- સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસમાટે સૌરાષ્ટ્રના દરિયા, પર્વતો, જંગલો, રણની ભૌગોલિક વિરાસતો, સ્થાપત્યો, અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ
- આજે રાષ્ટ્રીય પર્યટન દિવસ
- સમગ્ર દેશમાં દર વર્ષે 25મી જાન્યુઆરીને ’રાષ્ટ્રીય પર્યટન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતના વૈવિધ્યસભર પર્યટન સ્થળો અને તેની ધરોહરના જતન માટે નાગરિકોને જાગૃત કરવાનો પ્રયાસ છે.
ગુજરાતના અતિ મહત્વના પ્રદેશ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો, પર્વતો, જંગલો અને રણ પ્રદેશ, ઐતિહાસિક સ્થળો આવેલા છે. સૌરાષ્ટ્રમાં બે મહત્વના યાત્રાધામો દ્વારકા અને સોમનાથ પણ છે. છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારની આવકારદાયક પ્રવાસન નીતિને કારણે અનેક લોકો સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે આવા ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળો ખાતે વિવિધ મેળા તેમજ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.
દર વર્ષે બહારથી આવતા લાખો પ્રવાસીઓ ગુજરાતની ખાનપાન, પરંપરા, પ્રતિષ્ઠાને જાણે અને માણે છે. પર્યટન ક્ષેત્ર માટે અંદાજપત્રમાં દર વર્ષે વિશેષ જોગવાઈ કરવામાં આવે છે તેમજ તેના વિકાસ માટે ગુજરાત સરકાર સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે જેના માટે વિશેષ રીતે હેરિટેજ પોલિસી જેવી અનેક પોલિસીઓ કાર્યરત છે. તો આવો… આ ઇતિહાસ અને અધ્યાત્મની ધરા સાથે જોડાયેલા ગુજરાતના અનેકાનેક સ્થળોની માહિતી જોઇએ.
ગુજરાત સરકારે તા.29.10.2024ના એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ’બરડા વન્યજીવ અભયારણ્ય’ની ભેટ બરડા પંથકમાં આપી છે. અહી પર્યટકો જંગલ સફારીની મજા લઇ રહયા છે.
દેશ અને દુનિયામાં સિરામિક,ઘડિયાળ, બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દૃ્ ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચન્દ્રાચાર્યનુ જન્મ સ્થળ વવાણીયા આવેલ છે. મોરબીના મહારાજા લખધીરસિંહે 1946માં બંધાવેલુ પિતૃ તર્પણ માટે જાણીતુ રફાળેશ્વર મંદિર, માટેલનું શ્રી ખોડિયાળ માતાનું મંદિર , રતનપરમાં આવેલ શ્રી રામચરિત માનસ મંદિર વગેરેના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે, વાંકાનેર નજીકના તીથવા ગામના ડુંગર ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મંદિર, તત્કાલીન રાજવીઓનો વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે પણ જાણીતા પ્રવાસન સ્થળો છે. મોરબીમાં રફાળેશ્વર, રતનપર વગેરે ખાતે ભરાતા લોકમેળા સુપ્રસિધ્ધ છે.
ભારતીય સેનાની ત્રણેય પાંખો(નેવી, આર્મી, એરફોર્સ) આવેલી છે એવા છોટી કાશી, બ્રાસ સીટી અને બાંધણીના નગર તરીકે ઓળખાતા આ જિલ્લામાં બાલા હનુમાન, રણજીત સાગર ડેમ, વિકિયા વાવ, મોડપર કિલ્લો, જોડિયા, મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભ્યારણ, રણજીત સાગર ડેમ, પીરોટન ટાપુ, નરારા ટાપુ સહિતના વિવિધ પ્રાકૃતિક અને જીવસૃષ્ટીને માણવાલાયક સ્થળો આવેલા છે. ધ્રોલમાં ભૂચર મોરીનું મંદિર, બાલાચડી સૈનિક સ્કુલ વગેરે પણ આવેલા છે.
