અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ
VNSGUના ગેટ બહાર જ કરવામાં આવ્યો વિરોધ
S.T કેટેગરીના વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરવાના મામલે વિરોધ
પોલીસ અને વિદ્યાર્થી પરિષદ વચ્ચે ઘર્ષણના સર્જાયા દ્રશ્યો
સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો VNSGUના ગેટ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, S.T કેટેગરીના વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરવા અને LLBના વિદ્યાર્થીઓના એડમિશનો બંધ કરાવવાના મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી પરિષદે પરિપત્રની હોળી કરવાનો પ્રયાસ કરાતા પોલીસે અટકાયત કરી હતી. તેમજ પોલીસ અને વિદ્યાર્થી પરિષદ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી, પૂંતળું બાળી, સુત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024ના ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. આ નિર્ણયને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે. જે નિર્ણયના પગલે આજે ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
સુરતમાં પણ ABVPના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આજે યૂનિવર્સિટીની બહાર એકઠા થયા. “વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો”, “શિક્ષણ અમારો અધિકાર છે”, “જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો” જેવા ઉગ્ર સૂત્રોચાર સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. માત્ર સૂત્રોચાર જ નહીં રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ પણ કર્યું.
શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા S.T કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે. LLBના વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે. તો આ એડમીશન આ સત્રથી ચાલુ કરવામાં આવે છે. આ માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
સાથે આ વિરોધ પ્રદર્શન માં પરિપત્ર ની હોળી પ્રગટાવામાં આવશે અને હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા યુનિવર્સિટી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધૂન બાદ યુનિવર્સિટીના ગેટથી અંદર જતાં વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતાં. હોળી કરવાનો પ્રયાસ પરિપત્રનો કરાતા પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતાં.