- આજે ભગવાન કૃષ્ણનું ત્રીજું ફુલેકુ નિકળશે
- 1600થી વધુ કલાકારોની રંગબેરંગી વેશભૂષામાં અને શણગારેલો ઢોલ સાથેની નૃત્યકલાનું લોકોમાં આકર્ષણ જમાવ્યું
માધવપુર લોકસાંસ્કૃતિક લોકમેળાના બીજા દિવસે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતના 1600 જેટલા કલાકારોએ પ્રાદેશિક લોક સાંસ્કૃતિક વિવિધતાનો પરીચય કરાવતી નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌ લોકોના મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોની કલાની પ્રસ્તુતીને લોકોએ હર્ષોઉલ્લાસ સાથે વધાવી લીધી હતી.
એક ભારત, શ્રેષ્ઠ ભારત વિભાવનાને ઉજાગર કરતો માધવપુરનો મેળો એક સાથે ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 એમ કુલ 1600 કલાકારોએ વૈવિધ્યસભર નૃત્યની પ્રસ્તુતિ કરતા સાંસ્કૃતિક મહાકુંભ બન્યો હતો.
દેશના પૂર્વીય રાજ્યો એવાં અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતની પાવન ધરાં અનેક પ્રકારે ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, ભૌગોલિક વિવિધતા ધરાવે છે. ઉત્તર પૂર્વીય રાજ્યો અને ભારતના પશ્વિમ કોણમાં આવેલ સમૃદ્ધ ગુજરાતના લોકોની રહેણીકરણી, પહેરવેશ, નૃત્ય અને નાટ્ય સહિતની કલાઓ માધવપુરના મેળામાં દ્રશ્યમાન થાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિભાવનાને માધવપુરનો સાંસ્કૃતિક મેળો ખરાં અર્થમાં સાકાર કરે છે. બે ભિન્ન સંસ્કૃતિનો સાચા અર્થમાં સમન્વય કરે છે.
ગુજરાતની લુપ્ત થઈ રહેલી કળામાં નૃત્ય કલાકાર રાજેન્દ્રભાઈ રાવલે નૃત્ય પ્રસ્તુતી સાથે સાથે કાપડમાંથી મોર અને સફેદ કબૂતરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને ઉપસ્થિત સૌ લોકોને આકર્ષિત કર્યા હતા.
ગુજરાતના ગરબા અને વિવિધ રાસની રમઝટથી માધવપુર મેળાનું પટાંગણ હર્ષધ્વનીથી ગૂંજી ઉઠ્યું હતુ. આજે ભગવાન કૃષ્ણનું ત્રીજું ફુલેકુ નીકળશે માધવપુરના મેળામાં દિવસ દરમિયાન મુલાકાતીઓ છેક દૂર દૂરથી મેળામાં મ્હાલ્વા, મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. માધવપુરના મેળામાં બીજા દિવસે ઢળતી સંધ્યાએ સુપ્રસિદ્ધ ગુજરાતી રંગ કસુંબલ ડાયરાના કલાકાર જિગ્નેશ કવિરાજે લોકસંગીત પ્રસ્તુત કરીને અનેરું ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. આ લોકગીત, સંગીતની પ્રસ્તુતીએ યુવાઓના મનને ડોલાવ્યા હતા.