પાંચાલની આ ભૂમિ તરણેતરના સુપ્રસિધ્ધ લોકમેળાથી જાણીતી બની છે. આ જિલ્લામાં ઘુડખર અભયારણ્ય, ચોટીલાના ડુંગર ઉપર માતા ચામુંડાનું મદિર, હવા મહેલ, માધા વાવ, રાણકદેવી મંદિર, મીનળ વાવ, સેજકેરનો નવલખો, જગદીશ આશ્રમ, ભીમોરની ગુફા, ત્રિનેત્રેશ્વર મહાદેવનો લોકપ્રિય મેળો, કબીર આશ્રમ, નળ સરોવર, માંડવ વિડ સહિતના સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ જિલ્લાના ધારીમાં આવેલ જંગલ એશિયાટિક સિંહો માટે જાણીતું સ્થળ છે. રાજયસરકાર દ્વારા ખોડિયાર ડેમની નજીક સિંહ દર્શન તેમજ અન્ય વન્ય પ્રાણીઓને વિહરતા જોવા માટે આંબરડી પાર્ક બનાવાયો છે. તેમજ અહીં રાજ મહેલ, ગીરધરભાઈ સંગ્રહાલય, પાંડવ કુંડ, ભગવાન શ્રી હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થળ ભુરખિયા હનુમાન, સરકેશ્વર, દીવાદાંડી, કલાપી તીર્થ અને વારાહી માતાનું મંદિર પણ અહીં આવેલ છે.
તથા ગુજરાત સરકારે તા.29.10.2024ના એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ’બરડા વન્યજીવ અભયારણ્ય’ની ભેટ બરડા પંથકમાં આપી છે. અહી પર્યટકો જંગલ સફારીની મજા લઇ રહયા છે.
ભગવાનશ્રી કૃષ્ણના બાલ સખા એવા સુદામાની આ નગરીમાં દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર તેમજ દરિયા કાંઠે વિકસેલું આ શહેર સુપ્રસિધ ભાગવત આચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો સાંદીપની આશ્રમ આવેલો છે. દરિયા ઉપરાંત બરડા ડુંગરથી છવાયેલા આ જિલ્લામાં આવેલ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ રુકમણી માતા સાથે થયા હતા તે જગ્યા પર પ્રતિ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે, જેમાં દેશભરથી પર્યટકો આવે છે. માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. મોચા હનુમાન, બરડા અભ્યારણ, ખીમેશ્વર મંદિર, લીરબાઇમાંનું મંદિર, તેમજ બિલેશ્વર મહાદેવ જેવા સ્થળો અહીં આવેલ છે.
દેશના ચાર ધામો પૈકી એક ધામ તથા 12 જ્યોર્તિલિંગમાંથી એક એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ, શારાદાપીઠ, દાંડી હનુમાન, બ્લુ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ, તેમજ ડની પોઈન્ટ , ગોમતી ઘાટ, પીંડારા, દ્વારકાનો દરિયા કિનારો, બેટ દ્વારકા, પવિત્ર ગોમતી તટ પર આવેલ ભગવાન શ્રીકૃષ્ણનુ અતિ લોકપ્રિય અને 14000 વર્ષ ની તવારીખ ધરાવતુ ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર, રુકમણી દેવીનું મંદિર પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. બરડો ડુંગર, નવલખી ઘુમલી મહેલ, વિર માંગડા વાળાની જગ્યા, કિલ્લેશ્વર મહાદેવ, ગોપનાથ મંદિર, હાથલામાં શનિદેવ મંદિર, સિદસર ઉમિયા મંદિર, ઇન્દ્રેશ્વર મંદિર વગેરે આવેલા છે.
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટ કાઠિયાવાડ તરીકે પ્રસિધ્ધ
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટ કે જે કાઠિયાવાડ તરીકે પણ પ્રસિધ્ધ છે તેને 8 જિલ્લાની બોર્ડેર સ્પર્શે છે. રાજકોટમાં મહાત્મા ગાંધીએ જ્યાં 8 વર્ષ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ સ્કુલ હવે વૈશ્વિક કક્ષાના ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ગાંધીજીનું નિવાસસ્થાન ‘કબા ગાંધીનો ડેલો’ પણ રાજકોટના જોવાલાયક સ્થળો પૈકીનો એક છે, જયા ગાંધીજીના લગ્ન થયા હતા અને તેઓના બે બાળકોના જન્મ પણ આ જ ઘરમાં થયા હતા. રાજકોટનો અનળગઢ, દરબાર ગઢ, રણજીત વિલાસ પેલેસ, સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર, ઈશ્વરીયા પાર્ક, અતિ અદ્યતન રીજીયોનલ સાયન્સ સેન્ટર, રામ વન, પ્રદ્યુમન પાર્ક, અંગ્રેજોના શાસનકાળમાં રાજકુમારોના શિક્ષણ માટે શરૂ કરેલ રાજકુમાર કોલેજ, ખાદી સહિતની રચનાત્મક પ્રવૃત્તિો માટે સ્થાપિત રાષ્ટ્રિય શાળા, રાંદરડા તળાવ, રેસકોર્સ, આજી અને ન્યારી ડેમ, બાલભવન, રેસકોર્ષ, જયુબેલી ગાર્ડન સહિતના અનેક પર્યટક સ્થળો આવેલ છે. જયારે જિલ્લામાં આવેલ વિવિધ સ્થળોમાં ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, ખોડલધામ, સંત શિરોમણિ જલારામ બાપાનું વીરપુર, રાજા સિધ્ધરાજના માતા મીનળદેવીએ બંધાવેલ મીનળ વાવ, શક્તિવન, કાગવડ, ખંભાલીડાની બૌધ્ધ ગુફાઓ, ઘેલા સોમનાથ, હિંગોળગઢ, જેતપુર પાસેનો ભાદર ડેમ, ગોંડલનુંસ્વામીનારાયણ મંદિર, ભૂવનેશ્વરી મંદિર, નાથાભાઇ જોષી સ્થાપિત રમાનાથ મંદિર, હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો, દેશ-વિદેશની ઢીંગલીઓનું ડોલ્સ મ્યુઝિયમ, ઇ.સ. 1856માં સ્થાપાયેલી 160 વર્ષ જૂની લેંગ લાઇબ્રેરી સહિતના સ્થળો અહીં આવેલા છે. રાજકોટ, ધેલા સોમનાથ અને ઓસમ પાટણવાવમાં ભરાતા લોકમેળા પણ સુપ્રસિધ્ધ છે.
કચ્છમાં ધોળા વીરાની પ્રાચીન સંસ્કૃતિના પુરાવા નાસમૂહ
તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પાસે કચ્છના રણને પ્રસિધ્ધિ અપાવી હતી, જેને લીધે આજે દેશ-દુનિયામાંથી લોકો કચ્છ જોવા માટે આવી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ ભુજથી 60 કિમી દૂર આવેલ ધોરડો ખાતે રણ ઉત્સવ યોજાય છે, જેની દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અહી સમીટ યોજાય છે. કચ્છમાં સુપ્રસિદ્ધ માં આશાપુરાનો માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, હાજી પીરનો મેળો પણ અનેક શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર છે. માંડવી અને મુન્દ્રાના પોર્ટ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ધોળા વીરાનીપ્રાચીન સંસ્કૃતિના પુરાવા સમૂહ, માંડવીમાં દરિયા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત શ્યામાપ્રસાદ વર્મા સ્મૃતિ સ્મારક તેમજ ભુજમાં સ્મૃતિ વન, ભુજીયો, કાળો ડુંગર, હમીરસર તળાવ, આયના મહેલ, વિજય વિલાસ પેલેસ, છતરડી સહિતના સ્થળો આવેલ છે.
જુનાગઢમાં ગરવા ગઢ ગિરનારનો મહિમા
સંત, શુરા અને સિંહને લીધે વૈશ્વિક ફલક પર જાણીતો આ જિલ્લો ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મસ્થાન તરીકે ઓળખાય છે જ્યાંના ગરવા ગઢ ગિરનારમાં મહાશિવરાત્રી તથા લીલી પરિક્રમાના મોટા મેળા ભરાય છે. ગિરનારમાં માં અંબા, દતાત્રેય તથા જૈન મંદિરો આવેલા છે જ્યાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રોપ-વેનું નિર્માણ કરાતા પ્રવાસનને પણ વેગ મળ્યો છે. જૂનાગઢમાં આવેલ સક્કરબાગ, અશોકનો શિલાલેખ, ઇન્દ્રેશ્વર મહાદેવ, સાસણ ગીર, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, સરકડીયા હનુમાન જેવા જંગલોમાં આવેલા પ્રાચીન મંદિરો આસ્થાના કેન્દ્ર બિંદુ છે. તો સાસણ ગીરના દેવળિયા પાર્કમાં લાખોની સંખ્યામાં પર્યટકો એશિયાટિક સિહોને નિહાળવા આવે છે.
ગીર-સોમનાથમાં સૌ પ્રથમ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગમાનુ સૌ પ્રથમ તથા ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે સુપ્રસિધ યાત્રાધામ ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ ભાલકા તીર્થમાં લીધા હતા તો પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા પ્રભાસ પાટણ ઉપરાંત વિશાળ દરિયા-કિનારો હોવાથી સોમનાથ, ચોરવાડ, માંગરોળ, આદ્રી, વેરાવળ વગેરે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.