- સમાન્ય માણસને વધુ એક ઝટકો..!
- ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો
- કાલથી નવા ભાડા લાગુ થશે
- દરરોજ ૨૭ લાખ મુસાફરો કરે છે મુસાફરી
- સુવિધા અને આધુનિકરણ માટે લેવાયો નિર્ણય
Gujarat ST Bus Fare Price Hike : ગુજરાતની જનતાને વધુ એક મોંઘવારીનો માર… ST બસના ભાડામાં 10 ટકાનો કરાયો વધારો… 48 કિલોમીટર સુધીની મુસાફરીમાં 1થી 4 રૂપિયાનો વધારો
ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજથી ST બસમાં મુસાફરી મોંઘી બની છે. એસટી બસના ભાડામાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાડામાં 10 ટકાનો વધારો કરાતા ગુજરાતના 27 લાખ મુસાફરોને અસર કરશે.
ગુજરાત ST વિભાગે ભાડામાં 10 ટકાનો વધારો કર્યો
ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબ્બકાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો. જે પૈકી 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે.
નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેવી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરીને ભાડા વધારાથી નહિવત આકાર થવા પામશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે.
48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
GSRTC દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે. આજથી એસટીની તમામ બસના ભાડામાં 10 ટકાનો વધારાનો સરકારે નિર્ણય લીધો છે. ST નિગમની તમામ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર અને વોલ્વો બસના ભાડામાં આ વધારો લાગુ થશે. 48 KM સુધી 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2023 માં 25 ટકાનો વધારો ઝીંકાયો હતો. તેના બે વર્ષ બાદ સરકારે વધારો જાહેર કર્યો છે.
કયા રુટમાં કેટલું ભાડું વધ્યું
- અમદાવાદથી મહેસાણાનું ભાડું રૂ. 95થી વધીને રૂ.105
- અમદાવાદથી વડોદરાનું ભાડું રૂ.114થી વધીને રૂ.125
- અમદાવાદથી સુરતનું ભાડું રૂ.194થી વધીને રૂ.213
- અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.171થી વધીને રૂ.188
- અમદાવાદથી જામનગરનું ભાડું રૂ.216થી વધીને રૂ.238
- અમદાવાદથી ભાવનગરનું ભાડું રૂ.154થી વધીને રૂ.169
- અમદાવાદથી દાહોદનું ભાડું રૂ.165થી વધીને રૂ.182
- અમદાવાદથી ગોધરાનું ભાડું રૂ.121થી વધીને રૂ.133
- 27 લાખથી વધુ મુસાફરો કરે છે ST બસમાં મુસાફરી
દરરોજ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.
ગુજરાત એસટી નિગમ દૈનિક ૮૦૦૦થી વધુ બસો દ્વારા ૩૨ લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને અંદાજે ૨૭ લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. નિગમ મુસાફરોની સગવડ માટે સતત પ્રયત્નશીલ છે અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે ચિંતિત છે. આ સાથે જ નિગમ વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો અને અન્ય પાત્રતા ધરાવતા લોકોને રાહત દરે અથવા વિના મૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપે છે.
નિગમ દ્વારા છેલ્લા ૧૪ મહિનામાં અત્યાધુનિક ટેકનોલોજીવાળી ૨૯૮૭ નવી BS-6 પ્રકારની બસો સેવામાં મૂકવામાં આવી છે. જેમાં સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં ૧૪ બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ અંદાજે ૧ લાખ લોકો લઈ રહ્યા છે.
નિગમ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આગામી વર્ષમાં ૨૦૫૦ નવી બસો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં ૨૦૦ એ.સી. આરામદાયક પ્રીમિયમ બસો અને ૧૦ કારવાં સર્વિસનો સમાવેશ થાય છે. વધુમાં, નિગમમાં અંદાજે ૩૦૦૦ જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકોની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે.
નિગમ દ્વારા વર્ષ ૨૦૧૪ બાદ વર્ષ ૨૦૨૩માં એટલે કે ૧૦ વર્ષ પછી તબક્કાવાર ભાડા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિગમની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળ દ્વારા ૨૮ માર્ચ ૨૦૨૫ની મધ્યરાત્રીથી ૧૦ ટકાનો વધુ ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસમાં ૮૫ ટકા મુસાફરો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર ૧ થી ૪ રૂપિયાનો નજીવો ભાડા વધારો થશે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે. નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે.