- જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના ૨૪ વર્ષિય પુત્રનું ટ્રક અને એકટીવા વચ્ચેના અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
- ગોકુલ નગર જકાતનાકા વિસ્તારમાં ગઈ રાત્રે સિમેન્ટ ભરેલા ટ્રક ચાલકે આશાસ્પદ યુવાનને કચડી નાખતાં ભારે કરુણ દ્રશ્ય સર્જાયા
જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષીય પુત્રને સિમેન્ટ ભરેલા એક ટ્રક ના ચાલકે ગઈકાલે રાત્રે ગોકુલ નગર રોડ પર એકટીવા ને ઠોકરે ચડાવી દઇ ગંભીર ઇજા પહોંચાડતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જેથી કોળી સમાજમાં અને મૃતકના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ છે.
આ ગોજારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ વનરાજભાઈ પારેજીયા નો 24 વર્ષ નો પુત્ર મયુર વનરાજભાઈ ગઈકાલે રાત્રે પોતા નું એકટીવા સ્કૂટર લઈને ગોકુલ જકાતનાકા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 ઝેડ 9552 નંબરના સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે એકટીવા ને હડફેટમાં લઈ લેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં એકટીવા ચાલક મયુર પારેજીયા ને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર થઈ હતી, અને લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો, જેને સારવાર માટે ગંભીર હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. ગઈકાલે રાતે કોળી સમાજના અનેક આગેવાનો તથા મૃતકના પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા દિનેશભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથમાં અકસ્માત સર્જનાર જી.જી.10 ઝેડ ૯૫૫૨ નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી માર્ગ પર રેઢો પડેલો ટ્રક કબજે કરી લીધો છે, જ્યારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે
અહેવાલ: સાગર સંઘાણી