Abtak Media Google News

હોસ્પિટલો સજ્જ છે કે નહીં? 27મીએ દેશભરમાં મોકડ્રિલ યોજાશે: ગુજરાતમાં બુસ્ટર ડોઝનું 100% વેક્સિનેશન કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી

પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોંર….કોરોના સામે સરકાર એલર્ટ થઈને આગમચેતી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં હોસ્પિટલો સજ્જ છે કે નહીં ? 27મીએ દેશભરમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી તરફ ગુજરાતમાં બુસ્ટર ડોઝનું 100 ટકા વેકસીનેશન કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા હાથ ધરી હતી.

આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને 100 ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.

મંત્રીએ કહ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આગામી તા. 27મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની  તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી કોવિન ઇન્ડિયા પોર્ટલ  ઉપર મુકવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ ગુજરાતની જનતાને અપિલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે.  રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે.

અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર 100% થર્મલ સ્ક્રીનિંગ થશે, બાકી જગ્યાએ 2% રેન્ડમ ચેકીંગ

આરોગ્ય મંત્રી પટેલે કહ્યુ હતું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર ર% રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક આરટીપીસીઆર માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.

બીએફ 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે

મંત્રી પટેલે જણાવ્યું હતું કે તજજ્ઞોના મતે બીએફ 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ 4 કેસ નોંધાયા છે જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર-2022માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે.

રાજ્યમાં દૈનિક 10 હજાર ટેસ્ટિંગ, સરેરાશ 5 કેસ નોંધાય છે

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક 10,000 ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે.

વધુમાં તેઓએ લોકોને કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અપીલ કરી હતી અને લોકોને ડરવાને બદલે સાવચેતી દાખવવા જણાવ્યું હતું.

ભારતે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 9 રસી વિકસાવી

જીવલેણ કોરોના વાયરસ સામેની લડાઈ જીતવા માટે, ભારતે છેલ્લા બે વર્ષમાં સામૂહિક રસીકરણ કાર્યક્રમ સાથે સ્વદેશી રીતે નવ કોવિડ રસીઓ વિકસાવી છે 16 જાન્યુઆરી, 2021 થી આમાંની કેટલીક નવી વિકસિત રસીઓના કટોકટીના ઉપયોગ માટે અધિકૃતતા આપ્યા પછી લોકોને રસી આપવાનું શરૂ કરાયું હતું.

જ્યારે કોવિશિલ્ડ અને કોવેક્સિનને જાન્યુઆરી 2021માં સામૂહિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે રશિયાના સ્પુટનિકને એપ્રિલ 2021માં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી અને તે જ વર્ષે મે મહિનામાં ભારતમાં શરૂ કરવામાં આવી હતી.  અન્ય કોવિડ રસીઓ જે બાદમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી તેમાં ZyCoV-D, Corbevax અને Corbevax, સ્પુટનિક લાઇટ, Bio E  કોવિડ-19, અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ વેક્સિન BBV154ને મંજૂરી અપાઈ હતી.  Gennova RNA રસી HGC019 એ કોવિડ રસી છે જેને 24 ઓગસ્ટ, 2021 ના રોજ ટ્રાયલ માટે ડીસીજીઆઈની મંજૂરી મળી હતી. 23 ડિસેમ્બર, 2022 સુધીમાં, જાન્યુઆરી 2021 માં રસીકરણ કાર્યક્રમની શરૂઆતથી 220 કરોડથી વધુ રસીકરણ ડોઝ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.