- વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન 34 નવીન P.H.C. ને વહીવટી મંજૂરી આપી
- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 21 જિલ્લામાં નવીન 34 P.H.C ની વહીવટી મંજૂરી આપી
- રાજ્યના ગ્રામ્ય આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
- ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં 2011 ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધુંને વધું સુદ્રઢ બની રહી છે. જેને પગલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 21 જિલ્લાઓમાં કુલ 34 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને વહીવટી મંજૂરી આપી છે.
રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.
હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.
હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે.