• વ્યાજખોરો સામે રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોક લગાવી દાખલારૂપ કામગીરી કરનાર કચ્છ જિલ્લા પોલીસને બિરદાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી

ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજ ખાતે નવનિર્મિત રૂ.19 કરોડના 144 મકાનોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, ગૃહરાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રુપ-16 ભચાઉ ખાતેના કક્ષા-બીના 72 આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ નવનિર્મિત આધુનિક આવાસમાં પ્રવેશ કરનાર પોલીસ પરીવારોને આ ઘરોને માત્ર સરકારી આવાસ નહીં પરંતુ સપનાનું ઘર સમજીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ નાગરિકોમાં પોલીસનો ડર દૂર થાય અને સામાન્યજન સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહારના અમલીકરણ અને પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે સન્માનજનક અને વિશ્ર્વાસનું વાતાવરણ ઉભું કરવા પોલીસ વિભાગને ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

ગૃહરાજ્યમંત્રીએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નિર્મિત થનારી ગૌ-શાળાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગાયની સુરક્ષા માટે સરકારે કાયદો અમલી કર્યો છે જે હેઠળ પોલીસ ગૌ-હત્યાને રોકવા કડક કામગીરી કરી રહી છે, પરંતુ રાજ્યમાં પ્રથમવાર ગાયના જતન માટે કચ્છ પોલીસે ગૌ-શાળાનું નિર્માણ કરવાનું બીડું ઝડપીને પ્રશંસનીય દાખલારૂપ માર્ગ ચીંધ્યો છે.

ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે ‘ગુરૂ -જન -સેતુ’ યોજના શરૂ કરવા બદલ બોર્ડર રેન્જ પોલીસને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, સરહદની મહિલાઓ રાણી લક્ષ્મીબાઇનું સ્વરૂપ છે. આ યોજનાના માધ્યમથી સરહદી મહિલાઓ પોલીસને સહયોગ આપીને કામગીરી કરશે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. તેમણે બોર્ડર રેન્જ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાની મહિલાઓને સરહદી ગામમાં અસામાજિક તત્વો દ્વારા થતી અયોગ્ય પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપીને તેમના આંખ, કાન તથા હાથ બની તમામ પ્રકારે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

સરહદી જિલ્લામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરનાર તથા આ દિશામાં થનારા ષડયંત્રના પ્રયાસોને નાથવા કામગીરી કરતી સુરક્ષા એજન્સીઓ, બીએસએફ, આર્મી તથા પોલીસને બિરદાવતા તેમણે સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા તત્વો સામે પગલા લેવા તથા આ કાર્યમાં રાજ્ય સરકાર હંમેશા પડખે હોવાની ખાતરી ગૃહરાજ્યમંત્રીએ આપી હતી.

ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોકની કલમ લગાડી વ્યાજખોરોને જેલ હવાલે કરનાર કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાગરિકોને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જવાના બદલે વડાપ્રધાન દ્વારા અમલીકરણ કરાયેલી પીએમ સ્વનિધી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્ય સરકાર હસ્તકની જમીનોને કચ્છના વહીવટીતંત્રે દબાણમુકત કરી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનોનું ગૃહરાજ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પીએમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને ચેકનું વિતરણ તથા ‘તેરા તુજ કો અર્પણ’ અભિયાન હેઠળ રૂ.40 લાખના લૂંટ કેસમાં કબ્જે કરાયેલી મુદામાલની રકમ ભોગ બનનારને ગૃહરાજ્યમંત્રીના વરદ હસ્તે  સુપ્રત કરાઇ હતી. સ્વાગત પ્રવચન કરતા બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડિયાએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત તથા ગુરૂ-જન-સેતુ અભિયાનની રૂપરેખા આપી હતી.

આશાપુરા માતાના મઢે શીશ ઝૂકાવતા ગૃહમંત્રી

કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની કુળદેવીના આશાપુરા માતાજી સમક્ષ શીશ ઝુકાવી રાજ્યમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને માતા આશાપુરાના મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નવરાત્રીના પર્વ નિમિત્તે પધારેલા ગૃહ રાજ્યમંત્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર આપીને ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.