- જૂનાગઢ રોડ પર ચાલતા ઓવરબ્રિજના કામને પગલે હિત સમિતિનુ આંદોલન
- ઓવરબ્રિજના કામને લીધે ડાયવર્ઝન કઢાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ
- કેનાલ વાળા માર્ગને ડામરથી નવો બનાવવામાં આવે તેવી લોકમાંગ
ખખડધજ રસ્તાઓનો પ્રશ્ન હાલના સમયમાં ખૂબ જ ગંભીર સમસ્યા છે. કારણ કે બિસ્માર રસ્તાના કારણે અનેક અકસ્માતો સર્જાઇ છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે હાલ ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામને પગલે હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમજ ઓવરબ્રિજના કામને લીધે ડાયવર્ઝન કઢાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોવાના રાહદારીઓ આક્ષેપો કરી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગે જણાવ્યું હતું. ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકાર દ્વારા ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને અલગ અલગ વિસ્તારોમાં ડાઇવર્જન કરવામાં આવ્યા છે. ત્યારે રોડના કારણે થતી મુશ્કેલીઓને લઈને હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડ બેનરો લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ધોરાજીનાં ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જુનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝન અને જામનગર થી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસેથી ડાયવર્ઝન અને ત્રીજા ધોરાજીનાં જમનાવડ રોડ અને કેનાલ રોડ પરથી જુનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝન કરવામાં આવ્યો છે ત્યારે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને મસ મોટા ખાડાઓ પડી ગયાં છે. જેને કારણે નાનાં મોટાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને નાનાં મોટાં અકસ્માતો સર્જાતા હોવાની ભીતિ સર્જાઇ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હોવા અંગે જણાવી રહ્યા છે.
જામનગરથી જુનાગઢ તરફ અને ધોરાજીથી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. રોજનાં હજારો વાહનો આ કેનાલ વાળા માર્ગનો ઉપયોગ કરી અહીંથી વાહનોની અવરજવર થાય છે. ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંનાં દુકાન ધારકો કે પછી પેસેન્જરોની માંગ છે કે આ કેનાલ વાળા માર્ગને નવો બનાવવામાં આવે.
કૌશલ સોલંકી