- જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે ગઈ રાત્રે એક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો
- ટ્રકમાંથી ઠેકડો મારીને ઉતરી રહેલા ડ્રાઇવર પર ટ્રકનો જોટો ફરી વળતાં અંતરિયાળ મૃ*ત્યુ: પોલીસ તંત્ર દોડતું થયું
જામનગર નજીક મોરકંડા રોડ પર ગઈકાલે રાત્રે એક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા વિચિત્ર અ*કસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો છે. ફંગોડાઈ રહેલા ટ્રકમાંથી કૂદકો મારીને નીચે ઉતરી રહેલા ટ્રક ડ્રાઇવર પર પાછલા વ્હીલ નો જોટો ફરી વળતાં તેનું અંતરીયાળ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃ*તદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિચિત્ર અ*કસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાલુકાના દેવપરા ગામનો વતની અને ટ્રક ડ્રાઇવિંગ કરતો કેશુભા પોલાભા માણેક નામનો 40 વર્ષનો હિંદુ વાઘેર યુવાન કે જે ગઈકાલે પોતાનો જીજે 37 ટી 6945 નંબરનો ટ્રક લઈને તેમાં અનાજનો જથ્થો ભરીને લાલપુર બાયપાસ થી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.
જે દરમિયાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં મોરકંડા ગામના પાટીયા પાસે એકાએક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, અને ચાલુ ટ્રક માર્ગ પર ફંગોળવા લાગ્યો હતો.
જેથી તેમાંથી બચવા માટે ટ્રકનો ડ્રાઇવર કેશુભા માણેક કે જેણે કૂદકો મારી દીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ ટ્રક ના જોટા ની નીચે આવી ગયો હતો, અને ટ્રકનો જોટો તેના ઉપરથી ફરી વળ્યો હતો, અને રોડથી નીચે ઉતરી ને ટ્રક ખાંગો બની ગયો હતો. જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું કરુણ મૃ*ત્યુ નીપજ્યું હતું.
જે અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ટ્રકના જોટા ની નીચે ફસાયેલા કેશુભા માણેકના મૃ*તદેહને બહાર કઢાવી લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે આ અકસ્માત ના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : સાગર સંઘાણી