પ્રકૃતિ અને માનવ જીવન બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી બની છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો પૂરી પાડવાની સાથે પ્રાકૃતિક કૃષિના આયામોનું વેચાણ કરી ધરતીપુત્રો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળીયાપુરા ગામના કરણસિંહ તડવી.S
કરણસિંહ તડવી છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે તેઓ પ્રાકૃતિક કૃષિ કરી સારું ઉત્પાદન મેળવે છે સાથે જ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની એમના વિસ્તારમાં વેચાણ પણ કરી રહ્યા છે. તેઓ જીવામૃત વિષે જણાવે છે કે, એક બેરલમાં ગૌમાતાનું 10 કિલો ગોબર,10 લીટર ગૌમૂત્ર, એક કિલો ચણાનો લોટ, એક કિલો દેશી ગોળ, 500 ગ્રામ વડ નીચેની માટી પાણીમાં મિક્ષ કરી ઘડિયાળના કાંટાની દિશામાં સાવર સાંજ 5-5 મિનીટ સુધી હલાવવાનું રહેશે. શિયાળાના સમયમાં 7 દિવસમાં તૈયાર થઈ જાય છે તેને પંપ દ્વારા અથવા પાણીમાં આપવામાં આવે છે.
વધુમાં નીમાસ્ત્ર વિષે તેઓ જણાવે છે કે, દસ લીટર ગૌમૂત્ર, 10 કિલો દેશી ગાયનું ગોબર, કડવા લીંબડાના પાન નાખી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ ૫-૫ મિનીટ સુધી હલાવવાનું રહેશે. 10 દિવસમાં તૈયાર થઈ જાય છે, ત્યાર બાદ પાકમાં સૂક્ષ્મ જીવાતો પડે ત્યારે નીમાસ્ત્રના ઉપયોગથી દૂર થઈ જાય છે. સાથે દશ પર્ણી અર્ક માટે 500 ગ્રામ લીલા મરચા, 500 ગ્રામ હળદર, 250 ગ્રામ આદુ,1 કિલો તંબાકુ, 10 લીટર ગૌમૂત્ર, 10 વનસ્પતિઓના પાનની (ચટણી) અને 100 લીટર પાણી નાખી બનાવામાં આવે છે. જે કપાસ,મકાઈ અને શાકભાજીમાં નાની મોટી ઈયળનો નિયત્રણ માટે ખુબ ઉપયોગી છે.
તડવી કરણસિંહ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની વેચાણની વાત કરતા જણાવે છે કે, જે આયામો બનાવીએ છે તે અન્ય ગામના ખેડૂતોને વેચાણ કરી સારી આવક મેળવીએ છીએ, જેમાં જીવામૃત 10 રૂપિયા લીટર, નીમાસ્ત્ર 10 રૂપિયા લીટર, ભ્રહ્માસ્ત્ર 20 રૂપિયા લીટર, અગ્નિસ્ત્ર 20 રૂપિયા લીટર અને દસપર્ણીઅર્ક 50 રૂપિયા લીટરે વેચાણ કરું છું .
વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે કપાસની ખેતી કરી રહ્યા છે. કપાસના વાવેતરમાં તમને 7 ક્વિન્ટલ કપાસનું ઉત્પાદન થયું હતું. કપાસના એક ક્વીન્ટલના 8 હજાર લેખે 56 હજારનું કપાસનું વેચાણ કર્યું હતું. તેમણે પાકના વેચાણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જે પણ પાકનું ઉત્પાદન થાય છે તેને વેચવા માટે હાટ બજાર જાવ છું. દર રવિવારે કેવડિયામાં શાકભાજી વેચાણ કરવા માટે જાવ છું. મને પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણો ફાયદો થયો છે એમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિમાં અંબાડા કલસ્ટરનો માસ્ટર ટ્રેનર છું અને કલસ્ટરમાં આવતા ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આપુ છું. આ વખતે રવિ પાકો વિષે તાલીમ આપી છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણો ફાયદો થાય છે અને ખર્ચ ઓછો થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.