Abtak Media Google News

કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં 13-15 જૂન દરમિયાન ભારે વરસાદની શકયતા: પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધીની રહેવાની પણ સંભાવના

માંગરોળ, સુત્રાપાડા, સોમનાથ અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

બિપરજોયએ દિશા બદલાતા 15મીએ માંડવીના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લા હાઈ એલર્ટ ઉપર મુકવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના છ દરિયાકાંઠાના જિલ્લાઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. કારણ કે બિપરજોય તીવ્ર બની કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના સાથે રવિવારે માર્ગ બદલ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ 13-15 જૂન દરમિયાન ભારે વરસાદ અને ખૂબ જ વધુ પવનની ઝડપ સાથે ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે જે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે.

રાજકોટ જિલ્લાનો હવાલો સંભાળતા રાહુલ ગુપ્તા, તંત્ર સતર્ક

ચક્રવાતને પગલે, દરિયા કિનારે રહેતા લગભગ 1,500 લોકોને સલામતી માટે આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા હતા.  દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને 15 જૂન સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે જિલ્લાની તમામ શાળાઓમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે.  “હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 થી 15 જૂન સુધી દેવભૂમિ દ્વારકામાં પવનની ઝડપ 125 પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે.

કચ્છનો માંડવી બીચ અને દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે.  જિલ્લા પ્રશાસને ઓખા-બેટ દ્વારકા બોટ સેવા પણ સ્થગિત કરી દીધી છે.  જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના જિલ્લાઓમાં માર્કેટ યાર્ડમાં કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.  આગામી બે દિવસ સુધી વેપાર થશે નહીં.

જખૌ, પોરબંદર, ઓખા અને નવલખી બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગન્લ

કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે 72 ગામના લગભગ 8,300 લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.  “આ ગામો કચ્છના ગાંધીધામ, માંડવી, અબડાસા, લખપત તાલુકાઓમાં છે. આ લોકો દરિયાની 5 કિમી ત્રિજ્યામાં રહે છે. એક એસડીઆરએફ ટીમ નલિયામાં તૈનાત છે અને અમને એનડીઆરએફની બે ટીમો મળશે જે માંડવી અને ગાંધીધામમાં તૈનાત કરવામાં આવશે. તેમ અરોરાએ કહ્યું.  દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.  આગામી બે દિવસમાં જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં વધુ ટીમો તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે, એમ જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું.

એનડીઆરએફની 12 ટિમો તૈનાત: રાજકોટમાં નેવીના બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સંભવત અસરને લઈને બચાવ કાર્ય કરવા માટે સરકાર દ્વારા એનડીઆરએફની 12 ટિમો તૈનાત કરવામાં આવી છે. જે અલગ અલગ જિલ્લાઓમાં હાલ ફરજ ઉપર પહોંચી ગઈ છે. આ ઉપરાંત રાજકોટમાં નેવીના બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જે જરૂર પડ્યે બીજા જિલ્લામાં બચાવ કાર્ય માટે જશે.

9 મંત્રીઓને 9 જિલ્લાની જવાબદારી સોપાઇ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી છે તેમજ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓમાં પહોંચવાની સૂચના પણ આપી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટમાં રાઘવજીભાઈ પટેલ, પોરબંદરમાં કુંવરજીભાઈ બાવળિયા, જામનગરમાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષભાઈ સંઘવી, જૂનાગઢમાં  જગદીશભાઈ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમભાઈ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.