- પાંડેસરા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો
- પાંડેસરાના કૈલાશ નગર ચોકડીમાં ધૂળેટીના દિવસે રંગ લગાવવા બાબતે ઝઘડો થયો હતો
- 4 આરોપીઓએ એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો
- પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી હાથ જોડીને લોકો પાસે માફી મંગાવી
સુરતમાં દિવસે ને દિવસે મારામારી, હત્યા-લૂંટ સહિતના બનાવો સાથે-સાથે અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. જ્યારે ધૂળેટીના દિવસે સુરતના સચિન વિસ્તારમાં આરોપીઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. સચિનના સેજલનગરમાં રીક્ષામાં આવેલા લોકોએ 4થી 5 લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પૂરપાટ ઝડપે રીક્ષા હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે પોલીસે ચાર અસામાજિક તત્ત્વોની ધરપકડ કરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના વિષે વાત કરવામાં આવે તો, ધુળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો. વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે.
આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને જાહેરમાં ઉઠક બેઠક પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો.તદનંતર, પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી, લોકલ આથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી.
પોલીસે આ કેસમાં ચારે આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી ત્રણ જણ ગોરખપુર, ઉત્તરપ્રદેશના અને એક બસ્તી, ઉત્તરપ્રદેશનો મૂળ નિવાસી છે.દિવાકર રામઉજાગીર યાદવ (24)ડિલિવરી બોય, ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની (24)જેપ્ટોમાં ડિલિવરી, આકાશ કુશહર ગુપ્તા(24) કલર કામ, અને રામજતન રામચંદ્ર યાદવ (23 ) મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે.
પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે, આવું કોઇ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય