• ગુજરાતમાં જજોની બદલી મામલે થયેલી પિટિશનમાં સર્વોચ્ચ અદાલતનું તારણ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટાંક્યુ છે કે, કોઈ પણ સરકારી અધિકારી પ્રમોશનને તેનો અધિકાર ગણી શકે નહિ અને પ્રમોશનની માંગ પણ કરી શકે નહિ. અદાલતે નોંધ્યું છે કે, જયારે બંધારણની કલમ 16 હેઠળ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય એટલા પૂરતું જ પ્રમોશન નીતિઓમાં કોર્ટની દખલગીરી હોવી જોઈએ.

17 મેના રોજ, કોર્ટે 2023માં મેરિટ-કમ-સિનિયોરિટી સિદ્ધાંતના આધારે જિલ્લા ન્યાયાધીશોના 65% પ્રમોશન ક્વોટામાં વરિષ્ઠ ન્યાયાધીશોને બઢતી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણોને સમર્થન આપ્યું હતું. આ અંગે પોતાનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે બંધારણમાં પ્રમોશન માટે કોઈ માપદંડ નિયત ન હોવાથી સરકારી કર્મચારીઓ પ્રમોશનને તેમનો જન્મજાત અધિકાર માની શકે નહીં. કોર્ટે કહ્યું કે પ્રમોશન પોલિસી એ વિધાનસભા અથવા કારોબારીનું મુખ્ય ક્ષેત્ર છે, જેમાં ન્યાયિક સમીક્ષા માટે મર્યાદિત અવકાશ છે.

જો કે, ભારતમાં કોઈ પણ સરકારી કર્મચારી પ્રમોશનને તેના અધિકાર તરીકે દાવો કરી શકતો નથી, કારણ કે બંધારણ બઢતીની જગ્યાઓ પર બેઠકો ભરવા માટે કોઈ માપદંડો નક્કી કરતું નથી. વિધાનસભા અથવા કારોબારી રોજગારના પ્રકાર અને ઉમેદવાર પાસેથી જરૂરી ફરજોને આધારે પ્રમોશનલ પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓ ભરવાની પદ્ધતિ નક્કી કરી શકે છે. પ્રમોશન માટે અપનાવવામાં આવેલી નીતિ ’શ્રેષ્ઠ ઉમેદવારો’ની પસંદગી માટે યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા માટે અદાલતો પુનર્વિચાર કરી શકે નહીં સિવાય કે મર્યાદિત આધારો પર તે બંધારણની કલમ 16 હેઠળ સમાન તકના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી હોય.

જે મામલો અદાલત સુધી પહોંચ્યો હતો તે કેસમાં રિટ અરજદારોએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજને ડિસ્ટ્રિક્ટ જજ (65% ક્વોટા)ની કેડરમાં બઢતી આપવા માટે તા.10.03.2023ના રોજ જાહેર કરાયેલ પસંદગી યાદીને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન તરીકે પડકારી છે. તેમજ ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો અધિનિયમ, 2005 ના નિયમ 5નું ઉલ્લંઘન કરનાર જાહેર કરવાની માંગ કરી હતી. નિયમ 5 મુજબ, ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં 65% ભરતી સિનિયર સિવિલ જજમાંથી મેરિટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર પ્રમોશન દ્વારા અને યોગ્યતા કસોટી પાસ કરીને થવી જોઈએ.

કોર્ટે એ પણ સૂચન કર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ તેને ઉત્તર પ્રદેશ હાયર જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ, 1975ની જેમ વ્યાપક બનાવવા માટે અનુકૂળતા પરીક્ષણના પાસા પર તેના નિયમોમાં સુધારો કરી શકે છે. મુખ્ય ભલામણોમાં ઉમેદવારો માટે અન્ય પરીક્ષણ ઘટક તરીકે વિવા લેવા, દરેક વર્તમાન ઘટક હેઠળ પાસિંગ થ્રેશોલ્ડમાં વધારો, એક વર્ષની જગ્યાએ છેલ્લા બે વર્ષમાં ઉમેદવારોના નિર્ણયોની ગુણવત્તાને ધ્યાનમાં લેવું અને સમયસર પરીક્ષાના સ્કોરિંગને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થાય છે

કોર્ટે કહ્યું કે ભારતીય બંધારણીય સંદર્ભમાં સરકારી કર્મચારીઓને અધિકારની બાબત તરીકે પ્રમોશનની માંગ કરવાનો કોઈ અધિકાર નથી. બંધારણમાં પ્રમોશન માટે કોઈ નિશ્ચિત માપદંડો ન હોવાને કારણે આ પ્રક્રિયા સરકાર અથવા વિધાનસભા માટે ખુલ્લી છે અને તે હોદ્દો અથવા નોકરીની પ્રકૃતિને આધારે બદલાઈ શકે છે. જેના માટે પ્રમોશન પરના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવ્યું હતું કે જ્યારે પ્રમોશન નીતિ બંધારણની કલમ 16 હેઠળ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી હોય ત્યારે જ અદાલતો પ્રતિબંધિત રીતે હસ્તક્ષેપ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.