Abtak Media Google News
  • વહિવટી તંત્ર દ્વારા બન્ને બાજુ 5 કિલોમીટરની ગટર બનાવીને કેનાલ દ્વારા ખેતરમાં ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરાયો

Gir somnath : વડોદરા ડોડિયા ગામના ખેડૂતોના ખેતરોમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ વડોદરા ડોડિયાના ખેડૂતોએ કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું.

છેલ્લા 20 વર્ષથી વડોદરા ડોડિયાના ખેડૂતો પોતાના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પંચાયત સહિતના વિભાગોએ ઉત્કૃષ્ટ કામગીરી દાખવતા ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો હતો.

ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતા વડોદરા ડોડિયાના ખેડૂતોએ પુષ્પગુચ્છ દ્વારા તેમજ શાલ ઓઢાડી જિલ્લા કલેક્ટર પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો હતો. આ તકે, ખેડૂતોએ નિવાસી અધિક કલેકટર રાજેશ આલનો પણ આભાર વ્યકત કર્યો હતો.

કાર્યપાલક ઈજનેર (પંચાયત) અંકિત ભદૌરિયાના જણાવ્યાનુસાર, કિંદરવા પાટિયાથી વડોદરા-ડોડિયા ગામ સુધી બન્ને બાજુ ૫ કિલોમીટરની ગટર બનાવવામાં આવી હતી. આ ગટરના કારણે હવે ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાતું હતું તેનો ત્વરિત નિકાલ થવા પામે છે. જેથી અંદાજીત 500 વિઘા જમીનના પાકને નુકસાન થતું અટકશે. ત્યારે ચોમાસા પહેલા જ આ સમસ્યાનો ઉકેલ આવી જતા વડોદરા ડોડિયા ગામના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

વડોદરા ડોડિયાના ખેડૂત જયેશ ડોડિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન દર વર્ષે અમારા ખેતરોમાં ખૂબ જ પાણી ભરાઈ જતું હતું. પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહોતી. જેના કારણે અમે પાક પણ લઈ શકતા નહોતા અને સંપૂર્ણ પાક નિષ્ફળ જતો હતો. પાણી ભરવાની સમસ્યાના કારણે અમારે ભારે નુકસાન સહન કરવાનો વારો આવતો હતો. પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવાથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ તકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખલા, વડોદરા ડોડિયાના ખેડૂતો ડોડિયા સુભાષ, ભાવસિંહ પરમાર, રમેશ ડોડિયા, સંજય સોલંકી, લક્ષ્મણ બારડ, વરજાંગ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.