Abtak Media Google News
  • પુલ, કોઝવે, નાળાઓ સમારકામ માટે સુચન

મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે આગોતરી તૈયારીઓના ભાગરૂપે મોરબી જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.

જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી તા. 1 જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જીલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું.

વધુમાં જીલ્લા કલેક્ટરે ઉમેર્યુ કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરી લેવું જરૂરી છે.

જીલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આ પ્રકારના કોઝ-વે પરથી પાણી ભરાયેલું હોય ત્યારે વાહન ચાલકો પસાર ન થાય તે માટે જરૂરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે તે માટે વ્યવસ્થા કરવા તેમજ સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

વધુમાં તેમણે જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત ઈમારતો, ટાવરો સહિતની બાબતોનો સર્વે કરવો, જોખમી હોય તેવી ઈમારતો, ટાવરને ધરાશાયી કરવાની સ્થિતિ આવે તો તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સંબંધિત કચેરીઓના અધિકારીઓ-વડાઓને ઘટતું કરવા વિશેષ સૂચના આપી હતી

આ બેઠકમાં જીલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દુરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની કામગીરી અગાઉથી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ જણાવાયું હતુ. પીવાના પાણીના વિતરણ પૂર્વે ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન થાય તે બાબતે ધ્યાનમાં રાખવા સુચના આપવામાં આવી હતી. વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરત થઇ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે પણ વિશેષ સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત આપત્તિની સ્થિતિ હોય ત્યારે મીઠાના અગરિયા સહિત જીલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને રક્ષણ મળી રહે તે માટે શ્રમિકની કામગીરી સાથે જોડાયેલા માલિકોનો નામ-સંપર્ક નંબરની યાદી તૈયાર કરી તાલુકા-જીલ્લા કંટ્રોલ રૂમ પર હાથવગી રાખવા સૂચના આપવામાં આવી હતી.

જીલ્લાના પર્યટન સ્થળો કે નદી, ડેમ જેવા સ્થળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાડવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર સહિત જીલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગ/કચેરીના વડા ઉપસ્થિત રહ્યા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.