• રાજાધિરાજને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયુ

Dwarka: પવિત્રા એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકાસ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કૃકલાશ કુંડ પણ કહેવાય છે તેમાં સ્નાન કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૃગરાજાનો ભગવાન શ્રીકૃષ્ણે ઉધ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરૂપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન-અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. આજના પવિત્રા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. દ્વારકાધીશ એ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બન અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્વરૂપ શહેર ભ્રમણ કરે છે. અને દ્વારકા પોલીસ તેમજ એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે પણ રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય તથા વિજયભાઈ વિગેરે દ્વારા શાહી ઠાઠ સાથે ઠાકોરજીની પાલખી કાઢી વાજતે ગાજતે કૃકલાશ કુંડ પહોંચી તમામ શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર જીલણા એકાદશીની ઊજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.