• 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને લાભ મળશે
  • એસ.ટી નિગમ દૈનિક 8,000થી વધુ બસો થકી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે
  • સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો
  • મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં. 1800-233-666666 જાહેર કરાયો

શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8,000 થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

SIMPAL 14

જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ૨૧૫૦ તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18% નો વધારો જોવા મળી રહ્યો છે.

આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.

અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.