- ‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી અને ’મણિયારા રાસ’ના તાલે ઝુમતા કલાકારો સૌને રોમાંચિત કર્યા
સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાત દ્વારા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો : ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબ્લો સાથે ’મણિયારા રાસ’ના તાલે ઝુમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા.
રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા.
ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર, હાલના વડનગર સ્થિત 12-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ અને નીચના ભાગે કચ્છી માટી-આભલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી.
જયારે ઝાંખીના મધ્ય ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મ નિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી વડોદરામાં ‘તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડ’ના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના
સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ ‘અટલ બ્રિજ’, સેમીકંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 31 ટેબ્લો રજુ થયા હતા.
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક શ્રી કિશોર બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખુંટનું યોગદાન રહ્યું હતું.
ગુજરાત ટેબ્લોના કલાકારોએ ’પીએમ એટ હોમ’ કાર્યક્રમ અંતર્ગત લીધી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’પીએમ એટ હોમ’ કાર્યક્રમ અંતર્ગત તા.24 જાન્યુઆરીએના રોજ ગુજરાતના ટેબ્લો કલાકારો સહીત એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. તા.24 જાન્યુઆરી,ના રોજ વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રજાસત્તાક દિવસની પરેડના ભાગરૂપે વડાપ્રધાનશ્રી મોદી ગુજરાતના ટેબ્લો કલાકારો અને અધિકારોની મુલાકાત લેવાની સાથે અન્ય રાજ્યોના કલાકારો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદ બાદ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતાને પ્રદર્શિત કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
સૈન્ય-શસ્ત્ર સરંજામ, હવાઈદળના કરતબો અને વિવિધ રેજિમેન્ટની કૂચકદમથી વાતાવરણ જોશીલું બન્યું
દેશની રાજધાની નવી દિલ્લીમાં ખુશનુમા વાતાવરણમાં શરુ થયેલી આજની ગણતંત્ર દિવસની પરેડનો વિધિવત પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ પદાધિકારીઓ અને ભારતીય સેનાના શીર્ષસ્થ અધિકારીઓ દ્વારા ’રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ પર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવવાની સાથે થયો હતો. સલામી મંચ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તિરંગાને સલામી આપ્યા બાદ ’કર્તવ્ય પથ’ પરથી ગણતંત્ર દિવસની પરેડનો પ્રારંભ થયો હતો. આ પરેડમાં ટી-90 ટેન્કો, આકાશ વેપન સિસ્ટમ સહિતની અન્ય મહત્વની સૈન્ય સામગ્રીને દર્શાવામાં આવી હતી. આ પરેડમાં મેક ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, પંજાબ-જાટ-રાજપૂત-ગઢવાલ-શીખ-બિહાર-મહાર સહિતની રેજિમેન્ટના જવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત એનસીસી કેડેટ અને એનએસએસના યુવાઓએ પણ પરેડમાં હિસ્સો લીધો હતો.
મિગ-29, સી-295, સી-130, જગુઆર, રાફેલ, સુખોઇ-30 જેવા વાયુદળના લડાકુ વિમાનોએ ધ્વજ-બાઝ-પ્રચંડ-ટેંગીલ-રક્ષક-અર્જુન-નેત્ર-ભીમ-અમૃત-વજ્રાન્ગ-ત્રિશુલ અને વિજય જેવી રચનાઓ આકાશમાં રચીને અત્રે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
ગુજરાતની જીતની હેટ્રિક હાથવેંત છેટી ! રાજ્યના ટેબ્લોને વિજેતા બનાવવા ભરપૂર વોટિંગ કરવા અપીલ
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ” પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો ’પબ્લિક ચોઈસ એવોર્ડ’માં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે.
ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પણ પબ્લિક ચોઈસ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે તમારું વોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે.
સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાત દ્વારા ‘ગુજરાત : આનર્તપુર થી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ’ વિષયનો ટેબ્લો રજુ કરવામાં આવ્યો છે. ખુૠજ્ઞદ.શક્ષ વેબસાઈટ પર “ટઘઝઊ રજ્ઞિ ુજ્ઞીિ રફદજ્ઞીશિયિં ઝફબહયફીડ્ઢ ઈજ્ઞક્ષશિંક્ષલક્ષયિં ફિં છયાીબહશભ ઉફુ 2025 અથવા ઙજ્ઞહહ રજ્ઞિ વિંય બયતિં ઝફબહયફીડ્ઢ ખફભિવશક્ષલ ઈજ્ઞક્ષશિંક્ષલયક્ષિં 2025” અંતર્ગત વોટિંગ લિંક તા.26 જાન્યુઆરીના રોજ સવારથી જ લાઈવ કરવામાં આવશે. આ લિન્કમાં ગુજરાત ના ટેબ્લો સામે આપેલા વિષય ઉપર ટીક કરીને આપનો વોટ નોંધાવો અને ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવો.