સુરત: દર વર્ષે ૨૨ માર્ચના રોજ જળ સંરક્ષણ અને પાણીનું જતન અંગે જન જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં પ્રથમ વખત બ્રાઝિલના રિયો ડી જનેરોમાં આયોજિત પર્યાવરણ અને વિકાસ પરિષદ કાર્યક્રમમાં વિશ્વ જળ દિવસની ઉજવણીની પહેલ કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે જળ દિવસની ઉજવણીનો વિચાર વર્ષ ૧૯૯૨માં રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા દર વર્ષે ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૯૩માં પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. ૧૯૯૩થી, જળ સંરક્ષણ અને તેના મહત્વને સમજવા માટે દર વર્ષે ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંકટ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર પડતા અસરકારક પ્રભાવોને ઉજાગર કરવાનો છે. આપણને જળ સંસાધનોનો સચોટ ઉપયોગ કરવા અને વરસાદી પાણી સંચય જેવી તકનીકો અપનાવવા માટે પ્રેરિત કરે છે, જળ છે તો જીવન છે, અને તેને બચાવવું એ આપણી સૌની જવાબદારી છે. વિદ્યાર્થીઓમાં જળ સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસિત થાય તે માટે અનેકવિધ સંસ્થાઓ પણ જાગૃતિ માટે કાર્ય કરતી હોય છે. એક સમય હતો જ્યારે કુવાઓ, તળાવો, નહેરો અને નદીઓ દરેક જગ્યાએ દેખાતા હતા, પરંતુ હવે પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં જળ સંકટની સમસ્યા ઉભી થઈ રહી છે.
આવો સૌ સાથે મળીને ‘વરસાદ જ્યાં પણ પડે છે અને જ્યારે પણ પડે છે, વરસાદનું પાણી એકત્રિત કરવાનો સંકલ્પ લઈએ.’ સુરત જિલ્લામાં પણ કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલની પ્રેરણાથી શહેર-જિલ્લામાં કેચ ધ રેઈન હેઠળ જળસંચય અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે સમગ્ર રાજયની સાથે દેશભરમાં ફેલાયું છે. સુરત જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયત વિભાગના સિંચાઇ હેઠળ જળસંચયના અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ વોટર-રીચાર્જ હેઠળના અનેકવિધ કામો કરવામાં આવ્યા છે. માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૩૭૭ કુવા રીચાર્જ કરવામાં આવ્યા જયારે બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં ૨૩૦ જેટલા બોર રીચાર્જ તથા ૮૭૩ રીચાર્ઝ પીટના કામો પુર્ણ કરવામાં આવ્યા છે.
આવી જ રીતે જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળ હેઠળ કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, પલસાણા તાલુકામાં સિંચાઈ હેઠળ ગ્રામ પંચાયતો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મકાનોની છત પરથી આવતા પાણીના સંગ્રહ થાય તેમજ ગામની અન્ય સ્થળો સહિત ૪૦૦ જેટલા બોર રિચાર્જના કામો પુર્ણ કરાયા છે. જયારે ૧૫માં નાણા પંચ હેઠળ આગામી સમયમાં ઉપરોકત તાલુકાઓમાં ૧૫૧ જેટલા રેઈન વોટર હાઈવેસ્ટીંગના કામો પુર્ણ કરવામાં આવશે. જળસંચયના અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ., વેપારી સંગઠનો, ક્રેડાઈ સહિત કડોદરાના ઔદ્યોગિક એકમોએ પણ પોતાની રીતે વોટર હાઈવેસ્ટીંગના કામો પુર્ણ કર્યા છે. તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે સમગ્ર ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામોમાં કુલ ૧૦,૦૦૦ ભુગર્ભ વોટર રીચાર્જ સ્ટ્રકચર બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. જેની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.