- સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી
- શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ–પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, બ્રહ્મ ભોજન સહિતના સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા
- ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાનું શાસ્ત્રોકત કાલ ગણનાનું તારણ
Gir Somnath : ગતરોજ રવિવારના રોજ સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસર પર વિવિધ ધાર્મિકવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિષ દ્રષ્ટીએ ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલ હતું.
સોમનાથ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે, તે જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક લોકોને ચિંતાથી મુક્તિ મળે છે. એટલે કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી. ગોલોક ધામ એ જ પાવન સ્થાન છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે. તેથી જ પ્રભાસની ભૂમીને હરિ–હર ભૂમી કહેવાય છે. જયાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પરથી પ્રયાણ કર્યું.
કઈ રીતે મળ્યું નિજધામ ગમન તિથિનું તારણ? :
ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે પૃથ્વીલોક થી સ્વધામ ગમન કરેલ હતું.
ઉત્સવની શરૂઆત સૂર્યોદયના વધામણા સાથે કરવામાં આવી હતી, જ્યાં નવા વર્ષના સૂર્યનું વધામણું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ભારતી ગુજરાતના પ્રતિભાશાળી કલાકારો તથા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે નૂતન વર્ષના સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગ નીમીત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું, શ્રીકૃષ્ણ ને પ્રિય એવી ગૌમાતાનુ પુજન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ બપોરના 2 કલાક 27 મીનીટ અને 30 સેકન્ડ ના સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ પૃથ્વીલોક પરથી ગોલોકધામની ભૂમીથી સ્વધામ ગમન કર્યું. એજ ક્ષણે ગતરોજ શ્રી કૃષ્ણની ચરણપાદુકાનું પુજન કરવામાં આવ્યું હતું, સાથે શંખનાદ અને જયઘોષ કરવામાં આવ્યું હતું. આ ક્ષણે વાતાવરણ શ્રીકૃષ્ણના હરિ નામ રટણમાં લીન થયું હતું.
ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા. યજમાન વેજાણંદ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે જ સંસ્કારભારતી દ્વારા ગોલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, જનરલ મેનેજર, સહિતના અધિકારીઓ કર્મચારીઓ, ભક્તો સહિત યજ્ઞ યજમાન વેજાણંદ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી. તમામ ધાર્મિક કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર ભજન ભોજન અને ભક્તિ સાથે કાર્યક્રમને વિરામ અપાયો હતો.
અતુલ કૉટૅચા