- ચલાલા-અમરેલી રોડ પર ખાનગી લકઝરી બસ પલટી જતાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત
- સુત્રાપાડામાં કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિકોનું ટોળું દોડી ગયું પાછળથી ધસી આવેલ કાળમુખા ડમ્પરની અડફેટે બે લોકોના મોત, સાત ઈજાગ્રસ્ત
સૌરાષ્ટ્રમાં બે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ચલાલા અને સુત્રાપાડામાં બનેલી દુર્ઘટનામાં કુલ બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થતાં ભારે અરેરાટી વ્યાપી છે. ચલાલામાં ખાનગી લકઝરી બસ પલટી જતાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં હતા જયારે સુત્રાપાડામાં ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિકોનું ટોળું રોડ પર ઉભું હતું દરમિયાન કાળમુખા ડમ્પર ફરી વળતા બે લોકોના મોત થયાં હતા જયારે સાત લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ચલાલામા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલા-અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઉનાથી અમદાવાદ જતી બસને મોડી રાત્રે ધારીના ચલાલા પાસે અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઇજાઓ પહોચી છે. મોડી રાત્રે ખાનગી બસને અકસ્માત નડતા સ્થાનિકોની ભીડ એકત્ર થઇ હતી.
સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘાયલ 18 મુસાફરોને સારવાર માટે ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈપણ મુસાફર અત્યારે ગંભીર સ્થિતિમાં હોય તેવું સામે આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા અકસ્માત પર નજર કરવામાં આવે તો વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ગઈકાલે (14 એપ્રિલે) રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે રાખેજ પાટીયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.
એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોને પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યા છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.કણઝોતર ગામના સ્થાનિક કરસનભાઈ કામળિયાએ જણાવ્યું હતું કે, અડધો કલાક પહેલાં જ એક અકસ્માત બન્યો હતો. જેમાં એક કાર અને બાઇક અથડાયા હતા. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા.
આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા. તે લોકો ઊભા-ઊભા આ અકસ્માતને જોઇ રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું. જેને પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી અક્સમાત જોવા ઊભેલા લોકો તેની નીચે કચડાઇ ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.
ચલાલાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની ઓળખ
ચલાલામાં લકઝરી બસ પલટી જતાં કુલ 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં હતા. જેમાં ઈજાગ્રસ્તોની ઓળખ દેવાંગભાઈ ઉપાધ્યાય(ઉના), શરદભાઈ રાવલ(અમરેલી), રવજીભાઈ ચૌહાણ(કંસારી), જોશનાબેન ઉપાધ્યાય(ઉના), પરેશભાઈ મનુભાઈ બામણીયા(ચલાલા), દિપકભાઈ મનુભાઈ બામણીયા(ચલાલા), દિનેશભાઇ ભીખાભાઇ ધમલ(ખાંભા), જોરાજબેન જુણેજા(ચલાલા)ની ઓળખ થવા પામી છે. અકસ્માતમાં અન્ય પાંચ લોકોને નાની મોટી ઇજા થતાં તેમણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.