1000, 700, 500 અને 300ની ડોનેશન ટિકીટ રાખવામાં આવી છે, જે આવક થશે તે આ વૃધ્ધાશ્રમને આપવામાં આવશે. આ દિગ્ગજ ગાયકોની સાથે જે સંગત કરવાના છે તે પણ ભારતના ટોચના અને ખુબ જ પ્રખ્યાતી મેળવેલ કલાકારો જોડાશે. જેમાં હાર્મેનિયમ ઉપર જેમણે વર્ષો સુધી જગજીતસિંઘ સાથે સંગત કરી છે તે અખલાક હુશૈન વારસી, તબલા ઉપર આશિષ જહા, સારંગી ઉપર મુરાદ અલી ખાન, ગીટાર ઉપર સુષાંત શર્મા અને કીબોર્ડ ઉપર અનિલ ધુમલ સાથે ધૂમ મચાવશે . ભારતના ચારેય ગઝલ સમ્રાટ ઉપરાંત હાર્મોનિયમ, તબલા, સારંગી, ગીટાર અને કીબોર્ડ ઉપર જેઓએ વિશ્વસમસ્તમાં નામના પ્રાપ્ત કરી છે તેવા કલાકારો રાજકોટનાં સંગીત પ્રેમીજનોને રસતરબોળ કરશે ત્યારે આ દિગ્ગજ ગઝલકારો દ્વારા અબતક સાથે ખાસ વાતચીત કરી હતી .આ કાર્યક્રમ આજે સાંજે 7 : 30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાશે .

ડો. રાધિકા ચોપરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણી વખત પરફોર્મન્સ આપ્યું છે પણ રાજકોટ પહેલી વખત ઉમ્મીદ લઈને આવી છું કે અહીંયા સુંદર મેહફીલ જામશે .તેઓએ ગઝલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દરેક વસ્તુનો એક સમય હોય છે. એક સમય હતો કે જ્યારે લોકોને સંગીતમાં મેલોડી ગીતો સાંભળવા ગમતા ત્યારે આજની વાત કરવામાં આવે તો લોકોને ગઝલ સાંભળવી ગમે છે. સંગીત બે પ્રકારના હોય છે. એક સારું અને બીજું ખરાબ .સમય બદલતાની સાથે જે સારું સંગીત છે તે બદલતું નથી લોકોની ચાહના તેટલી જ રહે છે . ગઝલ પહેલા પણ લોકો સાંભળતા હતા, આજે પણ સાંભળે છે અને ભવિષ્યમાં પણ સાંભળતા રહેશે . મને એક વસ્તુનો અફસોસ છે કે ગઝલમાં ઉર્દૂ ભાષાનું ચલણ ઓછું થતાં ગઝલને અસર પડી છે .કોઈપણ ભાષામાં તમે ગાવ પણ ગઝલના સ્ટાન્ડર્ડ સાથે કોમ્પ્રોમાઈઝ ન થવું જોઈએ. જ્યારે હું પરફોર્મન્સ કરું છું ત્યારે મને એવું લાગે કે આ શબ્દો લોકોને નથી સમજાતા તો હું તેનું વિસ્તૃતીકરણ લોકોને સમજાવો છું જેથી કરીને લોકો ઉર્દુ ગઝલનો આનંદ માણી શકે. વધુમાં તેઓએ પોતાની સંગીતની સફર વિષે જણાવ્યું હતું કે હું સંગીતના અભ્યાસ માટે દિલ્હી આવી હતી તે દરમ્યાન મારી મુલાકાત અનેક સંગીતકારો સાથે થઈ હતી અને ત્યારબાદ મારી ગઝલની સફર શરૂ થઈ હતી .

વાદન વગર ગાયન અધૂરું છે : મુરાદ અલી ખાન

અબતક સાથેની ખાસ વાતચીતમાં સારંગી વાદક મુરાદ અલી ખાન જણાવ્યું હતું કે બોવ ઓછા લોકો સારંગી વગાડી શકે છે . મને રાજકોટમાં ગઝલ બહારનો સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભારતના દિગજ કલાકારો સહિત મ્યુઝિકના આર્ટીસ્ટો પર્ફોમન્સ કરીને આ કાર્યક્રમને દિપાવશે. લોકોને ગઝલ તો ગમશે જ પરંતુ તેની સાથે અલગ અલગ મ્યુઝીશ્યન દ્વારા જે સંગીત આપવામાં આવશે તેનો પણ અનેરો આનંદ માણવા મળશે .જેટલું મહત્વ ગાયકનું છે તેટલું જ મહત્વ તેના સાથી વાદકોનું છે . ગીત હોય કે ગઝલ સંગીત વિના તે અધૂરા છે.

