ચીનનો નિત્યક્રમ છે, જ્યાં સુધી ઉંબાડિયું ન કરે ત્યાં સુધી શાંતિ ન થાય

ભારત અને ચીન વચ્ચે સમયાંતરે ગજગ્રાહ થાય છે. જો કે ચીન માટે આ કાયમની વાત છે. દર થોડા દિવસે ચીન કોઈ દેશનો ચારો ન કરે ત્યાં સુધી તેને શાંતિ થતી નથી. એવામાં એવા પણ દાવા થયા છે કે ચીન બલૂન મારફતે જે જાસુસીનો કીમિયો અજમાવી રહ્યું છે. ભારત પણ તેનો ભોગ બન્યું છે. જો આ વાતમાં હકીકત હોય તો પછી ભારતની સુરક્ષા એજન્સીઓ ઉપર પણ પ્રશ્નાર્થ થશે.

અમેરિકા તથા લેટિન અમેરિકા પર ચીનના જાસૂસી બલૂન દેખાયા બાદ ચીન અને અમેરિકા વચ્ચે સંબંધો વણસવા લાગ્યા છે આ દરમિયાન એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યું હતું. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી. થોડા દિવસ પહેલા જ અમેરિકાએ મિસાઈલ દ્વારા બલૂનને તોડી પાડ્યો હતો. જોકે આ પહેલા પણ આકાશમાં બલૂન દેખાવાના અહેવાલ સામે આવી ચૂક્યા હતા.

ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવાયું હતું કે બલૂન દ્વારા જાસૂસી કરવાના પ્રયાસો હેઠળ જાપાન, ભારત, વિયેતનામ, તાઈવાન અને ફિલિપાઈન્સ સહિત અનેક દેશો અને ચીન માટે ઉભરતા વ્યૂહાત્મક હિતોવાળા ક્ષેત્રોમાં સૈન્ય સંપત્તિઓ સંબંધિત જાણકારી એકઠી કરાઈ હતી. આ અહેવાલ અનેક અજાણ્યા ડિફેન્સ તથા ગુપ્તચર અધિકારીઓના હવાલાથી ધ વોશિંગ્ટન પોસ્ટે પ્રકાશિત કર્યા હતા. અહેવાલ અનુસાર અધિકારીઓએ કહ્યું કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મીની એરફોર્સ દ્વારા સંચાલિત આ આ જાસૂસી બલૂનને 5 મહાટાપુઓ પર જોવામાં આવ્યો હતો.

એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીએ તો એવો પણ દાવો કર્યો હતો કે આ બલૂન પીઆરસીના બલૂનની ફ્લિટનો એક હિસ્સો છે. જેને નિરીક્ષણ કે જાસૂસી અભિયાન ચલાવવા માટે બનાવાયો છે. તેના દ્વારા અન્ય દેશોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરાયું છે. તાજેતરના વર્ષોમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં પણ ઓછામાં ઓછા 4 બલૂન જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.