• ટ્રેનમાં એસી-1, એસી-2 અને એસી-3 કેટેગરીના કોચમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરશે: 2જી ઓકટોબરે સાબરમતી આશ્રમની લેશે મુલાકાત
  • કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં
  • ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો  કરાયો સમાવેશ: પ્રવાસીઓ અંદાજે  3,500 કિ.મી.ની મુસાફરી કરશે

દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની ઝલક આપવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા દેશમાં સમયાંતરે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ શ્રેણીમાં, “ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીથી લીલી ઝંડી બતાવી રવાના કરાશે. આ ટ્રેન પ્રવાસીઓને ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને હેરિટેજ સ્થળો પર લઈ જશે. આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત ગુજરાતના વડનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હીથી રવાના થયા પછી, આ ટ્રેનનું પ્રથમ સ્ટોપ અમદાવાદ હશે, જ્યાં પ્રવાસીઓ 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકશે અને અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ શકશે.

ત્યાર બાદ ટ્રેનનું આગલું મુકામ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને મોઢેરા-પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ હશે. આ પછી આ ટ્રેન ગુજરાતના વડનગર પહોંચશે, જ્યાં પ્રવાસીઓ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જેવા પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે અને પ્રખ્યાત વડનગર રેલવે સ્ટેશન પણ જોઈ શકશે. વડનગર બાદ ટ્રેનનું આગામી સ્થળ વડોદરા રહેશે. વડોદરાથી એક દિવસની સફર દરમિયાન પ્રવાસીઓ મહાકાળી મંદિર (શક્તિપીઠ) અને પાવાગઢ હિલ્સમાં આવેલા ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક (યુનેસ્કો)ની મુલાકાત લેશે.

આ પછી ટ્રેન કેવડિયા રેલવે સ્ટેશન જશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓને લેસર શો પણ બતાવવામાં આવશે. કેવડિયા બાદ ટ્રેનનું આગામી સ્થળ સોમનાથ રહેશે. ટ્રેન વેરાવળ રેલ્વે સ્ટેશન પહોંચશે અને પ્રવાસીઓ સોમનાથ મંદિર અને સોમનાથ બીચની મુલાકાત લેશે. ટ્રેનનું આગામી સ્ટોપેજ દીવ હશે, જ્યાં પ્રવાસીઓ દીવ કિલ્લો, આઈએનએસ કુકરી અને દરિયાકિનારાની મુલાકાત લેશે. ટ્રેનનું છેલ્લું સ્ટેશન દ્વારકા છે, અહીં મુસાફરો દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન કરી શકશે. મુસાફરીના 10મા દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં પ્રવાસીઓ અંદાજે 3,500 કિલોમીટરની મુસાફરી કરશે.

દેશમાં 24 રાજયોમાં 180થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન

પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રેલ્વેએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. લગભગ ત્રણ વર્ષના ગાળામાં, દેશભરના 24 રાજ્યોમાં 180 થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે અને તેમાં 80,000 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ ટ્રેનો રેલવે દ્વારા દેશના વિવિધ રૂટ અને સર્કિટ પર ચલાવવામાં આવે છે.

  • ” ભારત-નેપાળ મૈત્રી યાત્રા   ” શ્રી રામાયણ યાત્રા
  • ” ચાર ધામ યાત્રા   ” બૌદ્ધ સર્કિટ પર્યટક ટ્રેન
  • ” બાબા સાહેબ આંબેડકર યાત્રા   ” 7 જ્યોતિર્લિંગ યાત્રા
  • ” દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા   ” પુરી-ગંગા સાગર ભવ્ય કાશી યાત્રા
  • ” જૈન યાત્રા ભારત ગૌરવ પર્યટક ટ્રેન   ” પુરી-કોલકાતા ગંગાસાગર યાત્રા
  • અતિ આધુનિક સુવિધાઓથી સજજ ‘ગરવી ગુજરાત’ ટ્રેન

“ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ઘણી બધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં મુસાફરો માટે બે ભોજનની રેસ્ટોરાં અને આધુનિક રસોડું છે. તેના કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વોશરૂમ ફંક્શન અને ફૂટ મસાજર સુવિધા પણ છે. આ સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી અને થર્ડ એસી ની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા ગાર્ડની પણ જોગવાઈ છે. આ પ્રવાસી ટ્રેન ની ક્ષમતા 150 મુસાફરોની છે. પ્રવાસીઓ આ ટૂરિસ્ટ ટ્રેન માં દિલ્હી સફદરજંગ, ગુડગાંવ, રેવાડી, રિંગસ, ફુલેરા, અજમેર રેલ્વે સ્ટેશનો પર ચઢી અને ઉતરી શકે છે.

ગુજરાતના 10 હેરિટેજ સ્થળોની મુસાફરી કરાવાશે

“ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનની આખી સફર 10 દિવસની છે. આ સમય દરમિયાન પ્રવાસીઓ આ ટ્રેન દ્વારા સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને મહાકાલી મંદિર જેવા પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત તે પ્રવાસીઓને ઐતિહાસિક કીર્તિ તોરણ (વડનગર), મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને દીવ કિલ્લા જેવા હેરિટેજ સ્થળો પર પણ લઈ જશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.