- અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો
- તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે
- દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવી પડશે
અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવી પડશે.
અમદાવાદ પોલીસ કમિશનરનો કડક આદેશ
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર,નાયબ પોલીસ કમિશનર,મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. આ ઉપરાંત મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. તેમજ અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પોલીસ ઇન્સપેક્ટર અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે.
આ ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. આ ઉપરાંત આ બાબતે નાયબ પોલીસ કમિશનરોએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.
આમ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના નાગરિકોની સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્રજાને અમદાવાદ પોલીસ તરફથી સારો પ્રતિસાદ મળી રહે અને તેમની સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તે હેતુથી આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજી તરફ, અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને મળવાનો સમય ઓછો હતો, તેથી સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ નિર્ણયો લેવાયા છે.