- એચ. આઇ. વી. એઈડ્સ, ટીબી, હિપેટાઇટિસ વિશે પણ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યું
દાહોદ: દાહોદ જિલ્લાના નગરાણા પ્રાથમિક આરોગ કેન્દ્ર હસ્તકના જી. પી. ધાનકા એમ.એસ. ડબલ્યુ. કોલેજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા રક્તપિત અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાના અધ્યક્ષ સ્થાને એન્ટી લેપ્રસી ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
MSW કોલેજના વિદ્યાર્થીઓને જિલ્લા રક્તપિત અધિકારીએ જણાવ્યું હતું કે, રકત્તપિત્ત રોગના ચિન્હો-લક્ષણો જાણવા જરૂરી છે. રક્તપિત્ત જંતુજન્યક રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું એ રકતપિત્ત હોઈ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીવકાર કરો અને તેમને મદદ કરો. રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે.
આ વખતે 2025 ની એન્ટી લેપ્રસી ડે ની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેર સમજ દૂર કરીએ અને રક્તપિત – ગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ ” ની થીમ સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સમગ્ર દાહોદ જિલ્લામાં સઘન ઝુંબેશ યોજાશે. એ સાથે એચ. આઇ. વી. એઈડ્સ, ટીબી, હિપેટાઇટિસ વિશે પણ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન ડો.અલ્પના જૈન જિલ્લા રક્તપિત્ત મેડીકલ ઓફીસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા મેડિકલ ઓફિસર અને સ્ટાફ, આઈ.સી.ટી.સી. કાઉન્સેલર, એમ. પી. ધાનકાના આચાર્ય માવા પટેલ અને MSW કોલેજના આચાર્ય રાજુ ભુરીયા દ્વારા આભાર વિધી કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.