જગજીત સિંહના માર્ગદર્શનના લીધે હું અહિયા પહોચ્યો ઘનશ્યામ વાસવાણી

અબતક સાથેની ખાસ વાતચીતમાં ઘનશ્યામ વાસવાણીએ જણાવ્યું હતું કે ગઝલની વાત કરવામાં આવે તો હું બાળપણથી જ ગઝલ સાંભળતો હતો . ધીમે ધીમે મારી રૂચી તેમાં વધતી ગઈ હતી . મને જગજીત સિંહે માર્ગદર્શન આપ્યું હતું તેથી હું અહિયાં સુધી પહોંચ્યો છું. જગજીત સિંહની ગઝલો માંથી ઘણું બધું શીખવા મળ્યું હતું. જેમ જેમ હું સંભાળતો ગયો તેમ તેમ ગઝલ મારો શોખ બની ગઈ હતી . ત્યારબાદ હું અવારનવાર ગઝલકારોને રેડિયોમાં સાંભળતો હતો. 2002માં કેટલીક ગઝલોને કમ્પોઝ કરી અને ત્યારબાદ નવ ગઝલોનો આલ્બમ કર્યો હતો .

આજની યુવા પેઢીને ગઝલ સાથે જોડવાનો એક માત્ર અમારો હેતુ : અશોક ખોસલા

અશોક ખોસલાજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ખૂબ આનંદ થાય છે કે ગઝલ બહાર મુંબઈ કે દિલ્હી નહિ પરંતુ ગુજરાતના અને એમાં પણ રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે . અમારો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આજની યુવા પેઢી ગઝલ સાથે જોડાય. 2014 માં મુંબઈમાં પહેલી વખત ગઝલ બહારની શરૂઆત કરવામાં આવી હતી . ડો.રાધિકા ચોપરાજી અને ઘનશ્યામ વાસવાણીજી અમે લોકોએ સાથે કામ કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના આંગણે અમને પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો તે ગુજરાતમાં ગઝલની દુનિયામાં એક નવી રોશનીના કિરણ સમાન છે . મેં મારી સંગીતની દુનિયામાં બોવ નાની ઉંમરે પગલું માંડ્યું હતું .ત્યાર પછી હું ગઝલ સાંભળતો અને સ્ટેજ પ્રોગ્રામમાં જતો.ત્યાર પછી એક સમય એવો આવ્યો કે હું ગઝલના નાના મોટા પરફોર્મન્સ કરતો .મારી ગઝલની દુનિયાના સફરના સાથી જગજીત સિંહ હતા મેં તેમની પાસેથી ઘણું બધું શીખ્યું છે . તેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો તે મારું અહોભાગ્ય છે.

ગઝલને નવી પેઢી સાથે જોડી રાખવા નવા અંદાજમાં રજુ કરવી પડે છે : જાઝીમ શર્મા

અબતક સાથેની ખાસ વાતચીતમાં જાઝીમ શર્માએ જણાવ્યું હતું કે મને મુસ્તાદ ગુલામઅલી ખાન પાસેથી પ્રેરણા મળી હતી . જ્યારે મેં પહેલી વખત તેમને સાંભળ્યા હતા ત્યારે મને તેની પાસેથી પ્રેરણા મળી હતી અને મેં ત્યારથી ગઝલ ગાવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ મેં જગજીતસિંહ જેવા ગઝલકારોને પણ સાંભળ્યા હતા. આજની સંગીત દુનિયામાં ઘણું બધું નવું આવી ગયું છે ત્યારે ગઝલમાં કંઈક નવું કરી લોકોને સમક્ષ કરવામાં આવે તો આજે પણ લોકો ને ગઝલ ગમે છે. હું એવું પરફોર્મન્સ આપું છું કે જે લોકો ગઝલ સાથે જોડાયેલા હોય તેને પણ મજા આવે અને પહેલી વખત સાંભળતા હોય તેવા લોકોને પણ મજા આવે. હું માત્ર ગઝલ નહીં પરંતુ સુફી તથા બોલીવુડ ગીતો પણ ગાઉ છું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.