Abtak Media Google News
  • સભા-સરઘસ રેલી ઉપર પ્રતિબંધ, ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રહેશે, રાજકોટ બહારના જિલ્લાના નેતાઓએ પોતાના મતક્ષેત્રમાં જતું રહેવુ પડશે

રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી  શાંત થઈ જશે. જેથી સભા – સરઘસ રેલી ઉપર પ્રતિબંધ રહેશે. ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રહેશે.  રાજકોટ બહારના જિલ્લાના નેતાઓએ પોતાના મતક્ષેત્રમાં જતું રહેવુ પડશે.

લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને મતદાનના 48 કલાક પહેલા બહારથી આવતા રાજકીય કાર્યકરો મત વિસ્તારમાં રહી શકશે નહીં. રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એકટ, 1951ની કલમ 126 મુજબ ચૂંટણી મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે.

લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે જે તે મતવિસ્તારની બહારથી આવેલા રાજકીય અગ્રણીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરીઓ, પ્રચાર ફંકશનરીઓ વિગરે કે જેઓ સબંધિત મતવિસ્તારના મતદારો નથી તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાન પુરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં તે મતવિસ્તારમાં હાજર ન રહેવા આદેશ કર્યો છે. તમામ મતવિસ્તારના ચૂંટાયેલા સંસદ સભ્ય, ધારાસભ્ય મતદાન પૂરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં પોતે જયાં ચૂંટાયા હોય તે સબંધિત મતવિભાગમાં તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે ન હોય તો પણ ચૂંટણી પ્રચારમાં સામેલ ન થવાની શરતે જ રોકાઇ શકશે. તેમજ ધારાસભ્ય જે-તે વિધાનસભા મતવિભાગ સિવાયના મુલાકાત લઇ શકશે નહીં.

મતદાનના પૂરું થતાં સમયગાળા પહેલા 48 કલાકના સમયગાળામાં ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ ઘેર ઘેર પ્રચાર વખતે એક સાથે વધુમાં વધુ 5 વ્યકિત જઇ શકશે. ઘેર ઘેર પ્રચાર વખતે કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહીને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.200/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે. ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-133, ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-9(એ) હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે.

મતદાનને છેલ્લા 48 કલાકમાં બલ્ક એસએમએસ કરવા ઉપર પ્રતિબંધ

મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન-આઈડીયા, સી.એસ.એન.એલ. (સેલ વન), રીલાયન્સ(જીયો), એરટેલ, ટાટા ટેલીકોમ્યુનીકેશન વિગેરે જેવી કંપનીઓએ રાજકોટ શહેર સહિત સમગ્ર રાજકોટ જીલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ ધ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે નહિ કે કરવા દેશે નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગૃપ/બલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે, તા.05/05/2024 થી તા.07/05/2024 સુધી સંપુર્ણ પણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.