Abtak Media Google News
  • કોઈકે ધક્કો મારી હત્યા નિપજાવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

રાજકોટ શહેરના ધરમનગરના ક્વાર્ટરના ચોથા માળેથી નશાની હાલતમાં યુવક નીચે પટકાતા સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું છે. બીજી બાજુ કોઈકે ધક્કો મારી હત્યા નીપજાવી દીધાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલા ધરમનગર આવાસના ક્વાર્ટરમાં રહેતા અને કડિયાકામ કરતા વિપુલભાઈ માધાભાઈ ગુજ્જર (ઉ.વ.35) નામના યુવકનું ગઈકાલે બપોરે આશરે ત્રણેક વાગ્યાં આસપાસ ક્વાર્ટરના ચોથા માળેથી નીચે પટકાતા મોત સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યારે પ્રાથમિક સારવાર મળે તે પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નીચે પટકાયેલો યુવક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક દારૂનો બંધાણી હોવાથી પત્ની છેલ્લા 20 દિવસથી રિસામણે ચાલી ગઈ હતી.

બીજી બાજુ સમગ્ર ઘટના મામલે મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે કે, કોઈકે ધક્કો મારી દેતા યુવકનું મોત નીપજયું છે અને મામલામાં તપાસની માંગણી કરવામાં આવી છે. હાલ યુનિવર્સીટી પોલીસે તમામ વિગતો એકત્ર કરીને યુવકનું આકસ્મિક મોત નીપજ્યું છે કે પછી ખરેખર કોઈકે ધક્કો મારી દેતા મોત થયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.