• વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2024 : ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું
  • ગુજરાતના કૃષિ ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો વિસ્તૃત ચિતાર આપીને કૃષિ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ
  • વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઉભું થયું: કૃષિ મંત્રી
  • નોલેજ સેશનમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પોતાના વિવિધ વિષયો પર વિચારો રજૂ કરાયા

નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજી “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા” સમિટમાં આજે ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું હતું. “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ સાથે યોજાયેલા આ નોલેજ સેશનમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે સેશનમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક વિવિધતાના કારણે 35 થી 40 પ્રકારના અનાજ, તેલીબિયાં, કઠોળ, મસાલા, ફળો અને શાકભાજી પાકોનું વાવેતર થાય છે. પાક વિવિધતાને કારણે ગુજરાત કૃષિ ઉદ્યોગો સ્થાપવા માટે સર્વોત્તમ સ્થળ છે. ગુજરાતની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ નીતિઓના પરિણામે ગુજરાતમાં આજે અનેક ઉદ્યોગો સ્થપાયા છે. જેથી ગુજરાતમાં કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઉભું થયું છે. ગુજરાત સરકારની “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ આશરે 2,000થી વધુ લાભાર્થીઓને એગ્રો-પ્રોસેસિંગ એકમોની સ્થાપના કરવામાં સહાયતા મળી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી પટેલે ગુજરાતમાં કૃષિ ઉદ્યોગો માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ પેદાશોના વેચાણ માટે 224 કૃષિ ઉત્પાદક બજાર સમિતિઓ અને ૩૫૫ FPOનું મજબૂત નેટવર્ક ઉપલબ્ધ છે. સાથે જ, બાગાયતી પાકોના લણણી પછીના વ્યવસ્થાપન માટે રાજ્યમાં મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ, પેક હાઉસ, ગ્રેડિંગ અને શોર્ટિંગ એકમો અને રાઈપનીંગ ચેમ્બર જેવા એકમોની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં પાંચ નવા એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર બનાવવાનું પણ આયોજન છે, જે રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને આકર્ષિત કરશે.

કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે સિંગલ વિન્ડો સીસ્ટમ અભિગમ અપનાવીને “ગુજરાત ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” શરૂ કર્યું છે. તેવી જ રીતે, ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ જમીનની કિંમતો નક્કી કરવા માટે પણ “સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક”ની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંત, રાજ્યમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે “ઇન્ડેક્સ-એ” એગ્રી બિઝનેસ એક્સટેન્શન બ્યુરોની પણ સ્થાપના કરી છે. રાજ્ય સરકારની આવી વિવિધ પહેલોથી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણ વધશે, ખેડૂતોના નુકશાનમાં ઘટાડો થશે, ઉત્પાદનોના સારા ભાવ મળશે અને નિકાસમાં પણ વધારો થશે.

મંત્રીએ ગુજરાતના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંગે વિસ્તૃત વિગતો આપીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ કરીને દેશ અને વિશ્વમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેના અદ્યતન સંસ્કરણોને પ્રોત્સાહન આપવાની આ એક સુવર્ણ તક છે. વિશ્વની માંગ મુજબ વિવિધ ઉત્પાદનો વિકસાવવા અને તેને વિશ્વ મંચ પર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત ઉત્તમ સ્થળ છે. આ પ્રસંગે મંત્રીએ ગુજરાત સરકાર વતી તમામ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ચિતાર રજૂ કરતા કહ્યું હતું કે, સસ્ટેનેબલ કૃષિ નીતિઓ અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીને ગુજરાત કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. કૃષિ સંલગ્ન ઉદ્યોગોને સાનુકુળ ઇકોસીસ્ટમ અને ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત રોકાણકારો માટે સ્વર્ગ સમાન છે.

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે, તેમ કહી, તેમણે ગુજરાતના પાક વૈવિધ્ય અને ઉત્પાદકતા, કૃષિ ક્ષેત્રે ગુજરાત પાસે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, દેશના કુલ કૃષિ નિકાસમાં ગુજરાતનું યોગદાન તેમજ પ્રાકૃતિક કૃષિમાં ગુજરાતની સરાહનીય સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન મેનેજીંગ ડીરેક્ટર ડી. એચ. શાહે સેશનમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસમાં ગુજરાત પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે. રાજ્યના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો આ વેગવંતા વિકાસના વાહક બન્યા છે. ગુજરાતમાં આવા વધુ કૃષિ ઉદ્યોગકારો રોકાણ કરશે તો, ભારત અને ગુજરાતના વિકાસ ઉપરાંત ગુજરાતના ખેડૂતોની આવક પણ બમણી થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સેશનમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના મદદનીશ મહાનિર્દેશક ડૉ. નીરુ ભૂષણે “shifting paradigms and embracing possibilities with innovative value chain interventions” વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ-તંજાવુરના નિયામક ડૉ. વી. પલાનિમુથુએ “Disruptive Food Technologies: The Next Big Leap in Food Processing” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ખેતી નિયામક એસ. જે. સોલંકીએ આભારવિધિ કરી હતી, જ્યારે કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધિકારીઓ સહિત વિવિધ કૃષિ ઉદ્યોગકારો આ નોલેજ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.