- રત્નકલાકારની હ*ત્યા નિપજાવનાર ટોળકીને પોલીસે ઝડપી
- પોલીસે બુટ*લેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડયા
- 23 ફેબ્રુઆરીના રોજ પારસ વેકરીયા નામના રત્નકલાકારની કરાઇ હતી હ*ત્યા
સુરત વેલંજામાં 23 ફેબ્રુઆરીના રોજ પારસ વેકરીયા નામના રત્નકલાકારની હ*ત્યા કરવામાં આવી હતી. જેના આરોપીઓને પોલીસ ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર બુટ*લેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે બુટ*લેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.
રાતે વેલંજાની અંબાવિલા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા. જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય એવો રત્નકલાકાર પારસ વેકરીયા પણ બેઠો હતો. દરમિયાન ઘાતક હથિયારો સાથે આઠથી દસ જેટલા અસામાજિક તત્ત્વો ટોળામાં ધસી આવ્યા હતા. તેમણે આ યુવકો પર હુમલો બોલાવતાં 22 વર્ષના રત્નકલાકાર પારસ પ્રતાપભાઈ વેકરીયા (રહે. નંદની સોસાયટી-2, વેલંજા- મૂળ દેતડ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ઉપરાંત ગોપાલ કાસોટીયા, વિપુલ કાસોટીયા, રૂદ્ર નાથાણી અને નીરૂને ઈજા પહોંચાડી હતી.
ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકરીયાને છાતી પર જીવલેણ ઘા ઝીંકાતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. પારસ વરાછા રોડ માતાવાડીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. બનાવની જાણ બાદ ઉત્રાણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, નિકુંજ ભૂદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો, જેની અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી.
વરાછાના મહિલા બુટ*લેગર શિલાનો દીકરો લાલુ તેની પ્રેમિકા સાથે વેલંજાની આંબાવિલા સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં બેઠો હતો. સ્થાનિક રહીશ નિકુંજ ભૂદેવે તેઓને અહીંથી ઉઠાડીને તમાચા મારી ભગાડી દેતાં તેની અદાવતમાં લાલુએ રામુ તેમજ અન્ય સાગરીતોને બોલાવી આ હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસ મથકના પીઆઇ એમ. ઝેડ પટેલે બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને દસ હત્યારાઓને પકડી પાડયા હતા.
કાપોદ્રામાં નામચીન દિલીપની ટોળકીનો રામુ ગોધરા છ માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો. ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટયો હતો. શિલાના અડ્ડા ઉપર બેસી રહેતા રામુએ વેલંજામાં થયેલી માથાકૂટમાં ઝંપલાવી લાલુ સાથે આ હુમલો કર્યો હતો. જેમાં નિર્દોષ રત્નકલાકારની હ*ત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો તમામ 10 આરોપીની ધરપકડ કરીને ઉત્રાણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.