TRP ગેમઝોન દુર્ઘટના બાદ આગની દૂર્ઘટનાના રોકથામ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવા નિયમો સાથે એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં હવે ગરબા આયોજકો માટે પણ આકરા 30 નિયમોની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે જેના લીધે હવે અર્વાચીન અને પ્રાચીન ગરબાના આયોજકોએ નિયમોની સંપૂર્ણપણે અમલવારી કરવાની રહેશે. નહીં તો ગરબા આયોજક માટે મંજુરી નહીં મળે તેમ જાણવા મળે છે. આ જ રીતે ખેલૈયાઓનો દસ્તાવેજી રેકોર્ડ તેમજ એક્ઝિટ ગેઈટ સહિતના નવા નિયમો અમલમાં આવતા હાલ ગરબા આયોજકો માટે સાત કોઠા વીંધવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

30 જેટલી શરતો અને નિયમો જાહેર કરવામાં આવ્યાં

મહાનગરપાલિકા દ્વારા આ વખતે ફાયર સેફ્ટીના નિયમોમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. નવરાત્રિ આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે. આ પ્રકારની 30 જેટલી શરતો અને નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.

નવરાત્રી આયોજકો માટે બહાર પડાયેલા નવા નિયમો

-નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનો રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.

-નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રીક સબ સ્ટેશન, ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રીક સબ સ્ટેશન, ઈલેક્ટ્રીક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઈનથી દૂર કરવાના રહેશે. બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં

-આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં. તથા આ સ્ટ્રકચરના સ્ટેજની નજીક કે નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા, કોઈપણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.

-પંડાલની કેપેસિટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટર રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.

-નવરાત્રીના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહીં. ઇમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઇમરજન્સી એકઝીટ તરફ થઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

-નવરાત્રી આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

-નવરાત્રી આયોજક દ્વારા ગેટની સામેના ભાગે 05 મીટર ઓપનિંગ હોય તે મુજબ રાખવાનું રહેશે.

-નવરાત્રી આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લો મટીરીયલમાં સાઈન લગાવવા NO SMOKING ZONE, Exit, Emergency Exit

-નવરાત્રી આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો Travelling Distance 15 મીટર થી વધારે ન હોવું જોઈએ.

-નવરાત્રી આયોજક દ્વારા કરવામાં આવેલ સીટીંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ આપવામાં આવેલ હોવો જોઈએ. જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ.

-આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે કે તેના પડદા અને કાર્પેટને ફાયર રીટાઇન્ટડન્ટ પેઇન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બિછાવવા જો કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે.

-આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રીક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે. તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રીક વાયરીંગ અંગે ગવર્મેન્ટ એપૃવ્ડ ઈલેક્ટ્રીક ઇજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન ઈંજ-1646-1982 મુજબ કરવાનું રહેશે.

-પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ PVC આવરણ વાળા કંડકટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટર કનેક્ટર્સથી કરવાના રહેશે.

-આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે.

-આયોજકો દ્વારા ઇલેક્ટ્રીકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં બનાવવામાં આવેલ હોવું જોઈએ. તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રીક જંકશન બોર્ડ પાયલોટિંગ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

-સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક લાઇટિંગ, બલ્બ-ટ્યુબલાઈટ કે તેના કોઈ પાર્ટ્સ કે મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઊઠે તેવી જવલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી.ની અંદર રાખવાના રહેશે.

-સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહારના સળગી ઊઠે તેવી જવલનશીલ સામગ્રી કે પદાર્થ પ્રવાહી રાખવાના રહેશે નહીં. તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહીં.

-સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવવાની સામગ્રી, ધુમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે જ્યોત ઇત્યાદી રાખવાની રહેશે નહીં.

-મોસન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલ હોય તો ફરજિયાત તેમાં સેફટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.

-સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી.આઈ./જી.આઈ. સીટ 6 સેન્ટીમીટર કરતા ઓછી ન હોય તે મુજબ રાખવાની રહેશે.

-સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે. અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંસેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવાના રહેશે.

-સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્ષ્ટીંગ્યુશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ક્લોક રાખવાના રહેશે.

-સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે.

-પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફ્લોર એરિયાના 0.75 લી./સ્કવેર મીટર કરતા ઓછો હોવો જોઈએ નહીં. તથા પાણીનો પુરવઠો ડ્રમ/બકેટમા સુવ્યવ્સ્થિત ઝડપથી ઉપયોગમા લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.

-સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચોરસ મીટર વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન  200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા તથા રેતી ભરેલી 2 બાલટી અચૂક આ મંડપ પ્રીમાઇસીસમાં ઉપલબ્ધ કરવાના રહેશે.

-સંચાલકોને જણાવવામાં આવે છે કે ઉકત સૂચના ફક્ત ફાયર સેફટીના સલામતી અર્થે આપવામાં આવે છે. ફાયર વિભાગ સિવાયના અન્ય ઓથોરિટી જેવી કે પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે.

-સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો વખતના સુધારા નેશનલ બિલ્ડીંગ પાર્ટ 4, ઈંજ – 8758 મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે

-આગ અકસ્માતના કેસમાં તાકીદે ફાયર વિભાગના 101,102 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.

-નવરાત્રી સંચાલકો ફાયર વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સુચનાઓનું અચૂક પાલન કરવાનું રહેશે.

-ફાયર વિભાગ ઉકત સૂચનોમાં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો કરવાનો અધિકાર રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.