Abtak Media Google News

પતિનો ધંધો સરખા ચાલે તે માટે કાળ ભૈરવ સાથે સહસયન કરવું પડશે તેમ કહી સંબંધો અભડાવ્યા

શહેરમાં કૌટુંબિક ભત્રીજીના પતિનો ધંધો નહિ ચાલતા કાળભૈરવનો કોપ બતાવી અનેક વખત દુષ્કર્મ આચરનાર તાંત્રિક કાકાને અદાલતે અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતી પરિણીતાના પતિને કારના ધંધામા લાંબા સમય સુધી કોઈ નફો નહિ થતા રૈયા વિસ્તારમાં રહેતા તાંત્રિક કાકા યોગેશ ઉર્ફે ભીખુભાઈ કાશીરામભાઈ કુબાવતે સબંધોનો લાભ લઈ કૌટુંબિક ભત્રીજીને સમજાવી, ફોસલાવી, ભરમાવી તારા ઉપર કાળભૈરવનો કોપ છે. કાળભૈરવ સાથે સહસયન કરવું પડશે નહીં તો હજુ વધુ મુશ્કીલોઓ પડશે. તેવું જણાવ્યું હતું. જેથી કૌટુંબિક ભત્રીજીએ પોતાના પતિની બરકત માટે આરોપીને પુછેલ હતું કે કાળભૈરવ કોણ છે ત્યારે આરોપીએ જણાવેલ કે કાળભૈરવ તેણીને મળી શકે નહીં પરંતુ આરોપી પોતે કાળભૈરવ વતી તેણીની સાથે શરીર સબંધ બાંધશે. અને આરોપીની પત્ની પણ કાળભૈરવ સાથે સબંધ રાખે છે અને આવા સબંધોની રૂએ આરોપીની પત્નીએ પણ પોતાના નગ્ન ફોટાઓ ભોગ બનનારને બતાવેલ હતા. ભોગ બનનાર આવી બાબતોથી ભરમાઈ ગયેલ અને આરોપી સાથે સહસયન કરવા સહમત થઈ હતી. આ રીતે બે વખત શરીર સબંધ બાંધેલ હોવા છતાં ભોગ બનનારના પતિને કોઈ જ ફાયદો નહિ થતા ભોગબનનારે પોતાના પતિને આરોપીએ કરેલ કૃત્યો અંગે જાણ કરી હતી.

બાદમાં ભોગબનનારે પોલીસમાં ફરીયાદ નોંધાવતા તપાસના અંતે આરોપી અને તેની પત્ની વિરુધ્ધ બળાત્કારના ગુનાનું ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી અધિક સેશન્સ જજ સુથારે આરોપી યોગેશ ઉર્ફે ભીખુભાઈ કાશીરામભાઈ કુબાવતને અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની આજીવન સજા અને રૂપીયા પાંચ હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  સંજયભાઈ કે.વોરા અને ફરીયાદી ભોગબનનાર વતી સરકારની મદદગારીમાં તરુણભાઈ એસ. કોઠારી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.